હવે ઓબીસી પ્રમાણપત્ર મેળવવા રેવન્યૂ રેકોર્ડ પુરાવા તરીકે માન્ય ગણાશે
રાજ્ય સરકારે ઓબીસી સમાજના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે હવેથી રેવન્યૂ રેકોર્ડને પુરાવા તરીકે માન્ય રાખવાનું નક્કી કર્યું છે.

ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના બક્ષીપંચ સમાજના બાળકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે રાજ્યના ઓબીસી સમાજના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા ઘણી સરળતા કરી આપી છે. આ જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે હવેથી રેવન્યૂ રેકોર્ડને પણ પુરાવા તરીકે માન્ય ગણાશે.
આ અગાઉ વર્ષ 1/4/1978 પહેલા જન્મેલા લોકોને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ રાખવામાં આવતો હતો. આ માટે ગુજરાત રાજ્યની બક્ષીપંચ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
પછાત વર્ગના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ખરાઈની કામગીરી નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા કરાય છે. વંચાણે લીધા ક્રમાંક ઉપરના ઠરાવથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી ખરાઈ અર્થે રાજ્ય કક્ષાની વિશ્લેષણ સમિતિની રચના કરાયેલી છે. ઉપરના આ વિભાગના તારીખ 25/02/2022ના પરિપત્રથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને નિમણૂક આપતા પૂર્વે જાતિ પ્રમાણપત્રોની ચકાસણી ખરાઈ કરવા બાબત અંગે જરૂરી સૂચનાઓ પ્રસિધ્ધ કરાઈ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા જેવું, ફક્ત 1 સભ્યથી ચાલે છે!
વધુમાં જાતિ પ્રમાણપત્રની ચકાસણી માત્ર ભૌતિક ખરાઈ પૂરતી સીમિત નથી, પરંતુ આ ચકાસણીના સંદર્ભમાં સંબંધિત ઉમેદવાર ખરેખર જે તે જાતિ પૈકીની જાતિના છે કે કેમ? તે અંગે ઉંડાણપૂર્વક ચકાસણી કરાતી હોઈ આવા ઉમેદવારોની જાતિ, ગુજરાતના મૂળવતની હોવા અંગેના પર્યાપ્ત આધારો મેળવીને તથા ચકાસણી કરીને ઉમેદવારના જે તે જાતિ અંગેના દાવાની યોગ્યતા અંગે નિર્ણય લેવામાં આવે છે. આ પ્રક્રિયા સંવેદનશીલ તેમજ ઉમેદવારના ભવિષ્યને સીધી રીતે અસરકર્તા છે.
આથી સરકારી સેવાઓમાં નિમણૂકમાં વિલંબ નિવારવા માટે વિકસતિ જાતિ કલ્યાણ કચેરીના પત્રથી આ અંગે જરૂરી સૂચનાઓ પ્રસિધ્ધ કરવા વિનંતી કરાઇ હતી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી પ્રક્રિયા સ્પષ્ટ અને ઝડપી બનાવવા તેમજ વાસ્તવિક અરજદારને જ લાભ મળે તે માટે જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરાયો છે.
આ માટે તમામ વિભાગના વડાઓને આ અંગેની જાણ કરી દેવાઇ છે અને વિવિઘ ભરતી કરતી સંસ્થાઓમાં વર્ગ 3ની ભરતીની પસંદગી પામેલા ઉમેદવારોની સંખ્યા ખૂબ વધુ હોવાથી સમય મર્યાદામાં પ્રમાણપત્રોની ચકાસણી ખરાઈ કરવી જરૂરી હોવાથી રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: જન્મના પ્રમાણપત્રમાં સુધારા માટે હવે એફિડેવિટની જરૂર નહીં પડે