પતિ સાથે રહેતી પત્નીના અન્યો સાથેના સંબંધથી જન્મેલું બાળક પતિનું જ ગણાય

વીસ વર્ષથી ચાલતા કેસમાં સુપ્રીમ કોર્ટે મહિલાની શાખ, ડીએનએ ટેસ્ટ ન કરાવવાના પ્રાઈવસીના અધિકાર સહિતના કારણોને ધ્યાનમાં રાખીને ચૂકાદો આપ્યો.

પતિ સાથે રહેતી પત્નીના અન્યો સાથેના સંબંધથી જન્મેલું બાળક પતિનું જ ગણાય
image credit - Google images

સુપ્રીમ કોર્ટે છેલ્લા બે દાયકાથી ચાલી રહેલા એક કેસમાં ચોંકાવનારો ચૂકાદો આપ્યો છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, પતિ સાથે રહેતી પત્નીના અન્યો સાથેના સંબંધથી જન્મેલું બાળક પતિનું જ ગણાય. આ કેસ ડીએનએ ટેસ્ટ ના કરાવવા માગતા એક પુરુષની પ્રાઇવસીનો અધિકાર અને ટેસ્ટની માગ કરી રહેલાના ભરણપોષણ અને તેના મૂળ પિતા કોણ છે તે જાણવાના એક પુત્રના અધિકારો વચ્ચેનો હતો. સુપ્રીમ કોર્ટે પ્રાઇવસીના અધિકારને ધ્યાનમાં રાખીને અંતે પુત્રની માગ ઠુકરાવી હતી. સુપ્રીમે પ્રાઇવસી, મહિલાનો અને પુત્રનો અધિકાર એમ ત્રણેય મુદ્દાને ધ્યાનમાં રાખી ચુકાદો આપ્યો હતો.  મહિલાના લગ્ન ૧૯૮૯માં થયા હતા, ૧૯૯૧માં એક બાળકીનો જન્મ થયો જે બાદ ૨૦૦૧માં એક બાળકનો જન્મ થયો હતો. ૨૦૦૩માં મહિલા પતિથી અલગ થઇ ગઇ, બાદમાં વર્ષ ૨૦૦૬માં બન્ને વચ્ચે છૂટાછેડા થઇ ગયા.

આ દરમિયાન મહિલાએ નગરપાલિકામાં અરજી કરી અને પોતાના ૨૦૦૧માં જન્મેલા બાળકના પિતાનું નામ બદલવા માગ કરી અને દાવો કર્યા કે તેના મૂળ પિતા કોઇ અન્ય પુરુષ છે. જો કે પાલિકાએ અરજી ઠુકરાવી દીધી. બાદમાં સ્થાનિક કોર્ટમાં અપીલ કરાઇ, કોર્ટે બાયોલોજિકલ પિતાનો ડીએનએ ટેસ્ટ કરાવવા આદેશ આપ્યો, જેને બાયોલોજિકલ પિતાએ હાઇકોર્ટમાં પડકાર્યો. હાઇકોર્ટે પ્રાઇવસીના અધિકારને માન્ય રાખીને ડીએનએ ટેસ્ટ ના પાડી દીધી. સાથે જ કહ્યું કે પેટરનિટી ટેસ્ટનો આદેશ ત્યારે જ આપી શકાય જ્યારે એ સાબિત થાય કે પતિ-પત્ની વચ્ચે કોઇ સંપર્ક નહોતો. તેથી હાઇકોર્ટના ચુકાદાને બાદમાં પુત્ર દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. જો કે સુપ્રીમ કોર્ટે પણ હાઇકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો.

સુપ્રીમમાં યુવકે દલીલ કરી હતી કે તેના મૂળ પિતા કોણ છે તે જાણવા ડીએનએ ટેસ્ટ જરૂરી છે, આ મારો અધિકાર છે. જો કે જેનો ડીએનએ ટેસ્ટ કરાવવાની માગ થઇ હતી તેણે પુત્રની આ માગનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે ડીએનએ ટેસ્ટથી મારી પ્રાઇવેસીનો ભંગ થશે.

સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે જ્યારે પુત્રનો જન્મ થયો ત્યારે મહિલા પોતાના પતિ સાથે એક ઘરમાં રહેતી હતી, આ દરમિયાન અન્ય કોઇ પુરુષ સાથે સંબંધથી પણ જો કોઇ બાળકનો જન્મ થાય તો તેવુ ના માની લેવાય કે મહિલા અને તેના પતિ વચ્ચે કોઇ સંબંધ નહોતો. એવુ માની પણ લઇએ કે મહિલા લગ્નેત્તર સંબંધમાં હતી અને તેનાથી જ બાળકનો જન્મ થયો તો પણ આ દલીલ પૂર્ણ નથી. કોઇ એક કે તેથી વધુ સાથે સંપર્ક હોવાથી સાબિત નથી થતું કે મહિલાનો તેના પતિ સાથે કોઇ સંબંધ નહોતો. તેથી યુવકને તેના કાયદેસર પિતાનો જ પુત્ર માનવામાં આવે. આ મામલામાં મહિલાની શાખ, ડીએનએ ટેસ્ટ ના કરાવવાનો પ્રાઇવેસીનો અધિકાર વગેરેને ધ્યાનમાં રાખીને સુપ્રીમે આ ચુકાદો આપ્યો હતો.

આ પણ વાંચો: પતિ દલિત-પત્ની બિનદલિત હોય તો તેમના સંતાનોને અનામત મળે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.