ઘરઘાટી, ગૃહયોગી, હાઉસ હેલ્પર: ન ઉજળું નામ, વધુ કામ, કમ દામ

દિવાળીના તહેવારો પૂર્વેની ઘરની સાફ-સફાઈ કામવાળા બહેન કે ભાઈ વિના શક્ય છે? જે રોજેરોજ આપણાં ઘરોને ઉજળા રાખે છે અને વારે-તહેવારે ચમકાવે છે એવા ઘરના અનિવાર્ય સભ્ય જેવા આ વર્ગને સન્માનજનક નામથી આપણે સંબોધીએ છીએ ખરા?

ઘરઘાટી, ગૃહયોગી, હાઉસ હેલ્પર: ન ઉજળું નામ, વધુ કામ, કમ દામ

ચંદુ મહેરિયા

દિવાળીના તહેવારો પૂર્વેની ઘરની સાફ-સફાઈ કામવાળા બહેન કે ભાઈ વિના શક્ય છે? જે રોજેરોજ આપણાં ઘરોને ઉજળા રાખે છે અને વારે-તહેવારે ચમકાવે છે એવા ઘરના અનિવાર્ય સભ્ય જેવા આ વર્ગને  સન્માનજનક નામથી આપણે સંબોધીએ છીએ ખરા? પહેલા (અને કદાચ આજે  પણ) એ ઘરઘાટી, રામલો કે રામલી તરીકે ઓળખાતા. પછી રામો કે રામુ થયું, નોકર-નોકરાણી બન્યા, કામવાળા બહેન અને ભાઈ કહેવાયા, ક્યાંક દીદી તરીકે બોલાવાયાં, સાધન-સંપન્ન અને અંગ્રેજી જાણતો વર્ગ તેમને ડોમેસ્ટિક વર્કર, હોમ મેનેજર અને હવે હાઉસ હેલ્પર ગણાવે છે. વીસેક વરસથી  ગુજરાત સરકારે સરકારી કર્મચારીનું નામકરણ કર્મયોગી અને તમામ પ્રકારના મજૂર કે કામદારનું શ્રમયોગી કર્યું છે. એ જ તર્જ પર ઘરઘાટી કે કામવાળા માટે ગૃહયોગી કર્યાનું જાણ્યું નથી. ગરિમાપૂર્ણ નામ જરૂર હોવું જોઈએ પણ સાથે તેમના પ્રત્યેનું વર્તન અને મળતર પણ વાજબી હોવું જોઈએ. પરંતુ હજુ જેને સન્માનસૂચક નામ જ નસીબ નથી થયું તેના માટે આ બહુ દૂરની વાત આજે તો લાગે છે. 

શ્રમયોગી કે શ્રમયોગિની દેશનો બહુ મોટા અસંગઠિત શ્રમિક વર્ગ છે. ભારતના કામદાર વર્ગનો તે સૌથી વધુ ઉપેક્ષિત અને શોષિત હિસ્સો છે. તેના કામનું સ્થળ(વર્કપ્લેસ) કોઈકનું ઘર(પ્રાઈવેટ સ્પેસ) છે. એ કહેવાય તો છે ઘરકામમાં સહાયક પણ તેનો જોબચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ઘરના લગભગ સઘળાં કામો તેણે કરવાના હોય છે. કચરા-પોતાં, ઠામ-વાસણ, લુગડાં ધોવા, જમવાનું બનાવવું, બાળકો, વૃધ્ધો, અસહાય  અને બીમારની દેખભાળ, મેડમ અને સરના ઓફિસના અને ઘરના ટાઈમ સાચવવા, બાળકોને સ્કૂલે કે વાનમાં લેવા-મૂકવા જવાં, ઘરમાં નિયમિત ઝાપટ-ઝૂપટ કરવી, સંડાસ-બાથરૂમ ધોવા, બાબાભાઈ કે બેબીબહેનને ઉંઘાડવા-જગાડવા, તેમને દૂધ પાવું, ઘરની બીમાર વ્યક્તિને દવાખાને લઈ જવાય ત્યારે  સંભાળ માટે સાથે જવું, કપડાંને ઈસ્ત્રી કરવી, ઘરની ચોકીદારી અને બાગકામ જેવા કંઈક કામો તેણે કરવાના હોય છે. આ કામો જોતાં ભારતના ધનાઢ્યથી માંડીને મધ્યમવર્ગીય જીવનમાં ઘરનોકરની પાયાની ભૂમિકા છે. શહેરીકરણમાં વૃધ્ધિ, સંયુક્ત પરિવારોનું તૂટવું અને પતિ-પત્ની બંનેનું કમાવું- જેવા કારણોથી પણ કામવાળાની અનિવાર્યતા વધી છે. 

પહેલાના સમયમાં ઘરના કામો શ્રમદોહનના સામંતી ઢાંચામાં જુદા ગણાતા નહોતા. સામંતી શોષણ સામે સંઘર્ષ પછી તે જુદાં પડ્યાં. શાયદ એટલે જ ૧૯૩૧માં ૨૭ લાખ કામવાળા(મુખ્યત્વે પુરુષો)  ૧૯૭૧માં ઘટીને ૬૭ હજાર થઈ ગયા હતા. જોકે ભારતે નવી અર્થનીતિ અપનાવી એટલે વૈશ્વિકીકરણના વાયરે ૧૯૯૧માં એ ૧૦ લાખ( ૭૫ ટકા મહિલાઓ) થયાં હતા. આજે તેનો કોઈ ચોક્કસ આંકડો નથી પણ લાખો અને કરોડોનો હોવાનું કહેવાય છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થાના એક અનુમાન મુજબ ભારતમાં ૪૭ લાખ ઘરનોકરો  છે. જેમાં ૩૦ લાખ મહિલાઓ છે. ભારત સરકારના ઈ-શ્રમ પોર્ટલ પર ૮.૫૬ કરોડ નોંધાયેલા અસંગઠિત શ્રમિકો છે, જેના આઠથી દસ ટકા ઘરનોકરો છે. બેંગલુરૂમાં ૭૫ ટકા  કામવાળા દલિત અને માત્ર ૨ ટકા જ કથિત ઉચ્ચ વર્ણના છે. આખા દેશમાં પણ દલિત, આદિવાસી, પછાત અને ગરીબ મહિલાઓ જ આ કામ કરે છે. 

ભલે સામંતી શોષણ ઘટ્યાનું કહેવાતું હોય દલિતોના લલાટે તો હજુ ય તે લખાયેલું છે. ભારતના ગામડાંઓમાં દલિત મહિલાઓને ગામના કથિત ઉચ્ચ વર્ણના લોકોના છાણવાસીદાથી માંડીને ઘરનું આંગણું, ઢોરની ગમાણ ચોખ્ખા રાખવાના અને માલ-ઢોરને ચારો-પાણી આપવાના કામો છાશ-રોટલાના બદલામાં કરવા પડે છે.

ઘરના કામો કરનારાઓમાં મહિલાઓ, સગીરવયની બાળકીઓ તથા પરપ્રાંતિય સ્થળાંતરિત કામદારો હોય છે. ગૃહયોગીઓની દિનચર્યા થકવી નાંખનારી અને ઘણી લાં...બી હોય છે. તેમના કામના કલાકો નિશ્ચિત હોતા નથી. ઘરમાલિકોનો તેમના પ્રત્યેનો વર્તાવ નકારાત્મક, શંકાળુ અને અપમાનજનક હોય છે. કામાવાળાઓ પરના અત્યાચારોના સમાચારો ઘણીવાર છાપાંના પાને ચઢે છે. તેમાં શારીરિક હિંસા, માનસિક ત્રાસ અને ભેદભાવ પણ છે. જે સંડાસ-બાથરૂમ તે સાફ કરે છે તેનો ઉપયોગ તે કરી શકતાં નથી. લિફ્ટનો ઉપયોગ પણ પ્રતિબંધિત હોય છે. ખાવાનું વાસી અને વધેલું-ઘટેલું આપવામાં આવે છે. સાજે-માંદે કે તહેવારોમાં જ રજા મળતી નથી એટલે અઠવાડિક રજાનો તો સવાલ જ નથી. લગભગ બધા જ કામો વાંકા વળીને કે લાંબો સમય ઉભાઉભા કરવાના હોય છે. ઘરમાં તેને ટી.વી જોવાની કે સોફા-ખુરશી-પલંગ પર બેસવાની મંજૂરી નથી. તેણે હંમેશા ભોંય પર જ  બેસવું પડે છે. તેના ખાવા-પીવાના વાસણો જુદા રાખવામાં આવે છે. 

ઘરકામ કરનારાઓમાં કેટલાક લિવ ઈન(પૂર્ણકાલીન) અને કેટલાકા લિવ આઉટ(અંશકાલીન) છે. ફુલટાઈમ કામવાળાને દિવસરાત ઘરમાલિક્ને ત્યાં જ રોકાઈને બધાં કામો કરવાના હોય છે. તેને ઘરના ગેરેજ, સ્ટોર રૂમ કે બીજે રહેવાનું મળે છે. જ્યારે પાર્ટટાઈમ કામ કરનારને કામના ચોક્કસ સમયે આવીને કામ નિપટાવવાનું હોય છે. આ પ્રકારના કામો તેઓ એક કરતાં વધુ ઘરે કરતાં હોય છે. 

કહેવાતી હાઉસ હેલ્પના બદલામાં આ શ્રમિકોને મળતું મહેનતાણું તેમના કામના બદલામાં ઘણું ઓછું હોય છે. પાટનગર ગાંધીનગરમાં શ્રમિકોના યુનિયને કોઈ એક કામ(દા.ત. કચરા-પોતું, વાસણ, કપડાં)ના માસિક રૂ. ૯૦૦ ઠરાવ્યા છે. એટલે દિવસના રૂ.૩૦ થયાં. સવાર-સાંજ વાસણ માંજવાના હોય તો એક ટાઈમના ૧૫ રૂ. જ કહેવાય. દિલ્હી અને જયપુરના કામવાળા બહેનો પરનું એક અધ્યયન જણાવે છે કે ૬૮ ટકા મહિલાઓ મહિને રૂ. ૧૦ હજાર કરતાં ઓછું કમાય છે. ઘરકામ કરીને રૂ. ૨૦,૦૦૦થી વધુ કમાતી મહિલાઓ માત્ર ૧.૯ ટકા જ છે. ૨૦ ટકાને મહિને રૂ. ૫૦૦૦ થી ઓછા, ૪૬ ટકાને ૫ થી ૧૦,૦૦૦ અને ૬.૯ ટકાને ૧૫ થી ૨૦,૦૦૦ મળે છે. 

દેશના કાયદામાં ઘરકામને વ્યવસાય ગણવામાં આવ્યું નથી. એટલે કામવાળાને દેશમાં શ્રમિકનો દરજ્જો મળ્યો નથી. તેના અધિકારો, સલામતી અને કલ્યાણ માટે કોઈ કાયદો કે યોજના નથી. તેની ચોક્કસ સંખ્યા નક્કી થઈ નથી. હાલની સરકારે ૨૦૨૧માં દેશના ૭૪૨ જિલ્લામાં સર્વે હાથ ધર્યો હતો. પણ સર્વેના તારણો હજુ જાહેર થયા નથી. મહિલા, દલિત-આદિવાસી-પછાત અને ગરીબ હોવાનું ત્રણ પ્રકારનું શોષણ શ્રમયોગિની સહે છે. સરકાર અને સમાજની સંવેદનશીલતા કે પછી તેમના મજબૂત સંગઠનો અને આંદોલનો જ કદાચ તેમના દુ:ખો નિવારી શકે.
maheriyachandu@gmail.com

આ પણ વાંચો : રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ગઢડામાં 25 વર્ષથી માથાભારે તત્વોએ પચાવી પાડેલી જમીન માલિકોને પરત અપાવી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.