સરકાર એક સાંસદના આરોગ્ય પાછળ વર્ષે રૂ. 51,000 ખર્ચે છે, જ્યારે નાગરિક પાછળ ફક્ત રૂ. 1815 ખર્ચે છે!

- ચંદુ મહેરિયા
ગુજરાતી સાહિત્યના ગાંધી યુગના કવિ ઈન્દુલાલ ગાંધી( ૧૯૧૧-૧૯૮૬)ની જાણીતી રચના ’આંધળી માનો કાગળ’માં નિર્ધન આંધળી માતા પાંચ વરસથી મુંબઈમાં પેટિયું રળી ખાતા દીકરાને પત્ર લખાવે છે તેનું કરુણ આલેખન છે. પત્રમાં મા પુત્રને તે સાજો નરવો રહે અને માંદો ના પડે તેની કાળજી રાખવા જણાવે છે. કેમ કે જો તે બીમાર પડશે તો, “દવા દારુના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ” ની માને ફિકર છે. આજે પણ ગરીબ, નિમ્ન મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના લોકો માટે માંદા પડવું મોંઘુ છે. માંદગીમાંથી બેઠા થવા તેમને કાં તો વધુ ગરીબ બનવું પડે છે કાંતો મરવું પડે છે. એક અંદાજ મુજબ દેશમાં દર વરસે આશરે છ કરોડ લોકો દવા-દારુના દોકડા માટે દેવાદાર બની ગરીબીની વધુ ઉંડી ગર્તામાં ધકેલાય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓ મુજબ વર્ષ ૨૦૨૧માં દેશમાં થયેલી આત્મહત્યાઓનું બીજું મોટું કારણ બીમારી હતું. ગયા વર્ષે ૩૦,૪૪૬ લોકોએ બીમારીથી કંટાળીને, એટલે સાજા થવાની આશા ના હોવાથી કે તે માટેનો ખર્ચ પરવડે તેમ ના હોવાથી આત્મહત્યા કરી હતી.
હાલની અસહ્ય લાગતી મોંઘવારીનો દર સાત ટકા છે. પરંતુ દવા અને સારવારનો ખર્ચ તેનાથી બમણો, ચૌદ ટકા, જેટલો મોંઘો છે. આ વરસના એપ્રિલથી સરકારે દવાઓના ભાવમાં દસ ટકાનો વધારો કરી આપ્યો છે. તેને કારણે શરદી-તાવથી માંડીને હૃદયરોગ સહિતની 800 દવાઓ મોંઘી થઈ છે. છેલ્લા 5 વરસમાં હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ બે ગણો વધી ગયો છે. હોસ્પિટલમાં ડોકટરના કન્સલટેશન ચાર્જમાં ૪.૫ ટકા, દાખલ ફીમાં ૫.૯ ટકા અને મેડિકલ તપાસના દરમાં ૬.૨ ટકાનો વધારો થયો છે. આ વધારાએ આર્થિક રીતે નબળા લોકોની કમર ભાંગી નાંખી છે.
ભારત સરકારના આરોગ્ય મંત્રાલય હેઠળ આવેલ નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી(NPPA) દવાઓની કિંમતમાં વધારો-ઘટાડો કરી શકે છે. સરકારી નિયંત્રણની દ્રષ્ટિએ બે પ્રકારની દવાઓ હોય છે: શેડ્યુલ અને નોનશેડ્યુલ. પેઈન કિલર, પેરાસિટામોલ અને એન્ટીબાયોટિક વગેરે દવાઓ શેડ્યુલ ડ્રગ્સ ગણાય છે. આ દવાઓ આવશ્યક દવાઓ છે અને તેની કિંમત પર સરકારનું સીધું નિયંત્રણ છે. આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચિમાં ૮૭૫ દવાઓ સામેલ છે. દવા ઉદ્યોગની 30 ટકા દવાઓના ભાવ સરકારના નિયંત્રણમાં છે. છેલ્લા ત્રણ-ચાર વરસોમાં આ દવાઓના ભાવમાં 15 થી 20 ટકાની વૃધ્ધિ થઈ છે.
નોનશેડ્યુલ દવાઓ સરકારના સીધા નિયંત્રણમાં નથી. તેની કિંમતમાં વાર્ષિક 10 ટકાના વધારાની જોગવાઈ છે. એનપીપીએ જથ્થાબંધ ભાવાંક મૂલ્યના આધારે શેડ્યુલ દવાઓની કિંમતમાં વધારાની દરખાસ્ત કરે છે. ભારત સરકારની મંજૂરી પછી તે અમલી બને છે. ગયા વરસે ભારત સરકારે ૧૦.૭ ટકા વધારાની દરખાસ્તને ઘટાડીને 10 ટકા કરતાં હવે તે દવાઓ ૧લી એપ્રિલ ૨૦૨૩થી 12 ટકા વધુ કિંમતે વેચાય છે. નોનશેડ્યુલ દવાઓની કિંમત માંગ અને પુરવઠાના નિયમ આધારે નક્કી થાય છે. ૨૦૧૯માં આવશ્યક દવાઓની કિંમતમાં ૨ ટકા, ૨૦૨૦માં ૦.૫ ટકા અને ૨૦૨૨માં ૧૦ ટકાનો આકરો ભાવવધારો થયો છે.
જેનેરિક દવાઓનું કોઈ બ્રાન્ડ નેમ હોતું નથી. આ દવાઓની અસર બ્રાન્ડેડ દવાઓ જેવી જ હોય છે પરંતુ તેનો કોઈ પ્રચાર-પ્રસારનો ખર્ચ ન હોઈ જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓથી આશરે 20 થી 50 ટકા જેટલી સસ્તી હોય છે. સરકારના જન ઔષધિ કેન્દ્રો પર તેનું વેચાણ થાય છે. પરંતુ દવાબજારના ઈજારાને કારણે ડોકટરો જેનેરિક દવાની ભલામણ કરતા નથી. તાજેતરમાં સરકારે તે માટે ફરજ પાડી હતી પણ પછી તેણે પારોઠનું પગલું ભરવું પડ્યું છે.
ભારતમાં સરકારી આરોગ્ય સેવાઓ તમામને ઉપલબ્ધ નથી અને જ્યાં ઉપલબ્ધ છે ત્યાં તેની ગુણવત્તાના પ્રશ્નો છે. એટલે લોકોને ખાનગી આરોગ્ય સેવાઓ લેવી અનિવાર્ય બને છે. મેડિકલ ઈન્સ્યોરન્સ પણ ભારતમાં બહુ ઓછા લોકો લે છે. આરોગ્ય વીમો ન લેતા નાગરિકોની દ્રષ્ટિએ ભારત દુનિયાનો બીજો દેશ છે. એટલે જેમની પાસે આરોગ્ય વીમો નથી તેમની આર્થિક સ્થિતિ પર માંદગીની ગંભીર અસર પડે છે. મેડિકલ ઈન્સ્યોરન્સ ક્લેમની રકમમાં અનેકગણા વધારાની ફરિયાદ વીમા કંપનીઓની છે તો મેડિકલ ઈન્સ્યોરન્સના પ્રિમિયમમાં કોરોના મહામારી પછી તો 25 ટકા જેટલો મોટો વધારો થયાની ફરિયાદ વીમાધારકોની છે.
આ સ્થિતિનું એક નિવારણ સરકાર આરોગ્યના ક્ષેત્રે ખર્ચ વધારે અને સરકારી આરોગ્ય સેવાઓને વધુ સક્ષમ બનાવે તે જણાય છે. આરોગ્ય માટે સરકારે તેના જીડીપીના ઓછામાં ઓછા 5 ટકા ખર્ચવા જ જોઈએ. પાડોશી ગરીબ દેશો ભૂતાન જીડીપીના 2.65 ટકા અને શ્રીલંકા 2 ટકા ખર્ચે છે. પરંતુ ભારતે 2021-22માં જીડીપીના 2.1 ટકા જ ખર્ચ્યા હતા. તેને કારણે લોકોને પોતાની આર્થિક ક્ષમતા બહાર જઈને બીમારીના ઈલાજ માટે ખર્ચ કરવો પડે છે. આવા ખર્ચને આઉટ ઓફ પોકેટ કહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર તેની વૈશ્વિક સરેરાશ 18.2 ટકા છે. પરંતુ ભારતમાં તે 48 ટકા જેટલી ઉંચી છે. આ બાબતમાં 189 દેશોમાં ભારત 66મા ક્રમે છે. પાડોશી દેશો ભૂતાન 37મા, બાંગ્લાદેશ 52મા, પાકિસ્તાન 55મા અને નેપાળ 63મા ક્રમે છે.
દેશની 8 થી 10 ટકા વસ્તી ગરીબી રેખા હેઠળ જીવે છે અને ખુદ ભારત સરકારના જણાવ્યા પ્રમાણે સરકાર જેમને મફત રાશન પૂરું પાડે છે તેવી વસ્તી 80 કરોડ છે. ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે દવા અને ઈલાજનો 62 ટકા ખર્ચ દર્દી પોતાના ખિસ્સાનો કરે છે કે દેવું કરીને કે નાની-મોટી જમીન-જાયદાદ વેચીને ચૂકવે છે. આ ચિંતાનો વિષય છે. નેશનલ હેલ્થ એકાઊન્ટ્સના જણાવ્યા પ્રમાણે 2018-19માં દેશનો કુલ આરોગ્ય ખર્ચ 5.96 લાખ કરોડ હતો તેમાંથી સરકારોએ રૂ. 2.42 લાખ ખર્ચ્યા હતા. શેષ 3.54 લાખ કરોડ લોકોના વપરાયા હતા.
સરકાર એક સાંસદના આરોગ્યની દેખભાળ માટે વરસે રૂ. 51,000 ખર્ચે છે પરંતુ આમ નાગરિક પાછળ તો માંડ રૂ.1815 જ ખર્ચે છે. એટલે પ્રજા અને તેણે ચૂંટેલા પ્રતિનિધિ વચ્ચેના આરોગ્ય ખર્ચનો આ ફાંસલો ભેદાય, સરકારની પ્રાથમિકતા બદલાય તેમજ સૌને માટે નિશુલ્ક આરોગ્ય સુલભ બને તો બાત બન જાયે.
maheriyachandu@gmail.com (લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને ડો. આંબેડકરના જીવનકાર્યના અભ્યાસુ છે)
આ પણ વાંચો:કાળી ચૌદશ 'અંધશ્રદ્ધાનું એન્કાઉન્ટર' કરવા માટેની ઉત્તમ તક છેઃ જીતેન્દ્ર વાઘેલા