દેશના અંતિમ જન સુધી બંધારણીય જોગવાઈઓ અને તેનો અમલ પહોંચે તે જ સાચું પ્રજાસત્તાક

75મા પ્રજાસત્તાક દિવસની પ્રભાત ઉગી ચૂકી છે, પણ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઉજવણી નહીં પરંતુ ચિંતા કરવી પડે તેવી સ્થિતિ છે. બંધારણના ઘડવૈયાઓએ એક નાગરિક તરીકે આપણને જે બંધારણીય હકો આપ્યા હતા તેના પર ખૂલ્લેઆમ તરાપ પડી રહી છે. દેશ માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્યસેનાનીઓની કલ્પનાથી વિપરીત ભારત અસ્તિત્વમાં આવ્યું છે ત્યારે વરિષ્ઠ પત્રકાર ચંદુ મહેરિયા અહીં પ્રજાસત્તાકનો સાચો અર્થ સમજાવવા પ્રયત્ન કરે છે.

દેશના અંતિમ જન સુધી બંધારણીય જોગવાઈઓ અને તેનો અમલ પહોંચે તે જ સાચું પ્રજાસત્તાક
all images by Google images

ચંદુ મહેરિયા

એક ઓર પ્રજાસત્તાક પર્વ આંગણે આવીને ઊભું છે. ઓણ વળી પંચોતેરમું છે એટલે એનું સ્મરણ અનેરું છે. 26મી જાન્યુઆરી 1950ના દિવસથી સ્વતંત્ર ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને આપણે પ્રજાસત્તાક કહેવાયા. આ 26મી જાન્યુઆરીની પ્રજાસત્તાક દિન તરીકેની પસંદગી પણ ખાસ કારણસરની છે. પંડિત નહેરુના પ્રમુખસ્થાને ડિસેમ્બર 1929માં લાહોરમાં રાવી તટે કૉંગ્રેસનું અધિવેશન ભરાયેલું. તેમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ થયેલો. અંગ્રેજોને 26મી જાન્યુઆરી 1930 સુધીની મહેતલ પૂર્ણ સ્વરાજ માટે આપવામાં આવેલી હતી. ગુલામ ભારતની 26મી જાન્યુઆરીની પૂર્ણ સ્વરાજની ઘોષણા પછી તો આઝાદ ભારતનો પ્રજાસત્તાક દિન જ બની રહે ને? 15મી ઑગસ્ટ 1947ના રોજ જે સત્તાનું હસ્તાંતરણ થયું હતું તે 26મી જાન્યુઆરી 1950ના રોજ પૂર્ણ સ્વરાજની અપેક્ષા સાથે પ્રજાસત્તાક બન્યું.


ભારતની બંધારણસભાએ 2 વરસ 11 માસ અને 18 દિવસની જહેમત પછી હાલનું બંધારણ ઘડ્યું છે. મુસદ્દા સમિતિના અધ્યક્ષના નાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરનો બંધારણના ઘડતરમાં સિંહફાળો છે. 25મી નવેમ્બર 1949ના દિવસે બંધારણસભા સમક્ષના પોતાના અંતિમ પ્રવચનમાં ડૉ. આંબેડકરે કહ્યું હતું, “26મી જાન્યુઆરી, 1950ના રોજ ભારતનું પ્રજાસત્તાક રાજ્ય સ્થપાતાં આપણે વિરોધાભાસોથી ભરેલી જીવનવ્યવસ્થામાં પ્રવેશીશું. રાજકીય દૃષ્ટિએ આપણે સમાનતા આણીશું પરંતુ સામાજિક અને આર્થિક અસમાનતા ચાલુ જ છે. રાજકીય રીતે ‘એક વ્યક્તિ, એક મત’નું મૂલ્ય સ્વીકાર્યું છે, પણ સામાજિક-આર્થિક જીવનમાં આપણા વર્તમાન માળખાને લઈને ‘એક વ્યક્તિ, એક મૂલ્ય’ના સિદ્ધાંતનો ઇન્કાર ચાલુ જ છે. આ અસમાનતા અને વિરોધાભાસ ક્યાં સુધી ચાલુ રાખીશું?” ભારતમાં પ્રવર્તતી સામાજિક આર્થિક ગેરબરાબરીથી ચિંતિત બાબાસાહેબે એવી ચેતવણી પણ ઉચ્ચારી હતી કે, “સામાજિક-આર્થિક અસમાનતા જો લાંબો સમય ચાલુ રહેશે તો તેનાથી પીડાતા લોકો બંધારણસભાએ જહેમતપૂર્વક તૈયાર કરેલ રાજકીય લોકશાહીની ઇમારતને ધ્વસ્ત કરતાં અચકાશે નહીં.” ૨૦૨૪ મેં ભી મોદી આયેંગે ના પ્રચાર અને વિપક્ષી I N D I A ગઠબંધનના સાથીઓના રિસામણા-મનામણાં વચ્ચે દેશ લોકસભાની ચૂંટણીના માહોલમાં પ્રવેશી ચૂક્યો છે ત્યારે આ વરસના પ્રજાસતાક પર્વે બંધારણ નિર્માતાઓના શબ્દો કાળજે ધરવા જેવા છે.


અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી અને આર્થિક અનામતની જોગવાઈ જેવા બંધારણ સુધારા સાથે ભારતનું સંવિધાન એના મૂળભૂત માળખાને અકબંધ રાખીને બદલાતું રહ્યું છે. એક તરફ ‘બંધારણ બચાવો’ની તો બીજી તરફ ‘બંધારણ બદલો’ની માગણીઓ પણ થતી રહી છે. બંધારણની હોળી થાય છે, તો એને હાથીની અંબાડી પર રાખી શોભાયાત્રાઓ પણ નીકળે છે. બંધારણના અનુચ્છેદ 368 અન્વયે સવાસો ઉપરાંતના સુધારા સહી ચૂકેલા ભારતના બંધારણની સમીક્ષા માટેના પ્રયત્નો પણ થયા છે. જસ્ટિસ વૈકટચૈલ્લેયાહના અધ્યક્ષપદે બંધારણના સુવર્ણજયંતી વરસે રચાયેલા બંધારણ સમીક્ષા પંચે 31મી માર્ચ 2002ના રોજ પોતાનો અહેવાલ ભારત સરકારને સુપરત કર્યો હતો.


બંધારણ સમીક્ષા પંચે ‘સામાજિક-આર્થિક પરિવર્તન અને વિકાસનો માર્ગ’ શીર્ષક હેઠળના અહેવાલના દસમા પ્રકરણમાં દલિતો, આદિવાસીઓ, પછાતવર્ગો, લઘુમતીઓ, સ્ત્રીઓ અને કામદારો સંદર્ભે જે મહત્વની ભલામણો કરી હતી તે તત્કાલીન સરકારને (અને કદાચ તે પછીની અને આજની સરકારને પણ) માફક આવે તેવી નહોતી. તેથી તે અહેવાલ અભરાઈએ ચઢાવી દેવાયો હતો. ચૂંટણીની વૈતરણી તરવા કે દેશમાં ચાલતા બિનઅનામત જ્ઞાતિઓનાં અનામત આંદોલનોથી છૂટકારો મેળવવા ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ પૂર્વે કેન્દ્ર સરકારે આર્થિક અનામતનો માર્ગ બંધારણ સુધારા મારફત લીધો હતો. લગભગ સઘળા વિપક્ષે(દલિતોના કહેવાતા પક્ષોએ સુધ્ધાં) સરકારના ઇરાદા અંગે થોડાં વાંધાવચકા સાથે તેનું સમર્થન કરવું પડ્યું હતું. આજે દલિતો-આદિવાસીઓ માટેની વર્તમાન અનામત વ્યવસ્થા અપર્યાપ્ત બની છે. વળી નવી આર્થિક નીતિ અને ખાનગીકરણના વધતા પ્રભાવમાં જ્યારે સરકારી કે જાહેર ક્ષેત્રની નોકરીઓ સંકોચાઈ રહી છે ત્યારે બે દાયકા પૂર્વે બંધારણ સમીક્ષા પંચે દલિતો-આદિવાસીઓ માટે ખાનગી ક્ષેત્રોમાં અનામતની નીતિ લાગુ પાડવાની જે ક્રાંતિકારી ભલામણ કરી હતી, તે વિસારે પાડી દેવાઈ છે. અસંગઠિત ક્ષેત્રોમાં વધતી સંખ્યાને ધ્યાનમાં લઈને જમીનવિહોણા ખેડૂતો એવા ખેતકામદારોના લઘુતમ વેતન માટેના સર્વગ્રાહી કાનૂનની બંધારણમાં જોગવાઈ કરવાની પંચની ભલામણ હતી. સમગ્ર દેશમાં એકસરખા ધોરણે લઘુતમ વેતનના દરો ઠરાવવા અને વરસમાં અમુક દિવસની ફરજિયાત રોજી આપવા પણ પંચે ભલામણ કરી હતી.

 

‘ઑલ ઇન્ડિયા શિડ્યૂલ કાસ્ટ ફેડરેશન’ દ્વારા ડૉ. આંબેડકરે ઘડેલ અને બંધારણસભાને આપવામાં આવેલ આવેદનપત્ર ‘સ્ટેટ્સ ઍન્ડ માઇનોરિટી’માં જમીન, ઉદ્યોગો અને વીમાના રાષ્ટ્રીયકરણની તથા કૃષિને રાજ્ય ઉદ્યોગ ગણવાની માગણીઓ કરવામાં આવી હતી. બંધારણના ઘડવૈયા આંબેડકરની અનુસૂચિત જાતિઓની સલામતી માટેની એ માગણીઓ બંધારણમાં આમેજ થઈ શકી નહોતી અને આજે પણ તે આંબેડકરના બાકી એજન્ડા તરીકે સૌ સંઘર્ષશીલોને પડકારી રહી છે. બંધારણ સમીક્ષા પંચે જમીન સુધારા કાયદાના કડક અમલ તથા તમામ સરકારી પડતર જમીનો દેશના ભૂમિહીનોને આપવાની અને રાજ્યની વિશેષ સવલતો સાથે ખેતી કરવાની વ્યવસ્થા કરવાની ભલામણ કરી હતી.


આઝાદ ભારતની શરમ એવી હાથથી થતી મળ સફાઈની સદંતર નાબૂદીની અને તે કામમાં  જોતરાયેલા સફાઈ કામદારોના પુનર્વસનની જોગવાઈઓ કરવાની પણ પંચની ભલામણ હતી. મહિલા અનામતની સાથે સ્ત્રીઓનાં તમામ ક્ષેત્રોમાં યોગ્ય પ્રતિનિધિત્વ માટેના કાયદાની જરૂરિયાત પણ પંચે ચીંધી હતી. બાળ મજૂરી કે વેઠિયા મજૂરી નાબૂદ કરવા તથા સામાજિક-ધાર્મિક લઘુમતીઓને પર્યાપ્ત રક્ષણ આપવા તથા વિકાસની તકો પૂરી પાડવા પણ પંચે બંધારણીય સોઈનો આગ્રહ સેવ્યો હતો.


દિલ્હીના લાલ કિલ્લે ફ્રાન્સના પ્રમુખ મેંક્રોની વિશેષ ઉપસ્થિતિમાં લશ્કરી પરેડ સાથે ભવ્ય રીતે પ્રજાસત્તાક દિન ઉજવાશે તો ખરો પણ એ વાત સગવડપૂર્વક વિસારે પાડી દેવાશે કે આઝાદી આંદોલનના સૌ તારકો- ગાંધી, નહેરુ, સરદાર, સુભાષ, આંબેડકર અને મૌલાના- જનજનના પ્રજાસત્તાક અને પૂર્ણસ્વરાજ માટે મથનારા હતા. સમાજના સૌથી “આઘામાં આઘા અને પાછામાં પાછા” એવા અંતિમજન કે છેવાડાના જન સુધી પ્રજાસત્તાકના પગલાં પડે એવી બંધારણીય જોગવાઈઓ અને તેનો અમલ તે જ સાચું પ્રજાસત્તાક છે, તે વાત ક્યારેય ન ભૂલાય તે જ પ્રજાસત્તાક પર્વની સાચી ઉજવણી ગણાશે.

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)

આ પણ વાંચોઃ બંધારણ દિવસ વિશેષઃ જાણો ભારતનું બંધારણ આપણને ક્યા મૂળભૂત અધિકારો આપે છે

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.