કુંભ મેળા વાળી મોનાલીસા કઈ જાતિની છે?
કુંભમેળામાં માળા વેચતી મોનાલીસા રાતોરાત દુનિયા આખીમાં છવાઈ ગઈ છે. હવે લોકોએ ઈન્ટરનેટ પર તેની જાતિ વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું છે. જો કે તેની જાતિ જાણીને મનુવાદીઓ નિરાશ થશે.

monalisa bhonsle caste : મધ્યપ્રદેશનું મહેશ્વર અહિલ્યાદેવી, કિલ્લા, મંદિરો, સાડીઓ અને નર્મદા નદી માટે જાણીતું છે, પરંતુ હાલ તે કોઈ અન્ય કારણોસર ચર્ચામાં છે. મોનાલિસા ઉર્ફે મોની નામની એક સુંદર આંખોવાળી છોકરી પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં માળા વેચતી હતી. એ દરમિયાન તે મીડિયાના કેમેરાની નજરે ચડી ગઈ. એ પછી જે થવાનું હતું તે જ થયું, સોશિયલ મીડિયા પર મોનાલીસા અચાનક છવાઈ ગઈ અને સૌ કોઈ આ પીંગળી આંખોવાળી છોકરી વિશે જાણવા તત્પર બન્યું.
ભારતમાં કોઈ વ્યક્તિ રાતોરાત ફેમસ બને ત્યારે અહીંની જાતિવાદી પ્રજા સૌથી પહેલું કામ તેની જાતિ શોધવાનું કરતી હોય છે. મોનાલીસાના કેસમાં પણ એવું જ બન્યું. નેટિઝન્સ રાતોરાત તેની જાતિ કઈ છે તે શોધવામાં ઈન્ટરનેટ પર ફરી વળ્યાં. પણ મનુવાદીઓને ત્યારે નિરાશા હાથ લાગી જ્યારે આટલી સુંદર આંખોવાળી એ છોકરી એક દલિત વિચરતી જાતિમાંથી આવતી હોવાનું સામે આવ્યું. જી હા, દુનિયાભરમાં છવાઈ જનાર મોનાલીસા કોઈ કથિત સવર્ણ જાતિમાંથી નહીં પરંતુ આ જ મનુવાદીઓ આજે પણ જેમને ગુનેગારોની જેમ ટ્રીટ કરે છે વિચરતી વિમુક્ત જાતિના પારધી સમાજમાંથી આવે છે. મોનાલીસા મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં નર્મદા નદીના કિનારે આવેલા મહેશ્વરના વોર્ડ નંબર 9 ની રહેવાસી છે અને તે વિચરતી વિમુક્ત જાતિના પારધી સમાજમાંથી આવે છે. હવે મોનાલીસાની જાતિની વાત નીકળી જ છે તો ચાલો તેના પારધી સમાજનો ઈતિહાસ પણ જાણી લઈએ.
આ પણ વાંચોઃ સેલિના જેટલીએ કહ્યું હતું, "બીજો જન્મ મળે તો ડો.આંબેડકર બનવા માંગીશ"
પારધી સમાજનો ઈતિહાસ
સમાજના લોકો કહે છે કે તેઓ મૂળ રાજસ્થાની રાજપૂત જાતિના છે, જેઓ મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત દેશના અન્ય ભાગોમાં સ્થળાંતર કરી ગયા હતા. તેઓ જ્યાં પણ જાય છે, તેમની ભાષા તે જગ્યાની ભાષા સાથે ભળી જાય છે. અગાઉ તેઓ શિકાર અને ગેરિલા યુદ્ધમાં પણ નિષ્ણાત હતા. કેટલાક વિસ્તારોમાં તે ગુના સાથે સંકળાયેલા હતા પરંતુ હવે તે મુખ્ય પ્રવાહમાં આવી રહ્યાં છે.
આ સમાજ પહેલા તંબૂમાં રહેતો હતો
મધ્યપ્રદેશ મહેશ્વરમાં પારધી સમાજ પહેલા તંબૂઓમાં રહેતો હતો, પરંતુ લગભગ ત્રણ દાયકા પહેલા મહાનગરપાલિકાએ તેમને ઢાપલા રોડ, જેલ રોડ પર જમીન આપી અને પટ્ટા આપ્યા. એ પછી તેમણે અહીં કાયમી મકાનો બનાવ્યા. પારધી સમાજ પોતાની મજામાં વ્યસ્ત રહે છે અને દેશભરમાં કંઠી અને રુદ્રાક્ષની માળા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ સમાજની છોકરીઓ બેફિકર હોય છે અને કોઈ મુદ્દા પર ચર્ચા કરવામાં તે કોઈથી ડરતી નથી, કે તેને કોઈની બીક પણ નથી લાગતી. આ જ વસ્તુ મોનાલીસામાં પણ લોકોએ નોંધી હશે.
છોકરીઓ દરેક વ્યક્તિને 'મામા' કહે છે
મોનાલીસાના સમાજની છોકરીઓ દરેક વ્યક્તિને મામા કહે છે. ખરગોન જિલ્લાના નાની ખરગોન અને મહેશ્વરમાં લગભગ 700 પારધી લોકો છે, જેમાંથી 50 પરિવારોના 450 લોકો એકલા મહેશ્વરમાં રહે છે. તેઓ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મેળાઓમાં માળા, રુદ્રાક્ષ વગેરે વેચે છે. પારધી પુરુષો સામાન્ય રીતે શર્ટ પેન્ટ પહેરે છે જ્યારે સ્ત્રીઓ અને છોકરીઓ શર્ટ/ટી-શર્ટ અને ઘાઘરા પહેરે છે. તેઓ શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના શોખીન છે અને ઘણીવાર મ્યુઝિક સિસ્ટમ ભાડે લઈને મનોરંજન માટે નૃત્ય કરે છે.
પારધી સમાજમાં સાક્ષરતા ઘટી રહી છે
અન્ય વિચરતી વિમુક્ત જાતિઓની જેમ મોનાલીસાનો પારધી સમાજ પણ શિક્ષણમાં પાછળ છે. બાળકોને બાળપણથી જ માળા વેચવાના વ્યવસાયમાં લગાડી દેવામાં આવે છે. તેઓ ભલે ઓછું ભણતા હોય પરંતુ તેમનું સામાન્ય જ્ઞાન જબરદસ્ત હોય છે અને તેઓ દેશભરમાં મુસાફરી કરવા માટે બસો, ટ્રેનો, રસ્તા અને ભૌગોલિક પરિસ્થિતિઓ વિશે સારી રીતે જાણે છે.
મહેશ્વરમાં ત્રણ વિઘા જમીન છે
મોનાલિસાના પરિવાર પાસે આજે પણ મહેશ્વરમાં ત્રણ વિઘા જમીન છે. મોનાલિસાના કાકા વિજય પટેલ સમાજના પટેલ છે. આ સમાજના લોકો મૂળે વિચરતી જાતિના છે અને તેમના રીતિરિવાજો અલગ છે. ખાસ કરીને તે આદિવાસી સમાજની પરંપરાઓ સાથે ઘણો મેળ ખાય છે. આદિવાસી સમાજની જેમ તેઓ દેશમાં ગમે ત્યાં રહેતા હોય પણ હોળીના બે થી ત્રણ દિવસ પહેલા મહેશ્વર પાછા ફરે છે. તેઓ હોળીના પ્રસંગે પરિવારના દેવતાને બલિ ચઢાવે છે.
પંચાયત વ્યવસ્થામાં વધુ વિશ્વાસ છે
પારધી સમાજને આજે પણ દેશના ન્યાયતંત્ર કરતા પોતાની પંચાયતમાં વધુ વિશ્વાસ છે. કોઈપણ વિવાદ કે સંઘર્ષના કિસ્સામાં આ સમાજ પટેલને પોતાની સમસ્યા જણાવે છે અને તે મુજબ વિવાદનું સમાધાન કરે છે.
બ્રિટિશકાળમાં ગુનેગાર જાહેર કરી દેવાયા હતા
બ્રિટિશરાજમાં પારધીઓને 'ગુનેગાર જનજાતિ' જાહેર કરવામાં આવ્યા હતા. ૧૮૭૧માં લાગુ કરાયેલા 'ક્રિમિનલ ટ્રાઈબ્સ એક્ટ'માં લગભગ ૫૦૦ જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૯૫૨માં જવાહરલાલ નેહરુની પહેલથી આ જાતિઓને 'વિમુક્ત' કરવામાં આવી હોવા છતાં, સમાજમાં તેમના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો નહીં. આજે પણ તેમને 'વિમુક્ત જનજાતિ' કહેવામાં આવે છે, જે તેમના ભૂતકાળની યાદ અપાવે છે. આ કલંકને કારણે તેમને સમાજ અને સરકાર બંને દ્વારા સંપૂર્ણપણે સ્વીકારવામાં આવ્યા નથી.
આ પણ વાંચોઃ દાહોદના આદિવાસી યુવકે ભીલી બોલીમાં એટ્રોસિટી પર ફિલ્મ બનાવી