ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકારા, અલગ Bhilistan ની માંગ તેજ બની
ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢની જેમ અલગ Bhilistan ની માંગ તેજ બની. ચૈતર વસાવા, મહેશ વસાવા બાદ છોટુ વસાવાએ પણ અલગ ભીલીસ્તાનની માગને ટેકો આપ્યો.

દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં છેલ્લાં 15 વર્ષથી આદિવાસી સમાજના અલગ રાજ્ય ભીલીસ્તાન (Bhilistan)ની માગણી સાથે આંદોલન ચાલી રહ્યું છે. મુખ્યધારાના મીડિયા દ્વારા આ આંદોલનને કવરેજ ન અપાતું હોવાથી મોટાભાગના લોકોને ખ્યાલ પણ નથી કે આવું કોઈ આંદોલન ચાલી રહ્યું છે.
આપ ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) અને ભાજપ નેતા મહેશ વસાવા (Mahesh Vasava) બાદ દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવા (Chhotu Vasava) એ અલગ ભીલીસ્તાન (Bhilistan) ની માંગણીને ટેકો આપતા ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યાં છે.
છોટુ વસાવા ઝઘડિયાના ૭ ટર્મના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી પટ્ટાને અલગ રાજ્યનો દરજ્જો આપવાની તેમણે માંગ કરી છે. સાથે જ હાલના શાસકો સામેના જંગમાં આદિવાસીઓ સાથે ઓબીસી સમાજને પણ જોડાવા હાંકલ કરી છે. આ પહેલા ભીલીસ્તાન વિકાસ મોરચા (Bhilistan Vikas Morcha) અને ભીલીસ્તાન ટાઈગર સેના (Bhilistan Tiger Sena) ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા (Mahesh Vasava) એ અલગ ભીલીસ્તાન (Separate Bhilistan) રાજ્યની માંગણી કરી હતી.
મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (droupadi murmu) , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનની સરકારને મળી અલગ ભીલીસ્તાન રાજ્યની માંગણી સાથે રાજયપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. પશ્ચિમ ભારતના ચાર રાજ્યોના આદિવાસી સમાજ વસવાટ કરે છે. તેમનો વિકાસ થવાની સાથે વિવિધ બોલીઓ અને સાંસ્કૃતિક ઓળખ ટકી રહે તે માટે એક રાજ્યની રચનાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત પશ્ચિમ ભારતના ચાર રાજ્યોના આદિવાસી સમાજો અપૂરતા વિકાસ અને રાજકીય તેમજ નીતિગત નિર્ણયોમાં ઉપેક્ષા સામે વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો: 'માન્યવર' બનવું સહેલું છે, 'બહેનજી' બનવું અઘરું છે
છેલ્લા ૧૫ વર્ષથી ભીલિસ્તાન વિકાસ મોરચાના બેનર હેઠળ શિસ્તબદ્ધ આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ મામલે સમયાંતરે રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢનું નિર્માણ કર્યું હતું તેવી જ રીતે ભીલીસ્થાનને અલગ રાજ્ય જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે.
આદિવાસી જનનેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) એ ફરી એકવાર ભીલ પ્રદેશ (Bhil Pradesh) ની માગ ઉચ્ચારી છે. જેને પગલે હવે આદિવાસી સમાજના અન્ય નેતાઓએ પણ તેમાં જોડાયા છે. નર્મદા જિલ્લાનાં સાગબારા (Sagbara) તાલુકાના નાનીનાલ (Naninal) ગામે લોક સંઘર્ષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) એ ફરી ભીલ પ્રદેશની માગ કરી હતી. ચૈતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, “સરકારનાં તમામ વાયદાઓ હજું પણ અધૂરા છે. રોજગારી અને ખેડૂતોની જમીનની વાયદા અધૂરા છે. આપણી જમીનની લડતમાં આપણે જરા પણ પાછી પાની નહીં કરીએ. આપણે આપણી જમીનો બચાવીશું. વન વિભાગ દ્વારા જેસીબી અને મજૂરોને સાથે રાખી આપણા લોકોનાં મકાનો-ઝુંપડા અને ઊભા પાકનો નાશ કરવામાં આવ્યો છે. આ મુદ્દે સરકારને રજુઆત કરીશું. આજે સિસ્ટમમાં આપણા લોકો મોટા પદો પર ન હોવાનાં કારણે આપણી પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે.”
ચૈતર વસાવા (Chaitar Vasava) એ આગળ કહ્યું કે, “ભીલ પ્રદેશની લડાઈને આપણે સાથે મળીને આગળ લઈ જવી પડશે. ત્યારે જ આપણે આપણા સમાજનો વિકાસ કરી શકીશું. આદિવાસી લોકોના વિકાસ માટે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનાં આદિવાસી લોકોએ સાથે મળીને દેશનું ૨૯ મું રાજ્ય બનાવવાની કવાયત હાથ ધરી છે. ચારેય રાજ્યનાં જેટલા પણ આદિવાસી લોકો છે તેમાંથી ૫૦% લોકો પોતાનાં ધર્મ, સંપ્રદાય અને પાર્ટીને બાજુમાં મૂકીને ૨૯માં રાજ્યની લડાઇ લડવા માટે તૈયાર છે. નર્મદાનું પાણી ૫૦૦ કેએમ દૂર પહોંચાડવામાં આવે છે, પરંતુ જે લોકોએ નર્મદા ડેમ માટે પોતાનાં ઘર અને ગામ ગુમાવ્યા તે લોકોને હજું પણ ન્યાય મળ્યો નથી.”
ચૈતર વસાવા (Chaitar Vasava) એ પ્રહાર કરતા કહ્યું કે, “સરકારે જે વચન આપ્યા હતા કે પરિવારનાં એક સભ્યને સરકારી નોકરી મળશે, જમીન મળશે, સિંચાઈ માટે પાણી મળશે, વીજળી મળશે એ તમામ વાયદાઓ હજું પણ અધૂરા છે.”
આ પણ વાંચો: સ્કોલરશીપ ફરી શરૂ કરો, નહીંતર આદિજાતિ કમિશનર કચેરીને તાળાં મારીશું...