વિસરાનાઈ – એક રિક્ષાચાલકે લખેલી નવલકથા પરથી બનેલી અદ્દભૂત ફિલ્મ

દક્ષિણ ભારતની ફિલ્મોની ખાસિયત એ છે જાતિવાદ, ભાઈભત્રીજાવાદ અને મનુવાદથી ગ્રસ્ત બોલીવૂડ જે વિષય તરફ જોવાનું પણ પસંદ નથી કરતો તેના પર તેઓ મુખ્યધારાની ફિલ્મો બનાવી જાણે છે. વિસરાનાઈ આવી જ એક અદ્દભૂત ફિલ્મ છે.

વિસરાનાઈ – એક રિક્ષાચાલકે લખેલી નવલકથા પરથી બનેલી અદ્દભૂત ફિલ્મ

વિસરાનાઈ - વર્ષ ૨૦૧૫માં આવેલી તમિલ ફિલ્મ છે. વિસરાનાઈનો ગુજરાતીમાં અર્થ થાય છે ‘પૂછપરછ’. વિસરાનાઈ પહેલીવાર 12 સપ્ટેમ્બર 2015ના રોજ વેનિસ ઈન્ટરનેશનલ ફિલ્મ ફૅસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. એ પછી ભારતીય સિનેમાઘરોમાં આ ફિલ્મ ૫ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ રિલીઝ થઈ હતી. ૬૩માં નૅશનલ ઍવૉર્ડ સમારંભમાં આ ફિલ્મને કુલ ત્રણ નૅશનલ ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા, જેમાં શ્રેષ્ઠ તમિલ ફિલ્મ, શ્રેષ્ઠ સંપાદન અને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો સમાવેશ થાય છે. આ ફિલ્મ એમ. ચંદ્રકુમાર નામના રિક્ષા-ડ્રાઇવરે લખેલી નવલકથા ‘લૉકઅપ’ પર આધારિત છે.

ફિલ્મની શરૂઆતમાં જ એક પછી એક ચાર લોકોને પકડી અને રિક્ષામાં બેસાડીને પોલીસ-સ્ટેશનમાં લાવવામાં આવે છે. ત્યાર બાદ જે-તે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ આ ચારેયને ફટકારવાનું શરૂ કરી દે છે અને ફિલ્મના લગભગ મધ્યાંતર સુધી આ ચાર લોકોને ફટકારવાની ઘટના પડદા ઉપર ચાલુ જ રહે છે. ફિલ્મની વાર્તા એમ છે કે આંધ્રપ્રદેશના કોઈ એક વિસ્તારમાં તમિલનાડુમાંથી કામ અર્થે આવેલા સ્થળાંતરિત ચાર મજૂરોને પોલીસ કોઈ કારણ વગર પકડીને લઈ જાય છે. આ ચાર મજૂરો અનુક્રમે પાંડી, મુરુગન, અફ્ઝલ અને કુમારને એ વાતનો ખ્યાલ નથી કે પોલીસ એમને પકડીને કેમ લાવી છે. પહેલાં તો આ ચારેય લોકોને એવું લાગે છે કે પાંડી (ચાર પૈકીની એક વ્યક્તિ) જ્યાં કામ કરે છે, તે કરિયાણાની દુકાનની પાસે આવેલા એક ઘરમાં એક સ્ત્રીએ થોડા સમય પહેલાં પાંડીની મદદ માગી હતી કે તેને અહીંથી બહાર તેના ગામ સુધી લઈ જવા માટે મદદ કરે અને પાંડીએ તે સ્ત્રીને મદદ કરવાની હા પણ પાડી હતી, પણ અહીં તો ઘટના સાવ અલગ જ છે. પોલીસ સ્ટેશનમાં થોડી વાર બાદ પોલીસવાળા આવી, તેમને કહે છે કે તમે ચારેય લોકો તમારો ગૂનો કબૂલ કરી લો, ત્યારે તેઓને ખ્યાલ આવે છે કે થોડા સમય પહેલાં શહેરના ભદ્ર વિસ્તારના એક બંગલામાં ચોરીની ઘટના બની હતી અને પોલીસ તે ચોરને પકડવામાં નિષ્ફળ રહેતાં તેમણે આ ચાર મજૂરોને પકડી લીધા છે કે જેઓ ચોરી થઈ તે વિસ્તારમાં જ કામ કરે છે અને પોલીસ તેમની પાસેથી વગર વાંકે ચોરીનો ગૂનો કબૂલ કરાવવા માગે છે કે જેથી આ ચોરીના કેસનો ઝડપથી ‘નિકાલ’ આવે.

ફિલ્મમાં પોલીસવાળા જે રીતે આ ચારેય લોકોને પોલીસ સ્ટેશનમાં અત્યંત ક્રૂરતાપૂર્વક ફટકારે છે તે દ્રશ્યો ફિલ્મમાં ખૂબ ઝીણવટપૂર્વક ફિલ્માવવામાં આવ્યાં છે. ફિલ્મના એક દ્રશ્યમાં આ ચાર પૈકી પાંડી નામનો આરોપી એવું જાહેર કરે છે કે જો હવે તમે અમને મારશો તો અમે ભૂખ-હડતાળ કરીશું, ત્યારે પોલીસવાળા ચતુરાઈપૂર્વક તેઓને છોડી દે છે કે જેથી તેઓ બહાર જઈ ભરપેટ જમે અને ત્યાર બાદ તેઓને સહી કરવાના બહાને પોલીસ-સ્ટેશનમાં લાવી અને ફરીથી અત્યંત ક્રૂરતાપૂર્વક લાકડાના દંડાથી ફટકારવામાં આવે છે. ત્યારબાદ આ ચારેય લોકોને કહેવામાં આવે છે કે તમારે ચોરીનો ગૂનો કબૂલવો જ પડશે, પણ જ્યારે આ ચારેય લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, ત્યારે પાંડી જજ સમક્ષ કહી દે છે કે તેમને આ કેસમાં ખોટા ફસાવવામાં આવ્યા છે. અને તેમને છોડી મૂકવામાં આવે છે. પણ વાત અહીં ખતમ થતી નથી. આ ચારેય લોકોને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, ત્યારે તેઓ તમિલ ભાષામાં બોલતા હોવાથી જજ તેમની વાત સમજી શકતા નથી, ત્યારે તેઓ ત્યાં કોર્ટ-પરિસરમાં હાજર એક પોલીસવાળા(મુથુવેલ)ને ટ્રાન્સલેટર તરીકે મદદ કરવાનું કહે છે અને આ પોલીસવાળાની મદદથી આ ચાર લોકો છૂટી જાય છે. ત્યાર બાદ આ પોલીસવાળો (મુથુવેલ) આ લોકોને જણાવે છે કે તમારે મારી એક નાની મદદ કરવી પડશે. એમ કહીને એક આરોપી(કે.કે.)નું અપહરણ કરાવીને જે તે પોલીસ સ્ટેશન સુધી લઈ જવાનું કહે છે અને ચારેય લોકો તેનું આ કામ કરી આપે છે. ત્યાર બાદ આ ચાર લોકોને મુથુવેલ જ્યાં કાર્યરત છે, તે નવા પોલીસ સ્ટેશનને સાફ કરવાનું કામ સોંપવામાં આવે છે. અહીં આરોપી કે.કે. ઉર્ફે કિશોર કે જે જાણીતો એકાઉન્ટન્ટ છે અને વિરોધી પાર્ટીના તમામ હવાલાઓ સંભાળવાનું કામ કરે છે તે ત્યાંના ડી.સી.પી. અને એ.સી.પી.ની રાજરમતનો શિકાર બને છે. કે.કે.ને પણ આ પોલીસ સ્ટેશનમાં મુથુવેલ(કે જે આ સ્ટેશનનો ઇન્ચાર્જ છે)ની ગેરહાજરીમાં અતિશય ફટકારવામાં આવે છે અને તેનું મોત નીપજે છે, એ પછી પોલીસવાળા આ આત્મહત્યાનો કેસ જાહેર કરીને કે.કે.ના ઘરમાં જઈ, પંખા પર લટકાવી આવે છે અને ત્યાં સુધી આ ત્રણ (આ ચાર પૈકી એક કુમાર નામનો મજૂર અપહરણ દરમિયાન રસ્તામાં જ ઊતરી જાય છે) મજૂરો કે જેઓ બિચારા માંડ-માંડ પોલીસની ચુંગાલમાંથી છૂટેલા છે અને પોલીસ- સ્ટેશનની સફાઈ કરતા જ રહે છે, ત્યારે ત્યાં હાજર કેટલાક ભ્રષ્ટાચારી પોલીસવાળાઓ આ ત્રણ લોકોને ફરી પાછા ચોરીના કેસમાં ફસાવી દે છે અને તેઓની હત્યા કરી નાખે છે. સાથે ઇન્સ્પેક્ટર મુથુવેલની પણ હત્યા કરી નાખે છે. ફિલ્મમાં મધ્યાંતર સુધીની ઘટનાનો ભાગ ‘લૉકઅપ’ નામની નવલકથામાંથી પ્રેરિત છે, જ્યારે મધ્યાંતર પછીની, ઇન્સ્પેક્ટર મુથુવેલવાળી સમગ્ર ઘટના કાલ્પનિક છે છતાં તેમાં પણ દરેક દૃશ્યને એકદમ ઝીણવટભર્યું રજૂ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મમાં પોલીસવાળાની બર્બરતા અને ક્રૂરતાને લોકો સમક્ષ રજૂ કરવાનો દિગ્દર્શક વેટરીમારનનો પ્રયાસ ખરેખર બિરદાવવાને પાત્ર છે. ફિલ્મમાં આ ચાર મજૂરો એક સ્થળેથી બીજા સ્થળે કામની શોધમાં સ્થળાંતરિત થયેલા છે અને વધુમાં તેઓની પાસે રહેવા માટે રહેઠાણ નથી, માટે તેમને પબ્લિક પાર્કમાં આશરો લેવો પડે છે અને જ્યારે તેમને ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવામાં આવે છે, ત્યારે તેમને કેવી-કેવી યાતનાઓનો સામનો કરવો પડે છે, તે વાત આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં જ્યારે આ ચાર મજૂરોનો માલિક તેમને મળવા માટે આવે છે, ત્યારે તે આ ચાર લોકોને જણાવે છે કે તેમણે પોતાનો ગૂનો (કે જે તેમણે કર્યો જ નથી) તે કબૂલી લેવો જોઈએ, નહીં તો પોલીસવાળા તેમને વધારે ફટકારશે. કોઈની પણ મદદ વિના એક નવા શહેરમાં આ ચારેય લોકો મૂંગા મોંએ પોલીસવાળાનો માર સહન કર્યા જ કરે છે અને પોલીસવાળા પણ તેમને મહાપરાણે ગૂનો કબૂલ કરાવવા માટે તેમના પર અત્યાચારો કરતા જ રહે છે. ફિલ્મમાં તમામ પાત્રોનો અભિનય ઉત્કૃષ્ટ છે.

હવે થોડી વાત આ ફિલ્મ જેમની નવલકથા ‘લૉક અપ’ પર આધારિત છે, તે લેખક એમ. ચંદ્રકુમાર વિશે. લેખક એમ. ચંદ્રકુમાર હાલ કોઇમ્બતુરમાં રિક્ષાચાલક તરીકે કામ કરે છે અને લોકો ત્યાં તેમને ઑટો ચંદ્રનના નામથી ઓળખે છે. ૫૩ વર્ષીય ઑટો ચંદ્રનની વર્ષ ૧૯૮૩માં આંધ્રપ્રદેશના ગુંતુર જિલ્લામાં ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાં લગભગ ૧૩ દિવસ તેમને પોલીસ- સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેમણે પોતાના અનુભવોનું વર્ણન કરતું પુસ્તક ‘લૉકઅપ’ લખ્યું. આ પુસ્તક વર્ષ ૨૦૦૬માં પ્રકાશિત થયું હતું. તેઓ જણાવે છે કે આજથી ૧૦ વર્ષ પહેલાં મેં આ પુસ્તક લખ્યું હતું અને હવે તેના પરથી ફિલ્મ બની છે. મારી વાત સિનેમાના માધ્યમ થકી લોકો સુધી પહોંચી છે.

દક્ષિણ ભારતીય સિનેમાની આ જ ખાસિયત છે કે તેમાં વણસ્પર્શ્યા વિષયોને સ્પર્શ કરાય છે. જાતિવાદ, અસ્પૃશ્યતા, પોલીસ અત્યાચાર, મનુવાદ જેવા વિષયો પર બોલીવૂડ કદી ફિલ્મ બનાવવાની હિંમત કરી શકતું નથી ત્યારે તમિલ સિનેમાએ આ મામલે એક અલગ ચીલો ચાતર્યો છે. જોવાનું એ રહ્યું કે છેલ્લા થોડા સમયથી પ્રચલિત થયેલ અર્બન ગુજરાતી ફિલ્મોમાં આ પ્રકારનો સામાજિક સંદર્ભ અને જાતિવાદ જેવા મુદ્દાઓ ક્યારે જોવા મળે છે?

નિલય ભાવસાર (લેખક વ્યવસાયે પત્રકાર છે)

આ પણ વાંચો : શહીદ ઉધમસિંહઃ અનાથ આશ્રમમાં ઉછરેલો એ સિંહ, જેણે 21 વર્ષ પછી દુશ્મનને ઘરમાં ઘૂસીને માર્યો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.