ગુજરાતમાં OBC Commission ફક્ત કાગળ પર, એક સભ્યથી ચાલે છે
પીએમ મોદી પોતાને ઓબીસી ગણાવે છે પણ તેમના જ ગૃહ રાજ્યમાં ઓબીસી કમિશન માત્ર કાગળ પર ચાલી રહ્યું છે. એક PILમાં આ મામલે અનેક બેદરકારીઓ સામે આવી છે.

પીએમ મોદી(PM Narendra Modi) જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે પોતાને ઓબીસી(OBC) ગણાવીને મત માંગતા રહે છે. 2014 અને 2019 ની લોકસભા ચૂંટણી(Lok Sabha Election)માં તેમણે પોતે ઓબીસી સમાજ(OBC Community)માંથી આવતા હોવાનો મુદ્દો ઉછાળીને રાજકીય લાભ મેળવવા પ્રયત્ન કર્યો હતો. જો કે, વડાપ્રધાનના ગૃહ રાજ્ય ગુજરાતમાં તેમના જ પક્ષની સરકારમાં ઓબીસી કમિશન(OBC Commission) સાવ કાગળ પર ચાલી રહ્યું છે. કમિશનમાં સમ ખાવા પુરતા માત્ર એક સભ્ય છે, જેના કારણે ઓબીસી જ્ઞાતિઓની સમીક્ષા સહિતની કામગીરીઓ અટકી પડી છે અને 27 ટકા ઓબીસી સમાજને જે લાભો મળવા જોઈએ તે તેમના સુધી પહોંચી રહ્યાં નથી.
હાલ દેશભરમાં ઓબીસી રાજકારણ(OBC Politics) જોર પકડી રહ્યું છે. જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો હવે મુખ્યધારાના રાજકારણના કેન્દ્રમાં આવી ગયો છે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ઓબીસી સમાજ માટે રચાયેલું ઓબીસી કમિશન સાવ શોભાના ગાંઠીયા જેવું બની ગયું છે. ગુજરાતમાં કાયમી ઓબીસી કમિશનની રચનાને લઈને હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી થયેલી છે. જેમાં કમિશનને લઈને અનેક બેદરકારીઓ સામે આવી રહી છે.
રાજ્યમાં કાયમી ઓબીસી કમિશનની રચના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ(Gujarat High Court) સમક્ષ થયેલી જાહેરહિત(PIL)ની અરજીમાં બે દિવસ પહેલા સરકાર તરફથી સંતોષજનક જવાબ નહી મળતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ(Chief Justice Sunita Aggarwal) અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે, "તમારું કમિશન એક સભ્યથી ચાલે છે અને તે કાગળ પર છે. તમે સાત મહિનામાં કર્યું શું તે જણાવો. સરકાર પાસે યોગ્ય જવાબ ના હોય તો કોર્ટ સમક્ષ નકામી દલીલો કરીને સમય બરબાદ ન કરો."
આ પણ વાંચો: હવે ઓબીસી પ્રમાણપત્ર મેળવવા રેવન્યૂ રેકોર્ડ પુરાવા તરીકે માન્ય ગણાશે
હાઇકોર્ટે આ કેસમાં રાજ્યના ચીફ સેક્રેટરી(Chief Secretary) પાસેથી હવે જવાબ માંગ્યો છે અને કેસની વધુ સુનાવણી આગામી તા. 20 સપ્ટેમ્બર પર નક્કી કરી છે.
આ પીઆઈએલમાં જણાવાયું છે કે, ગુજરાતમાં કાયમી ઓબીસી કમિશનની જ નથી, જેના કારણે સુપ્રીમકોર્ટના નિર્દેશોનો પણ ભંગ થાય છે. રાજ્યમાં ઓબીસી કમિશન માત્ર એક સભ્યના સહારે ચાલી રહ્યું છે, જેના ચેરમેન નિવૃત્ત હાઇકોર્ટ જજ છે. દર 10 વર્ષે ઓબીસી જ્ઞાતિઓને લઈને સમીક્ષા સહિતની કામગીરી કરવાની હોય છે, પણ અહીં એક જ સભ્ય હોવાથી તે કામગીરી જ ખોરંભે પડી છે. કમિશનમાં ચેરપર્સનની સાથે બીજા બે સભ્યોની નિમણુક હજુ સુધી કરાઈ નથી.
ઓબીસી કમિશનમાં બાકી બે સભ્યોની નિમણૂંક કેમ નથી કરી તે અંગે સરકારનો જવાબ સાંભળી હાઇકોર્ટે ગંભીર નારાજગી વ્યકત કરી હતી. તેણે સરકારની ઝાટકણી કાઢતાં સવાલ કર્યો હતો કે, "તમે શું કામ થયું છે તે વિશે જણાવો. ઓબીસી કમિશન માત્ર કાગળ પર જ છે. સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ, એક સભ્યનું કમિશન હોઈ શકે નહીં. જો સુપ્રીમ કોર્ટના ચુકાદાનું તમારી રીતે અર્થઘટન કરી સરકાર એક મેમ્બરના કમિશનથી કામ ચલાવવા માંગતી હોય તો શા માટે બીજા બે મેમ્બર લેવા માટે ઠરાવ કરવામાં આવ્યો? સરકાર પાસે જો યોગ્ય જવાબ ના હોય તો, સમય માંગે પણ નકામી દલીલો કરે નહીં."
હાઇકોર્ટે વઘુમાં ટકોર કરી હતી કે, સરકારે જાન્યુઆરી મહિનામાં કોર્ટને બે સભ્યોની નિમણુક કરવા બાબતે બાંહેધરી આપી હતી, આજકાલ કરતા તેને પણ સાત મહિના વીતી ગયા છે, પણ બે સભ્યોની નિમણૂંક થઈ નથી, આવું કેમ, આ સાત મહિનામાં આ દિશામાં શું કામ કર્યું? કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન ના કરશો. આખરે હાઇકોર્ટે સમગ્ર મામલાની ગંભીર નોંધ લઈ હવે આ કેસમાં ખુદ રાજ્યના ચીફ સેક્રેટરી પાસેથી જવાબ માંગ્યો છે અને કેસની વધુ સુનાવણી તા. 20મી સપ્ટેમ્બર પર મુલતવી રાખી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા જેવું, ફક્ત 1 સભ્યથી ચાલે છે!