કચરામાં ખાવાનું શોધતી દીકરીને એક બૌદ્ધ ભિક્ષુકે ડોક્ટર બનાવી
આ સત્ય ઘટના વાંચ્યા પછી તમારું બૌદ્ધ ધર્મ અને તેની મહાન પરંપરાઓ પ્રત્યેનું માન-સન્માન અનેકગણું વધી જશે તેની ગેરંટી છે.

તથાગત ગૌતમ બુદ્ધે સ્થાપેલો બૌદ્ધ ધર્મ શા માટે સર્વશ્રેષ્ઠ છે તેના આમ તો સેંકડો ઉદાહરણો તમે વાંચ્યા-સાંભળ્યા હશે. પણ અહીં એક એવી સત્ય ઘટનાની વાત કરવી છે જેને વાંચ્યા પછી તમારું બૌદ્ધ ધર્મ પ્રત્યેનું માન-સન્માન અનેકગણું વધી જશે.
કહાનીની શરૂઆત થાય છે વર્ષ 2004થી. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ના મેકલોડગંજ (McLeodganj) ની શેરીઓમાં એક નાની બાળકી તેના પરિવાર સાથે ભીખ માંગી રહી હતી. છોકરી માત્ર સાડા ચાર વર્ષની હતી અને તેનું આખું બાળપણ ગરીબી, ભૂખ અને સંઘર્ષથી ભરેલું હતું. આ છોકરી હતી પિંકી હરયાન (Pinky Haryan), જે પોતાની મહેનત અને બૌદ્ધ ભિક્ષુ (Buddhist monk) ની મદદથી આજે ડોક્ટર (Doctor) બની છે. આ કહાની ન માત્ર એક છોકરીના સંઘર્ષ અને સફળતાની વાત કરે છે. પરંતુ બૌદ્ધ ધર્મ (Buddhism) ની મહાનતા, કરૂણાની પણ કથા છે. આ કહાની આપણને જણાવે છે કે, તમારી નાની કે મોટી મદદ કોઈનું જીવન સંપૂર્ણપણે બદલી શકે છે.
પિન્કીનું જીવન કેવી રીતે બદલાયું?
પિંકીના જીવનમાં પરિવર્તન ત્યારે શરૂ થયું જ્યારે તિબેટીયન સાધુ લોબસાંગ જામ્યાંગે (Lobsang Jamyang) તેને મેક્લોડગંજની શેરીઓમાં ભીખ માગતા જોઈ હતી. લોબસાંગ જામ્યાંગ, જેઓ ધર્મશાળામાં એક ચેરિટેબલ ટ્રસ્ટના ડાયરેક્ટર હતા, તેમણે જ્યારે જોયું કે એક નાનકડી છોકરી રસ્તા પર ભીખ માંગી રહી છે અને ભોજન માટે સંઘર્ષ કરી રહી છે, એટલે તરત તેમણે તેને મદદ કરવાનું નક્કી કર્યું.
જો કે, પિંકીને મદદ કરવી સરળ ન હતી, કારણ કે તેના પિતા કાશ્મીરી લાલ પુત્રીને ક્યાંય જવા દેવા માંગતા નહોતા. જામ્યાંગને પિન્કીના પિતાને મનાવવામાં કલાકો લાગ્યા. પરંતુ આખરે તેમની મહેનત ફળી અને કાશ્મીરી લાલ તેમની પુત્રીને શાળાએ મોકલવા સંમત થયા. એ પછી પિંકીને ધર્મશાળાની દયાનંદ પબ્લિક સ્કૂલ (Dayanand Public School) માં એડમિશન મળ્યું.
જ્યારે પિંકીને શિક્ષણનું મહત્વ સમજાયું
શાળામાં પ્રવેશ મેળવ્યા બાદ પિન્કીને ધર્મશાળામાં ટોંગ-લેન ચેરીટેબલ ટ્રસ્ટ (Tong Lane Charitable Trust) ની હોસ્ટેલમાં રાખવામાં આવી હતી, જે નિરાધાર બાળકો માટે બનાવવામાં આવી હતી. શરૂઆતમાં પિંકીને તેના પરિવારની ખૂબ જ યાદ આવતી હતી અને તે પરત જવા માંગતી હતી. પરંતુ ટૂંક સમયમાં તેને સમજાયું કે શિક્ષણ જ તેનું ભવિષ્ય બદલવાનો એકમાત્ર રસ્તો છે.
પિંકીએ તેના અભ્યાસમાં સખત મહેનત કરી અને ટૂંક સમયમાં જ સિનિયર સેકન્ડરી પરીક્ષા સારા માર્ક્સ સાથે પાસ કરી. એ પછી તેણે મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પણ પાસ કરી લીધી. આ પરીક્ષા પાસ કરવી તેના માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હતી, કારણ કે તેનાથી તેને ડૉક્ટર બનવા તરફનું પ્રથમ પગથિયું મળી ગયું હતું.
ભારતમાં એમબીબીએસની મોંઘી ફી વિલન બની
જો કે, ભારતમાં ખાનગી મેડિકલ કોલેજોની ઊંચી ફી પિંકીના ડોક્ટર બનવાના સપનામાં આડે આવી ગઈ. પરંતુ ફરી એકવાર ટોંગ-લેન ચેરિટેબલ ટ્રસ્ટ આગળ આવ્યું અને પિંકીને મદદ કરી. આ ટ્રસ્ટે પિન્કીને 2018 માં ચીનની પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવામાં મદદ કરી, જ્યાંથી તેણે એમબીબીએસ પૂર્ણ કર્યું.
હવે પિંકી તેની MBBS ડિગ્રી સાથે ધર્મશાલા (Dharamshala) પરત આવી છે અને ભારતમાં મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (FMGE)ની તૈયારી કરી રહી છે, જેથી તે ભારતમાં એક યોગ્ય ડૉક્ટર તરીકે કામ કરી શકે.
પિંકીની આ સંઘર્ષમય સફર માત્ર તેના માટે જ નહીં પરંતુ તેના પરિવાર અને સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી છે. પિંકી કહે છે, "ગરીબી મારા જીવનનો સૌથી મુશ્કેલ ભાગ હતો. મારા પરિવારને ગરીબીમાં જોઈને મને સખત મહેનત કરવાની પ્રેરણા મળી."
હવે તો પિંકીના ભાઈ-બહેન પણ શાળામાં અભ્યાસ કરે છે અને તેની સફળતાએ તેમને પણ પ્રેરણા આપી છે.
લોબસાંગ જામ્યાંગનો આભાર માને છે
પિંકી માને છે કે આ બધું લોબસાંગ જામ્યાંગના કારણે શક્ય બન્યું છે. તે કહે છે, "જામ્યાંગે મારા પર વિશ્વાસ મૂક્યો અને મને મજબૂત ટેકો પુરો પાડ્યો, જેની મને સખત જરૂર હતી. તેમણે ન માત્ર મારું, પરંતુ અન્ય ઘણા બાળકોનું જીવન પણ બદલી નાખ્યું."
લોબસાંગ જામ્યાંગ ધર્મશાળામાં એક ચેરિટેબલ ટ્રસ્ટ ધરાવે છે જેનો ઉદ્દેશ ગરીબ અને નિરાધાર બાળકોને શિક્ષણ આપવાનો છે. જામ્યાંગ કહે છે, "મેં વિચાર્યું હતું કે હું આ બાળકોને પાયાનું શિક્ષણ આપીને તેમના જીવનમાં પરિવર્તન લાવી શકીશ, પરંતુ મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે આ બાળકો આટલા પ્રતિભાશાળી હશે,"
જામ્યાંગે અનેક બાળકોની જિંદગી બદલી નાખી
છેલ્લા 19 વર્ષથી જામ્યાંગ સાથે કામ કરતા ઉમંગ ફાઉન્ડેશનના અજય શ્રીવાસ્તવ કહે છે, જામ્યાંગ માને છે કે બાળકોને માત્ર પૈસા કમાવાનું સાધન ન બનાવવા જોઈએ પરંતુ સારા માણસ બનવા માટે પ્રેરિત કરવા જોઈએ. જામ્યાંગે પોતાનું આખું જીવન ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો માટે સમર્પિત કર્યું છે. ઘણાં બાળકો, જેઓ એક સમયે શેરીઓમાં રહેતા હતા, હવે ડૉક્ટર, એન્જિનિયર અને પત્રકાર બની ગયા છે, અને તેની પાછળ જામ્યાંગનું સમર્પણ રહેલું છે.
આ પણ વાંચોઃ ચીનમાં પ્રિન્ટીંગ મશીન શોધાયા બાદ છપાયેલું પ્રથમ પુસ્તક 'ધમ્મપદ' હતું