'BIG BOSS 18' ની અભિનેત્રીને મુંબઈમાં ઘર નથી મળતું, લોકો જાતિ પૂછે છે

ડેન્ટિસ્ટની ડિગ્રી ધરાવતી અભિનેત્રી યામિનીને મુંબઈમાં જાતિવાદનો કડવો અનુભવ થયો. જે તેણે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

'BIG BOSS 18' ની અભિનેત્રીને મુંબઈમાં ઘર નથી મળતું, લોકો જાતિ પૂછે છે
image credit - Google images

સલમાન ખાનના રિયાલિટી શો 'બિગ બોસ 18' માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મેળવનાર અભિનેત્રી યામિની મલ્હોત્રા આ સમયે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. અભિનેત્રી ઘણા સમયથી મુંબઈમાં રહેવા માટે ઘર શોધી રહી છે પરંતુ લોકો તેને ઘર આપવા તૈયાર નથી. યામિનીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

યામિની મલ્હોત્રાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે તે એક અભિનેત્રી હોવાથી તેને મુંબઈમાં ઘર મળી શકતું નથી. લોકો તેને ઘર આપવા તૈયાર નથી. તેઓ તેમને ધર્મ સંબંધિત પ્રશ્નો પૂછી રહ્યા છે. પોસ્ટમાં યામિની આવી માનસિકતા ધરાવતા લોકો પર પ્રહાર કરતી જોવા મળી છે.

'તમે હિન્દુ છો કે મુસ્લિમ?'

યામિનીએ પોતાની પોસ્ટમાં લખ્યું - 'નમસ્તે મિત્રો, હું કંઈક એવું શેર કરવા માંગુ છું જે ખરેખર નિરાશાજનક છે. મને મુંબઈ જેટલું ગમે છે, એટલું જ અહીં ઘર શોધવું મુશ્કેલ છે. મને એવા સવાલો પૂછવામાં આવ્યા કે, તમે હિન્દુ છો કે મુસ્લિમ? તમે ગુજરાતી છો કે મારવાડી? અને જેવી લોકોને ખબર પડે છે કે હું એક અભિનેત્રી છું, કે તરત જ તેઓ ઘર આપવાનો ઈનકાર કરી દે છે. શું હું ફક્ત અભિનેત્રી હોવાને કારણે ઘર મેળવવાને લાયક નથી?

યામિનીને સપનાના શહેર પર ગુસ્સો આવ્યો

'બિગ બોસ 18' ફેમ અભિનેત્રીએ આગળ લખ્યું, 'આ આશ્ચર્યજનક છે કે 2025 માં પણ આ પ્રશ્નો કેવી રીતે અસ્તિત્વમાં છે.' જો સપનાઓ શરતો સાથે આવે છે, તો શું આપણે ખરેખર મુંબીને સપનાનું શહેર કહી શકીએ? યામિની મલ્હોત્રા 'બિગ બોસ 18' પહેલા ઘણા ટીવી શોનો ભાગ રહી ચૂકી છે. તેણે સ્ટાર પ્લસના 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' અને 'મૈં તેરી તુ મેરા' જેવા લોકપ્રિય શોમાં કામ કર્યું છે.

યામિની મલ્હોત્રા એક અભિનેત્રી હોવા ઉપરાંત, એક ડેન્ટિસ્ટ પણ છે. ૨૦૧૬ માં આવેલી ફિલ્મ 'ચુટ્ટલાબાઈ' માં પણ તેણે કામ કર્યું છે. આ વર્ષે અભિનેત્રીએ 'બિગ બોસ ૧૮' માં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો. જો કે, તે લાંબા સમય સુધી ઘરમાં ટકી શકી નહોતી. અભિનેત્રી મૂળ દિલ્હીની છે.

જો કે આ પહેલી ઘટના નથી કે, મુંબઈમાં કોઈ અભિનેત્રીને ઘર માટે સંઘર્ષ કરવો પડ્યો હોય અને તેને તેની જાતિ પૂછવામાં આવી હોય. આ પહેલા ઉર્ફી જાવેદ પણ ભેદભાવનો સામનો કરી ચૂકી છે. વર્ષ ૨૦૨૩ માં, ઉર્ફીએ શેર કર્યું હતું કે લોકોએ તેને ઘર આપવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે એક ચોક્કસ ધર્મની હતી. એ વખતે કેટલાક લોકોએ તેના પહેરવેશને કારણે પણ તેને ઘર આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો.

આ પણ વાંચો: એક દલિત ડોક્ટર ચાર વર્ષથી ભાડે મકાન મેળવવા રઝળી રહ્યાં છે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.