ડૉ. આંબેડકર ન હોત તો ફૂલે દંપતિનો સંઘર્ષ પણ ઈતિહાસમાં દટાઈ ગયો હોત

ડૉ. આંબેડકરે  ઇતિહાસના કાળખંડમાં દટાઈ ગયેલા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીમાઈ ફૂલેના સંઘર્ષને કેવી રીતે પુનઃસજીવન કર્યો તેની વાત લેખક મયૂર વાઢેર અહીં વિસ્તારથી સમજાવે છે.

ડૉ. આંબેડકર ન હોત તો ફૂલે દંપતિનો સંઘર્ષ પણ ઈતિહાસમાં દટાઈ ગયો હોત
image credit - Google images

ડૉ. બાબાસાહેબ આંબેડકરના ઈ.સ. 1952માં સાઠ વર્ષ પૂર્ણ થયા ત્યારે તેમના પ્રતિબદ્ધ અનુયાયીઓ તેમના હિરક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવા માગતા હતા. પણ દેશના શ્રમજીવીઓ, વંચિતો તથા મહિલાઓના અધિકારો માટે ઝંઝાવાતી સંઘર્ષ કરવા માટેની ડૉ. આંબેડકરની ધખના અને તેમના જાહેરજીવનની સઘન વ્યસ્તતા તેમના અનુયાયીઓના ઓરતા પુરા થવા દેતી નહોતી.

તેથી તેમના અનુયાયીઓએ તેમનો હિરક મહોત્સવ 28 ઓક્ટોબર, 1954 ના રોજ મુંબઈના નૈગામ વિસ્તારમાં સાજે છ વાગે મનાવ્યો હતો. તેમાં 25000 લોકો એકઠા થયા હતા. તે કાર્યક્રમ બિહારના રાજ્યપાલ રહી ચુકેલા આર.ડી. ભંડારેની અધ્યક્ષતામાં યોજાયો હતો. તેમણે તેમના ભાષણમાં ડૉ. આંબેડકરને કાર્લ માર્કસ અને અબ્રાહમ લિંકન કરતા પણ મહાન નેતા ગણાવ્યા હતા. 

ડૉ. આંબેડકરના ત્રણ ગુરુ બુદ્ધ, કબીર અને ફૂલે અંગેની પ્રચલિત વાતનું મૂળ આજ સભામાં મળે છે. તેમણે કહ્યું, “...અને મારા ત્રીજા ગુરૂ છે, મહાત્મા જ્યોતિબા ફૂલે. બિન-બ્રાહ્મણોના સાચા ગુરૂ તે જ છે. તેમણે જ દરજી, કુંભાર, વાળંદ, મોચી, કુર્મી માળી, માતંગ, મછીયારાને માનવતાના પાઠ શીખવ્યા છે. આપણે જ્યોતિબા ફૂલેની રાહ પર જ આગળ વધી રહ્યા હતા. સમયના વહેણ બદલાયા અને મરાઠા આપણાથી નોખા થયા. કોઈ કૉંગ્રેસનોં એંઠવાડ ખાવા ગયું. તેમાંથી જ રાવબહાદુર એસ.કે. બોલે હિંદુ મહાસભામાં ચાલ્યા ગયા. તે અહીં ઉપસ્થિત છે. કોઈ ગમે ત્યા જાય પણ આપણે જ્યોતિબા ફૂલેના માર્ગ પર જ ચાલવાનું છે. આપણે કાર્લ માર્ક્સને આપણી સાથે લઈશું કે અન્ય કોઈને, પણ આપણે જ્યોતિબા ફૂલેના ચિંતનનો માર્ગ મુકવાનો નથી.”

બાબાસાહેબ ડૉ. આંબેડકરે તેમના સમગ્ર જીવનમાં મહાત્મા ફૂલેનો માર્ગ છોડ્યો નહી. તેમના આંદોલનો, વિચારો અને સામાજિક અભિયાનોમાં ફૂલેના વિચારોના દર્શન થાય છે. મહાત્મા ફૂલેએ દત્તક લીધેલા દીકરાના અવસાન (1909) પછી તેમણે સ્થાપેલી સત્યશોધક સંસ્થા પણ વેરવિખેર થઈ ગઈ હતી. સત્યશોધક સંસ્થાના સભ્યો પણ કૉંગ્રેસ અને હિંદુ મહાસભામાં ગોઠવાઈ ગયા હતા. જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રીમાઈ ફૂલેએ  મહિલાઓ તથા શુદ્રોના શિક્ષણ અને તેમના અધિકારો માટે ઓગણીસમી સદીમાં પોકારેલો બંડ શમી ચુક્યો હતો. પણ ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિસ્તરતા કદને લીધે ફૂલે દંપતિનો સંઘર્ષ સજીવન થયો. તેમણે  ઇતિહાસના કાળખંડમાં દટાઈ ગયેલા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના સંઘર્ષને સજીવન કર્યો.  ડૉ. બાબાસાહેબ આંબેડકર ના હોત તો ફૂલે દંપતિનો સંઘર્ષ પણ વિસરાઈ ગયો હોત. બહુજન રાજકીય ચેતનાની અમર પ્રેરણાપૂંજ કાંશીરામ સાહેબની પ્રેરણાથી બહેન માયાવતીએ ઉત્તરપ્રદેશના અમરોહી જિલ્લાને જ્યોતિબા ફૂલે નગર નામે જિલ્લો પણ બનાવ્યો છે. ડૉ. આંબેડકરે  ઇતિહાસના કાળખંડમાં દટાઈ ગયેલા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીમાઈ ફૂલેના સંઘર્ષને પુનઃ સજીવન કર્યો. 

આ પણ વાંચોઃ સાવિત્રીબાઈ ફૂલેઃ ઓરિજિનલ બેટી બચાવો આઈકોન

ડૉ. બાબાસાહેબ આંબેડકરે નાસિક ખાતે ચૂંટણી સભામાં 17 નવેમ્બર, 1951ના રોજ એક જાહેરસભામાં જ્યોતિબા ફૂલે વિશે કહ્યું હતું કે, “હું જ્યોતિબા ફૂલેના અનુયાયી તરીકે મારી ઓળખ જાહેર કરવામાં ક્યારેય શરમ અનુભવતો નથી. હું આત્મવિશ્વાસથી કહું છું કે આજે હું એકલો જ જ્યોતિબા ફૂલે સાથે ઈમાનદારીપૂર્વક અને પ્રામાણિકતાથી જોડાયેલો રહ્યો છું. આ દેશમાં કોઈપણ પક્ષ હશે તેમણે જ્યોતિબા ફૂલેની નીતિઓ, તેમનું તત્વચિંતન અને તેમના અભિયાનોના સહારે જ આગળ વધવું પડશે. લોકતંત્ર સુધી પહોંચવાનો આ જ એક માર્ગ છે.”
ફૂલે દંપતિએ 4 ફેબ્રુઆરી, 1989ના રોજ એક દીકરાને દતક લીધો હતો તેનું નામ યશવંત રાખ્યું હતું. સંભવતઃ ફૂલે દંપતિના દત્તક દીકરાના નામ પરથી જ ડૉ. આંબેડકરે મોટા દીકરાનું નામ યશવંત રાખ્યું હોય તેવું બની શકે.

મહાત્મા ફૂલેએ 1 જૂન, 1873ના રોજ પ્રકાશિત કરેલાં તેમના પુસ્તક ‘ગુલામગીરી’માં બ્રાહ્મણવાદ પર આકરા પ્રહારો કર્યા હતા. તે પુસ્તક ફૂલે-ધોંડીરાવના સંવાદરૂપે છે. તે સંવાદમાં ફૂલે હિંદુ ધર્મની માન્યતાઓ, સ્મૃતિઓ અને બ્રાહ્મણવાદી વર્ચસ્વને તર્કબદ્ધ રીતે વિંધે છે.  દેશના લોકો શુદ્રો-અતિશુદ્રોને બ્રાહ્મણવાદમાંથી મુક્તિ અપાવે તેવી મહાત્મા ફૂલેને અપેક્ષા હતી. જે તેમના પુસ્તકના અર્પણ પાના પર જોઈ શકાય છે.  તેમણે ‘ગુલામગીરી’ પુસ્તક અમેરિકાના નીગ્રો લોકોને નહીં પણ નીગ્રોની ગુલામીપ્રથા સામે લડનારા અમેરિકાના ઉમદા લોકોને અર્પણ કર્યું છે. (Dedicated to the Good People of the United States.) તેમના શબ્દો નીચે મુજબ છે.

“ઉદાર, નિઃસ્વાર્થ અને સમર્પણભાવથી નીગ્રો ગુલામોને ગુલામીપ્રથામાંથી મુક્ત કરવાનું ઉમદા કાર્ય કરનારા સંયુક્ત રાષ્ટ્ર(અમેરિકા)ની ઉમદા પ્રજાને  તેમની પ્રસંશાના પ્રતિકરૂપે અર્પણ, તેમજ તેમના ઉમદા ઉદાહરણમાંથી મારા દેશબાંધવોને પણ શુદ્રો બંધુઓને બ્રાહ્મણોની ગુલામીની બેડી તોડીને તેમને મુક્તિ આપવાની પ્રેરણા મળે તેવી પ્રામાણિક અપેક્ષા સહ.”
ડૉ. આંબેડકર મહાત્મા ફૂલેની વૈચારિકધારા સાથે કેવા જોડાયેલા હતા તે તો ડૉ. આંબેડકરના લેખન અને વકત્વ્યો પરથી આપણને સહેજે સમજાય છે. ડૉ. આંબેડકરે ઈ.સ. 1946માં વિદ્વતાસભર લખેલું અંગ્રેજી પુસ્તક  ‘Who were Shudras?’ (BAWS- New English Volume 07) મહાત્મા જ્યોતિબા ફૂલેને અર્પણ કર્યું હતું. તેમન અર્પણ શબ્દો હતાઃ
“આધુનિક ભારતના મહાન શુદ્ર, જેમણે ઉજળિયાતોની ગુલામી કરનારા હિંદુઓના નિમ્ન વર્ગોને તેમની ગુલામી પ્રત્યે સચેત કર્યા અને જેણે ભારતને ઉપદેશ આપ્યો હતો કે વિદેશી શાસનમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા કરતા સામાજિક લોકતંત્ર વધારે મહત્વનું છે એવા મહાત્મા જ્યોતિબા ફૂલેને અર્પણ.”

આ એપ્રિલ મહિનામાં ફૂલે-આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી ટાણે બંને મહાનાયકોના વિચારોની ગાથા વહેંચવાનો સમય છે. ફૂલે-આંબેડકરનાં વિચારોની જુગલબંધી ભારતીય સામાજિક સંરચનાની જડતાને ધ્વસ્ત કરવાના આપણા ભાવિ અભિયાનોમાં ખપ લાગે તેવી છે.

- મયૂર વાઢેર (લેખક અંગ્રેજીના શિક્ષક અને ફૂલે-આંબેડકરી સાહિત્યના તલસ્પર્શી અભ્યાસુ છે.) (નોંધઃ અંગ્રેજી ગ્રંથોમાંથી લીધેલા અવતરણોનો ગુજરાતી અનુવાદ લેખકે જ કર્યો છે.)

આગળ વાંચોઃ ધ ગ્રેટ જ્યોતિરાવ ફૂલે મર્યા પછી પણ જાતિવાદનો ભાંડો ફોડતા ગયા

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરોઅહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Dr arvind kathad
    Dr arvind kathad
    Excellent
    2 months ago
  • Vadhel Rajesh Kumar Mandanbha
    Vadhel Rajesh Kumar Mandanbha
    વિચાર ધારા કોટી કોટી વંદન.
  • Vadhel Rajesh Kumar Mandanbha
    Vadhel Rajesh Kumar Mandanbha
    વિચાર ધારા કોટી કોટી વંદન.