હિંદુ નામે ચાલતી મુસ્લિમ માલિકોની હોટલો પર હવે એસટી બસ નહીં ઉભી રહે
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે વિવિધ રૂટો પર હિન્દુ નામથી ચાલતી મુસ્લિમ માલિકોની હોટલોના લાઈસન્સ રદ કર્યા છે. જાણો શું છે આખો મામલો.
ગુજરાત સરકારે હવે ઉત્તરપ્રદેશની તર્જ પર રાજ્યમાં મુસ્લિમો પર આડકતરી રીતે આર્થિક પ્રતિબંધો લાદવાની શરૂ કર્યું હોય તેમ જણાઈ રહ્યું છે. આવું એટલા માટે લાગે છે કેમ કે, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે (GSRTC) હિંદુ નામથી ચાલતી મુસ્લિમ માલિકોની હોટલોના લાઇસન્સ રદ કર્યા છે. મળતી માહિતી મુજબ આ હોટલોનું નામ કાં તો હિન્દુ હતું અથવા તેને ચલાવવા માટે કોઈ હિન્દુ માલિકના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. હવે રાજ્ય પરિવહન નિગમ એટલે કે GSRTC ની બસો આ હોટલો પર રોકાશે નહીં.
છેલ્લા એક વર્ષમાં, GSRTC એ એવી હોટલોની યાદી તૈયાર કરી હતી જેમાં હિન્દુ નામોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અથવા કેટલાક કિસ્સાઓમાં હોટલ માલિક તરીકે હિન્દુ નામ હતું પરંતુ તે મુસ્લિમ સમાજના લોકો દ્વારા ચલાવવામાં આવી રહી હતી.
સરકારનું કહેવું છે કે, હોટલોમાં પારદર્શિતા અને યોગ્ય સંચાલન માટે આ પગલું લેવામાં આવ્યું છે. જે હોટલોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે તેમાં વડોદરા ડિવિઝનમાં અમદાવાદ-સુરત રોડ પર આવેલી સ્વાજી ઇન, હોટેલ વિશાલ, હોટેલ બસેરા અને હોટેલ સતીમાતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભરૂચ વિભાગ હેઠળ સુરત-અમદાવાદ રોડ પર આવેલી હોટેલ તુલસી, હોટેલ મારુતિ, હોટેલ ડાયમંડ અને હોટેલ રોનકના નામ પણ તે હોટલોમાં સામેલ છે જેમના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. આ સિવાય, રાજકોટ વિભાગ હેઠળ ભુજ-ધાંગધ્રા-અમદાવાદ રોડ પર આવેલી હોટલ શિવશક્તિનું રજીસ્ટ્રેશન પણ રદ કરવામાં આવ્યું છે.
GSRTC એ ગોધરા વિભાગ હેઠળ આવતી કિસ્મત કાઠિયાવાડી (ડેલોલ) અને હોટેલ વૃંદાવન નામની હોટલોનું રજીસ્ટ્રેશન પણ રદ કર્યું છે. તેવી જ રીતે, પાલનપુર વિભાગમાં પણ, GSRTC એ હોટેલ ગુરુકૃપા, હોટેલ રિલીફ અને હોટેલ રોનકના રજીસ્ટ્રેશન રદ કર્યા છે. જે હોટલોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે તેમાં સાસણ રોડ પર આવેલી હોટલ તુલસી, ઊંઝા-મહેસાણા હાઇવે પર આવેલી હોટલ માનસી, નડિયાદ ખેડા પર આવેલી હોટલ શ્રીજી અને રાજકોટ-ચોટીલા હાઇવે પર આવેલી હોટલ સર્વોદય એન્ડ રૂમ્સનો સમાવેશ થાય છે. પ્રાપ્ત યાદી અનુસાર, GSRTC એ કુલ ૨૭ હોટલના લાઇસન્સ રદ કર્યા છે.
આ પણ વાંચો: દુકાનનું નામ હિંદુ હોવાથી ભાજપ નેતાએ મુસ્લિમ માલિકને ધમકાવી તોડફોડ કરી