રાજ્યની ડિગ્રી ઈજનેરી કોલેજોના 4000 અધ્યાપકો મળવાપાત્ર લાભથી વંચિત

ટેકનિકલ શિક્ષણ વિભાગનો વહીવટ રેઢિયાળ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. એક અધ્યાપક પર વિશેષ પ્રેમથી ઓફલાઇન લાભ અપાયાનો આક્ષેપ.

રાજ્યની ડિગ્રી ઈજનેરી કોલેજોના 4000 અધ્યાપકો મળવાપાત્ર લાભથી વંચિત
image credit - Google images

રાજ્યની સરકારી ઇજનેરી તેમજ પોલિટેકનિક કોલેજોના ૪૦૦૦ અધ્યાપકોના કિસ્સામાં પણ ઓફલાઈન ચકાસણી પ્રક્રિયા ઝડપથી કરીને સમય મર્યાદામાં ગ્રેડ-પે નો  લાભ આપવાની માંગ ગુજરાત કોંગ્રેસે કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ટેકનિકલ શિક્ષણની કચેરી દ્વારા ડીપ્લોમા કોલેજના એક જ અધ્યાપકના સ્પેશિયલ કેસમાં માત્ર એક જ મહિનાના સમય ગાળામાં કેસની ત્રણ ગ્રેડની પ્રક્રિયા ઓફલાઈન પૂર્ણ કરી આદેશ કરાયેલ છે. જેમાં ગ્રેડ પે 8000 થી 9000 મંજૂરીની તારીખ 1 જાન્યુઆરી 2016 પછી હોવા છતાં કોજન્ટ પોર્ટલ ઉપર પ્રકિયા કર્યા વગર ઓફ લાઈન ચકાસણી કરી 29 નવેમ્બરેના રોજ મંજૂરીનો આદેશ કરાયો છે. બીજી બાજુ રાજ્યની ૧૬ ડીગ્રી અને ૩૧ ડીપ્લોમા સરકારી ઈજનેરી કોલેજના 4 હજાર અધ્યાપકોને મળવાપાત્ર લાભથી વંચિત રહે તે રીતે ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આશરે 4000 અધ્યાપકોને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ(કેસ) માટે પોર્ટલની ઓનલાઈન ચકાસણીની પ્રક્રિયા માટે ફરજીયાત પરિપત્ર કરાયા છે.

એઆઇસીટીઇના તા. 1 માર્ચ 2019ના પરિપત્રના પાંચ વર્ષ બાદ 1 માર્ચ 2024ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા કેસ અંગે પરિપત્ર કરાયો હતો. વર્ષોની રજૂઆત બાદ પરિપત્ર થતા સરકારી ડિગ્રી અને ડિપ્લોમા કોલેજોના અધ્યાપકો તેમના 7-8 વર્ષોથી લંબિત કેસ ટૂંક સમયમાં મળી જશે તેવી આશા જન્મી હતી. આ અંતર્ગત અરજીઓ મંગાવી ઓફલાઈન ચકાસણી કરી સત્વરે આદેશ થાય એવી વ્યવસ્થા ઉભી કરવાની બદ્લે  ઓનલાઇન ચકાસણી કરવા અંગે કમિશનર ઓફ ટેકનિકલ શિક્ષણ દ્વારા નિર્ણય કરાયો હતો. 30 જુલાઈ 2024ના પરિપત્ર દ્વારા તમામ અધ્યાપકોને કેસની અરજી ફરજિયાત કોજન્ટ પોર્ટલ ઉપર કરવા માટે સૂચના આપી હતી. પરંતુ કોજન્ટ પોર્ટલ યોગ્ય રીતે થયેલ ન હોવાના કારણે ટેકનિકલ ક્ષતિઓને લીધે પોર્ટલ પર અરજી કરવામાં મોટાભાગના અધ્યાપકોએ વ્યાપક હેરાનગતિ ભોગવી હતી તેમ કોંગ્રેસ પ્રવકતાએ જણાવ્યું હતું.

કોંગ્રેસ પ્રવકતાએ જણાવ્યું હતું કે, ટેકનિકલ શિક્ષણ કચેરી દ્વારા અધ્યાપકોને કોજન્ટ પોર્ટલ પર કેસ માટે ઓનલાઈન અરજી કરવા માટે ૨૦ ઓગસ્ટ 2024ની સમયમર્યાદા આપી હતી. પરંતુ ટેકનિકલ ક્ષતિઓને લીધે ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા અરજી કરવા માટેની છેલ્લી તારીખ બે વખત લંબાવી અનુક્રમે 5 સપ્ટેમ્બર કરવાની ફરજ પડી હતી. તેમાં પણ આજદિન સુધી કોજન્ટ પોર્ટલના 5 તબક્કામાંથી માત્ર બે તબક્કાની ચકાસણી પૂર્ણ થઇ છે, બાકીના 3 તબક્કાની પરિપત્રના ૬ મહિના થયા છતાં અમલીકરણ થયું નથી. જે રાજ્યના 4000 જેટલા અધ્યાપકો માટે ખૂબ જ નિરાશાજનક બાબત છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટેકનિકલ શિક્ષણ વિભાગનું કોજન્ટ પોર્ટલ જે ગતિથી ચાલી રહ્યું છે તે જોતા હજુ આગામી તા. ૩૧/૦૩/૨૦૨૫ સુધીમાં અધ્યાપકોની ગ્રેડ-પે ૬૦૦૦ થી ૭૦૦૦ તેમજ ગ્રેડ-પે ૭૦૦૦ થી ૮૦૦૦ એમ બે ઇવેન્ટ તો દૂર રહી, પરંતુ પ્રથમ ઇવેન્ટ પણ પૂરી થઇને જરૂરી આદેશ થશે કે કેમ એ પણ અનિશ્ચિત જણાય છે. આ રીતે ટેકનિકલ ક્ષતિઓ તેમજ સંવેદનશીલતાના અભાવે સરકારે કેસ જાહેર કર્યાને અંદાજે ૧૦ મહિના થયા છતાં હક/ન્યાય/લાભથી વંચિત 4000 જેટલા અધ્યાપકોને નાણાકીય તેમજ તેમની કારકિર્દીને ભારે નુકસાન થઇ રહ્યું છે. તો આ અંગે સરકાર દ્વારા તાકીદે ઘટતી કાર્યવાહી ઝડપભેર થાય તેવી માંગણી પણ કોંગ્રેસ પ્રવક્તાએ કરી છે.

આ પણ વાંચો: એન્જિનિયરિંગના પ્રોફેસરો ડિલિવરી બોયનું કામ કરી રહ્યા છે...


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.