પાંચમા તબક્કામાં ૧૫૯ ઉમેદવારો સામે ફોજદારી કેસ, ૨૨૭ કરોડપતિ

લોકસભાની ચૂંટણીમાં હવે પાંચમા તબક્કાનું મતદાન યોજાશે. ADR એ 695 ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરીને રસપ્રદ વિગતો તારવી છે.

પાંચમા તબક્કામાં ૧૫૯ ઉમેદવારો સામે ફોજદારી કેસ, ૨૨૭ કરોડપતિ

દેશમાં હાલ ચૂંટણીનો માહોલ છે. લોકસભાની ચૂંટણી ૧૯ એપ્રિલથી ૧ જૂન સુધી સાત તબક્કામાં યોજાઈ રહી છે. ચાર તબક્કામાં મતદાન થયું છે અને પાંચમા તબક્કા માટે નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. દરમિયાન, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) એ પાંચમા તબક્કામાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના એફિડેવિટ્‌સનું વિશ્લેષણ કર્યું છે. આ તબક્કામાં કુલ ૬૯૫ ઉમેદવારો મેદાનમાં છે.

એડીઆરએ બહાર પાડેલા વિશ્લેષણમાં  જણાવ્યું હતું કે પ્રથમ તબક્કાના ૬૯૫ ઉમેદવારોમાંથી ૧૫૯ સામે ફોજદારી કેસો નોંધાયેલા છે. ૨૨૭ ઉમેદવારો એવા છે જેઓ કરોડપતિ છે. ૬૯૫ માંથી ૧૫૯ (૨૩ ટકા) ઉમેદવારોએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે. ૧૨૨ (૧૬ ટકા) ઉમેદવારોએ પોતાની સામે ગંભીર ફોજદારી કેસ હોવાનું જાહેર કર્યું છે. ત્રણ ઉમેદવારોએ પોતાની સામે દોષિત મામલો જાહેર કર્યો છે. ચાર ઉમેદવારોએ પોતાની વિરુદ્ધ હત્યાના કેસ જાહેર કર્યા છે જ્યારે ૨૮ ઉમેદવારોએ પોતાની સામે હત્યાના પ્રયાસના કેસ હોવાનું જાહેર કર્યું છે. ૨૯ ઉમેદવારો એવા છે જેમણે મહિલાઓ પર અત્યાચાર સંબંધિત કેસ જાહેર કર્યા છે. આ ૨૯માંથી એક ઉમેદવાર સામે બળાત્કાર સંબંધિત કેસ નોંધાયેલ છે. આ સિવાય કુલ ૧૦ ઉમેદવારો એવા છે જેમણે ભડકાઉ ભાષણ સંબંધિત કેસ જાહેર કર્યા છે.

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદી પર છ વર્ષ માટે ચૂંટણી પ્રતિબંધ લગાવવાની માંગ

પાંચમા તબક્કાના ૧૦ માંથી ૫ સપા ઉમેદવારો સામે ફોજદારી કેસ છે. શિવસેનાના છ માંથી ત્રણ, એઆઇએમઆઇએમના ચારમાંથી બે, ભાજપના ૪૦ માંથી ૧૯, કોંગ્રેસના ૧૮ માંથી આઠ,  ટીએમસીના સાતમાંથી ત્રણ, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના આઠમાંથી ત્રણ અને આરજેડીના પાંચ ઉમેદવારોમાંથી એક સામે ફોજદારી કેસ નોંધાયેલો છે.

695માંથી 227 ઉમેદવારો કરોડપતિ

૬૯૫માંથી ૩૩ ટકા એટલે કે ૨૨૭ ઉમેદવારો કરોડપતિ છે. ભાજપના સૌથી વધુ ૩૬ ઉમેદવારો કરોડપતિ છે. એઆઇએમઆઇએમના ચારમાંથી બે ઉમેદવારો કરોડપતિ છે. ચૂંટણી એફિડેવિટમાં આ ઉમેદવારોએ એક કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પાંચમા તબક્કામાં દરેક ઉમેદવાર પાસે સરેરાશ ૩.૫૬ કરોડ રૂપિયાની સંપત્તિ છે. જાે આપણે પક્ષ મુજબના આંકડાઓ પર નજર કરીએ તો,એનસીપી (શરદ જૂથ)ના બે ઉમેદવારો પાસે સૌથી વધુ સરેરાશ સંપત્તિ રૂ. ૫૪.૬૪ કરોડ છે.

ભાજપના અનુરાગ શર્મા સૌથી વધુ સંપત્તિ ધરાવતા ઉમેદવાર

પાંચમા તબક્કામાં સૌથી વધુ સંપત્તિ જાહેર કરનાર ઉમેદવાર અનુરાગ શર્મા છે. ઉત્તર પ્રદેશના ઝાંસીથી ભાજપના ઉમેદવારે કુલ ૨૧૨ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. આ મામલે અપક્ષ નિલેશ ભગવાન સાંભરે બીજા ક્રમે છે. મહારાષ્ટ્રની ભિવંડી સીટ પરથી ચૂંટણી લડી રહેલા સાંભરેએ પોતાના સોગંદનામામાં ૧૧૬ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. ત્રીજા સૌથી અમીર ઉમેદવાર કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર પીયૂષ ગોયલ છે. મહારાષ્ટ્રની ઉત્તર મુંબઈ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ગોયલ પાસે ૧૧૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

293 ઉમેદવારો ફક્ત 5 થી 12 ધોરણ ભણેલા

બીજી તરફ એક ઉમેદવારે પોતાની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે. જ્યારે ત્રણ ઉમેદવારોએ તેમની સંપત્તિ અનુક્રમે રૂ ૬૭, રૂ ૭૦૦ અને રૂ ૫૪૨૭ જાહેર કરી છે. તમામ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો, ૨૯૩ (૪૨ ટકા) ઉમેદવારોએ ૫ થી ૧૨માં અભ્યાસ કર્યો છે. ૩૪૯ (૫૦ ટકા) ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન અને તેથી વધુ જાહેર કરી છે. ૨૬ ઉમેદવારો ડિપ્લોમા ધારક છે. ૨૦ ઉમેદવારો સાક્ષર છે જ્યારે પાંચ ઉમેદવારો પણ અભણ છે.

695માં ફક્ત 82 મહિલા ઉમેદવારો

ઉમેદવારોની ઉંમરના આંકડાઓ પર નજર કરીએ તો ૨૦૭ (૩૦ ટકા) ઉમેદવારોની ઉંમર ૨૫ થી ૪૦ વર્ષની વચ્ચે છે. ૩૮૪ (૫૫ ટકા) ઉમેદવારોની ઉંમર ૪૧ થી ૬૦ વર્ષની વચ્ચે છે. ૧૦૩ (૧૫ ટકા) ઉમેદવારો ૬૧ થી ૮૦ વર્ષની વય જૂથમાં છે. એક ઉમેદવારે પોતાની ઉંમર ૮૨ વર્ષ જણાવી છે. જો આપણે પાંચમા તબક્કાની ચૂંટણીમાં મહિલાઓના પ્રતિનિધિત્વ પર નજર કરીએ તો ૬૯૫માંથી ૮૨ મહિલા ઉમેદવારો એટલે કે માત્ર ૧૨ ટકા છે.

આ પણ વાંચો: ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા છે, રાજકીય પક્ષો માટે નથી!


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.