OBC સમાજને સ્થાનિક ચૂંટણીઓમાં બેઠકોની ફાળવણીમાં મોટો અન્યાય

સમર્પિત આયોગના રિપોર્ટ અને સુપ્રીમ કોર્ટની સૂચનાઓને ભાજપ સરકાર ઘોળીને પી ગઈ. રિપોર્ટ તાત્કાલિક જાહેર કરવા માંગ ઉઠી.

OBC સમાજને સ્થાનિક ચૂંટણીઓમાં બેઠકોની ફાળવણીમાં મોટો અન્યાય

ગુજરાતની ડબલ એન્જિનની સરકાર રાજ્યના ઓ.બી.સી. સમાજને સતત અન્યાય કરતી આવી છે તેમજ તેની સાથે સતત ભેદભાવ રાખી રહી હોવાનો આક્ષેપ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ લગાવ્યો છે. રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસીની બેઠક ફાળવણીમાં મોટો અન્યાય કરી રહી છે. સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સમર્પિત આયોગનો રિપોર્ટ જાહેર નહીં કરાય તો મુખ્યમંત્રી કાર્યાલય પર ધરણાં કરવાની ચીમકી પણ અમિત ચાવડાએ આપી છે.

આજે વિધાનસભા ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પ્રેસ-મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં ચાવડાએ સરકાર સામે મોટા આરોપ લગાવીને કહ્યું છે કે, ઓબીસી સમાજને બજેટની ફાળવણીમાં ભેદભાવનો તો સામનો કરવો પડે પણ એનું રાજકીય પ્રતિનિધિત્વ સીમિત કરવા માટેના પ્રયત્ન થઇ રહ્યા છે.

ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દરેક રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓ.બી.સી.ની અનામત બેઠકો નક્કી કરવા માટે કમિશન બનાવવાની સૂચના અપાઈ હતી. જેના ભાગરૂપે જુલાઈ ૨૦૨૨માં જસ્ટીસ ઝવેરીના અધ્યક્ષ સ્થાને સમર્પિત આયોગની રચના કરાઇ. આયોગ દ્વારા અભ્યાસ કરીને નગરપાલિકા, તાલુકા, જિલ્લા, મહાનગર અને ગ્રામ પંચાયત જેને યુનિટ દીઠ ગણી યુનિટમાં ઓબીસીની કેટલી વસ્તી છે એને ૫૦%ની અપર લિમિટને ધ્યાનમાં રાખીને કેટલી અનામત આપી શકાય એનો અભ્યાસ કરવા માટે આયોગની રચના કરાઇ હતી. અને આયોગ દ્વારા વિગતવાર અભ્યાસ કરીને રિપોર્ટ તૈયાર કરાયો હતો. જો કે, કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળની રાજ્યપાલને રજૂઆત બાદ રાજ્યપાલની સૂચના બાદ લગભગ ૧૦ મહિના બાદ એપ્રિલ ૨૦૨૩માં સરકારે આયોગનો રિપોર્ટ સ્વીકાર્યો હતો.

ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં સ્વાભિમાન ધરણાં બાદ સરકારે કમિટી રચી અને સપ્ટેમ્બર-૨૦૨૩માં વિધાનસભામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭ ટકા ઓબીસી અનામત અંગેનું વિધેયક લવાયું હતું. જો કે સરકાર દ્વારા જસ્ટિસ ઝવેરીએ સમર્પિત આયોગમાં શું શું ભલામણો કરી છે? તેણે જાહેર કરવી જોઈએ તેવી માંગણી કરી હતી.

ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર એક અઠવાડિયામાં આ અંગે કાર્યવાહી નહિ કરે તો અમે મુખ્યમંત્રી પાસે છેલ્લે પત્રવ્યવહાર કરીને માંગણી કરી છે એ મુજબ રિપોર્ટ નહિ આપે તો ના છૂટકે મુખ્યમંત્રીના કાર્યાલય સામે ધરણાં કરવાની ચીમકી આપી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં OBC Commission ફક્ત કાગળ પર, એક સભ્યથી ચાલે છે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.