સ્વામિનારાયણના હરિભક્તે NRI પટેલ સાથે રૂ. 1.23 કરોડની ઠગાઈ કરી
સોખડા હરિધામ ખાતે મુલાકાત થયા બાદ અલગ અલગ સ્કીમો બતાવી રોકાણ કરાવી રૂપિયા ચાંઉ કરી ગયા. એનઆરઆઈને કેસ કરવાની ધમકી આપી.

સ્વામીનારાયણના સંતો અને હરિભક્તો પર મંદિર બનાવવાના નામે ખેડૂતો સાથે છેતરપિંડીના અનેક કેસો નોંધાતા રહે છે. ત્યારે હવે એક હરિભક્તે એનઆરઆઈ હરિભક્તને શીંશામાં ઉતાર્યાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ મહીસાગરના લુણાવાડાના વતની એવા એક કેનેડીયન એનઆરઆઈને ઓછા સમયમાં રૂપિયા બમણાં કરવાની લાલચ આપીને એક હરિભક્તે શીંશામાં ઉતાર્યા હતા. વિદ્યાનગરના સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તે એનઆરઆઈ સાછે રૂ.૧.૨૩ કરોડની છેતરપિંડી આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મામલો શું હતો?
મહીસાગરના લુણાવાડાના દલુખડિયાના વતની અને કેનેડાના સિટીઝન બનેલા કલ્પેશકુમાર કાંતિલાલ પટેલ (ઉં.વ.૪૭) મીસીસાગા શહેરમાં એજ્યુકેશન ઈન્સ્ટીટયુટ ચલાવે છે. વર્ષ-૨૦૨૨માં તેઓ વડોદરાના હરિધામ સોખડા ખાતે ગયા હતા જ્યાં તેમની મુલાકાત વિદ્યાનગરના મિલનકુમાર ઉર્ફે નિશ્ચિંત મનુભાઈ પટેલ સાથે થઈ હતી. મિલને કલ્પેશભાઈને જણાવ્યું હતું કે, તે ૧૮ વર્ષ જેટલો સમય સ્વામિનારાયણ સંપ્રદાયના હરિપ્રસાદ સ્વામી સાથે સહિષ્ણુ સેવક તરીકે રહેલો છે અને વિદ્યાનગરના રેલવે સ્ટેશન રોડ પર સરદાર પટેલ સ્ટેચ્યૂ પાસે આવેલા નેપ્ચુન સ્ક્વેરમાં પ્રબોધમ ઈન્ટરનેશનલ નામથી રીયલ એસ્ટેટ, કોસ્મેટિક પ્રોડક્ટ અને વિઝા કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. સાથે જ પોતાની પાસે ટુંક સમયમાં રૂપિયા બમણા થાય તેવા રોકાણના વિવિધ પ્રકલ્પો છે. જેથી કલ્પેશે વિશ્વાસમાં આવીને રૂ.૨૩ લાખ રોકડ આપ્યા હતા.
23 લાખ મળ્યાં બાદ વર્તન બદલાઈ ગયું
એ પછી મિલને પટેલે રૂ.૨૩ લાખ રોકડના બદલામાં સિક્યુરીટી પેટે કરમસદમાં આદિત્ય હાર્મની એપાર્ટમેન્ટમાં મારી મમ્મી જયાબેન મનુભાઈ પટેલના નામનો તથા અમારા ઓળખીતા અમિતાબેન દિપકભાઈ દેસાઈના ફ્લેટનો દસ્તાવેજ કરી આપું છું તેમ જણાવ્યું હતું. જેના બદલામાં કલ્પેશ પાસેથી ચાર કોરા ચેકના ફોટો મંગાવ્યા હતા. બાદમાં બંને ફ્લેટના દસ્તાવેજ કરી આપ્યા હોવાનું અને રૂપિયા રોકાણ કરીને સારા એવા પ્રોફિટ અપાવું ત્યારે ફ્લેટના દસ્તાવેજ કેન્સલ કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો: સ્વામિનારાયણ સાહિત્યમાં વાહિયાત અને તદ્દન જૂઠાં પરચાઓ છે
બાદમાં એક કરોડ રૂપિયાનું રોકાણ કરો તો એક વર્ષમાં મૂડી પાછી મળશે અને ૧૨થી ૧૮ મહિનામાં એક કરોડ જેવો વધારાનો પ્રોફિટ થશે તેમ જણાવ્યું હતું. મિલન હરિભક્ત હોવાથી કલ્પેશે વિવિધ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. ૧,૩૦,૭૨,૫૦૦ આપ્યા હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરાયો છે.
છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ
સમયમર્યાદા પૂરી થતાં કલ્પેશે નાણાં માંગતા મિલને રૂ.૭.૫૦ લાખ રોકડ પરત મોકલી હતી. બાકીના પૈસા સ્કીમમાં રોકણ કર્યા હોવાથી ત્યાંથી પરત આવે એટલે આપવાના બહાના બનાવ્યા હતા. જોકે, કલ્પેશે વિદ્યાનગર ખાતે જઈને મિલન પાસેથી નાણાં પરત માંગતા મિલને જણાવ્યું હતું કે, તમને જે બે ફ્લેટના દસ્તાવેજ કરી આપ્યા છે, તેમાં તમારા ચેકના ઉલ્લેખ કર્યા છે, તેના પૈસા હજુ સુધી મકાન માલિકોને મળ્યાં નથી. તમે કોઈ ચેક આપ્યા વિના ફ્લેટનો દસ્તાવેજ કરાવી લીધો છે તેમ કહી ખોટો કેસ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં શખ્સે જાન્યુઆરી-૨૦૨૪માં સ્વહસ્તાક્ષર કરી તા.૨૩ મે ૨૦૨૪ સુધીમાં નાણાં ચૂકવી દેવાનો વાયદો કર્યો હતો. પરંતુ હજૂ સુધી નાણાં પરત ન કરતા કલ્પેશ પટેલે વિદ્યાનગર પોલીસ મથકે મિલન ઉર્ફે નિશ્ચિંત પટેલ વિરૂદ્ધ ૧.૨૩ કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ બાદ જાન્યુઆરી 2025માં બાકરોલના મંદિર ખાતે એનઆરઆઈ કલ્પેશ પટેલ અને હરિભક્ત મિલન પટેલ મળ્યા હતા. અહીં પણ મિલને રૂપિયા પરત કરવાને બદલે ગાળો ભાંડીને જે થાય તે કરી લેવાની ધમકી ઉચ્ચારી હતી. તેણે ત્યાં સુધી કહી દીધું હતું કે, નફો તો દૂરની વાત છે, હવે તને મૂડીની રકમ પણ નહીં મળે. તેણે પોતાને રાજકારણીઓ સાથે ઉંચા સંપર્કો હોવાની શેખી મારી હતી. આમ એક પટેલ સ્વામીનારાયણ હરિભક્તે અન્ય એનઆરઆઈ હરિભક્ત સાથે છેતરપિંડી આચરી હતી.
આ પણ વાંચો: સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે વેપારી સાથે 2.63 કરોડની છેતરપિંડી