વિદ્યા સહાયકની ભરતીની માંગ સાથે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા
ધોરણ 1 થી 5માં વિદ્યા સહાયકની ભરતીનો મામલો ગરમાયો. પોલીસે ઉમેદવારોની અટકાયત કરવાનો પ્રયાસ કરતાં ઘર્ષણની સ્થિતિ સર્જાઈ.

વિદ્યા સહાયકની ભરતી મામલે આજે ફરી એક વખત ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. વિદ્યાસહાયકોના ઉમેદવારો દ્વારા વિદ્યા સહાયકની ભરતીની જગ્યાની સંખ્યામાં વધારો કરવા અનેક વખત રજૂઆતો કરાઇ છે, તેમ છતાં સરકાર દ્વારા તેમની વાતને ધ્યાને લેવામાં આવી નથી. જેના કારણે ત્રસ્ત થયેલા ઉમેદવારો ફરી આંદોલન પર ઉતર્યાં છે. આ ઉમેદવારો ધોરણ 1 થી 5માં વિદ્યાસહાયકની જગ્યામાં વધારો કરવાની માંગ સાથે આજે ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં રેલી કાઢીને આવેલા વિદ્યા સહાયક ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયતનો પ્રયાસ કરવામાં આવતા થોડા સમય માટે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ બાદમાં ઉમેદવારો રસ્તા પર બેસી જઈ ને આગળ ન વધતાં મામલો થાળે પડ્યો હતો.
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકોની ભરતીની સંખ્યામાં વધારો કરવા માટે ઉમેદવારો દ્વારા સરકારમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેમની માંગણીઓને અત્યાર સુધી ધ્યાને લેવામાં આવી નથી. જેના કારણે ઉમેદવારોએ વિદ્યા સહાયકની બેઠક વધારવાની માંગ સાથે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. જેના અંતર્ગત ઉમેદવારો દ્વારા આજે ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે દેખાવો કરવા પહોંચ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે થોડા સમય માટે ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ના દ્રશ્યો સર્જાયા હતા. જો કે, સમજાવટ બાદ ઉમેદવારો રોડ પર બેસી ગયા હતા. જેથી મામલો થાળે પડ્યો હતો.
ગાંધીનગર ખાતે વિદ્યા સહાયકની ભરતીમાં જગ્યા વધારવા માટેની માંગણી કરવા આવેલા ઉમેદવારોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ચાલુ વર્ષે 5000 વિદ્યા સહાયકોની ઉમેદવારોની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઇ છે, અમારી (ઉમેદવારોની) માગ છે કે વિદ્યા સહાયકોની 10,000 જગ્યા પર ભરતી કરવામાં આવે. કારણ કે, હાલમાં રાજયમાં ધોરણ 1 થી 5 માં 18 હજાર કરતા વધુ જગ્યા ખાલી પડી રહી છે.
વિદ્યા સહાયકના ઉમેદવારોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં આશરે 18 હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે અને તેની સામે સરકાર દ્વારા ધોરણ 1થી 5માં માત્ર 5 હજારની જગ્યા માટે જ ભરતીની જાહેરાત કરાઇ છે. જ્યારે ધોરણ 6 થી 12 સુધીમાં 50 ટકાથી વધારે ભરતી કરવામાં આવી છે તો અમારી સાથે અન્યાય કેમ થઈ રહ્યો છે? ધોરણ 1થી 5 માં તો 18 હજાર જગ્યાઓ ખાલી હોવા છતાં કેમ આટલી ઓછી જગ્યા માટેની જાહેરાત કરાઇ છે?
વિદ્યાસહાયકોના ઉમેદવારોનું કહેવું છે કે, બાળકો માટે ધોરણ 1થી 5 એ પાયાનું શિક્ષણ છે અને તેમાં જ આટલી ઓછી જાહેરાત કરાઇ છે. જે અમારી સાથે અને બાળકો સાથે થતો અન્યાય છે અને તેના માટે અમે અહીં આવ્યાં છીએ.
આ પણ વાંચો: રાજ્યની ડિગ્રી ઈજનેરી કોલેજોના 4000 અધ્યાપકો મળવાપાત્ર લાભથી વંચિત