હું મંદિર ગયો તો ભાજપના લોકોએ તેને ગંગાજળથી સાફ કર્યું…

લોકસભાની ચૂંટણીને લઈને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ભાજપ પર જાતિવાદ અને આભડછેટનો આરોપ લગાવતા આકરા પ્રહારો કર્યા હતા.

હું મંદિર ગયો તો ભાજપના લોકોએ તેને ગંગાજળથી સાફ કર્યું…

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના ચોથા તબક્કા માટે આજે ૧૦ રાજ્યોની ૯૬ બેઠકો પર મતદાન  થયું છે. આમાં ઉત્તર પ્રદેશની કન્નૌજ સીટ પણ સામેલ છે. યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આ વખતે કન્નૌજથી ચૂંટણી લડી રહ્યા છે. મતદાન પહેલા અખિલેશ યાદવે કન્નૌજના પ્રખ્યાત સિદ્ધપીઠ બાબા ગૌરીશંકર મંદિરમાં જઈને વિશેષ પૂજા કરી હતી. પરંતુ તેના એક વીડિયોને લઈને વિવાદ થયો છે. અખિલેશ યાદવના જણાવ્યા અનુસાર, તેમના દર્શન કર્યા બાદ ભાજપના કાર્યકરોએ મંદિર પરિસરને ગંગાના જળથી ધોઈને શુદ્ધ કર્યું હતું.

અખિલેશ યાદવે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, "હું સિદ્ધપીઠ બાબા ગૌરીશંકર મંદિરમાં ગયો હતો. ત્યાં દર્શન કર્યા હતા, પરંતુ મારા ગયા પછી બીજેપીના લોકોએ મંદિરને ગંગાના પાણીથી ધોઈ નાખ્યું હતું." 

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા સપા નેતા આઈપી સિંહે કહ્યું કે, સપા રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પછાત વર્ગના છે. આથી ભાજપે મંદિર પરિસરને ગંગા જળથી ધોઈ નાખ્યું. ભાજપ માને છે કે પછાત, દલિત, વંચિત અને શોષિત લોકોને હિંદુ મંદિરોમાં પૂજા કરવાનો અધિકાર નથી. આ વખતે એ જ પછાત દલિતો, વંચિતો અને શોષિતો સાથે મળીને ભાજપને સત્તામાંથી બહારનો રસ્તો બતાવશે.

અખિલેશ યાદવે કહ્યું કે, "આજે લડાઈ મોટી છે. ભાજપ બંધારણને બદલવા માંગે છે જેણે આપણને જીવતા શીખવ્યું. તેથી જ તે ૪૦૦ પારનો નારો આપી રહી છે." 

કેન્દ્રની યોજનાઓ અંગે અખિલેશે કહ્યું, "કોઈને ખબર ન હતી કે અગ્નિવીર યોજના આવશે. નોટબંધી થશે. હું લાંબા સમય પછી ચૂંટણી લડી રહ્યો છું. મેં બસપા સાથે ગઠબંધન કર્યું હતું, જેથી દલિત સમાજ અમારી સાથે આવ્યો."

અખિલેશ યાદવે કન્નૌજ બેઠક પરથી ૨૦૦૦ની પેટાચૂંટણી, ૨૦૦૪ અને ૨૦૦૯ની સામાન્ય ચૂંટણી જીતી છે. ૨૦૧૪ની ચૂંટણીમાં અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ કન્નૌજથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચી હતી. ૨૦૧૯ની ચૂંટણીમાં તેમને બીજેપીના સુબ્રત પાઠકથી હાર મળી હતી. હવે અખિલેશ ફરી આ સીટ જીતવા પ્રયાસ કરી રહ્યા છે. ભાજપે તેમનો મુકાબલો કરવા માટે વર્તમાન સાંસદ સુબ્રત પાઠક પર દાવ લગાવ્યો છે. જ્યારે બહુજન સમાજ પાર્ટીએ ઈમરાન ઝફરને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.

યુપીની કન્નૌજ સીટ હંમેશા સમાજવાદી પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. મુલાયમ સિંહ યાદવ પરિવારનો એક જ સભ્ય અહીંથી ચૂંટણી જીતતો આવ્યો છે. જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પૈકી કન્નૌજ સદર બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. અહીં સૌથી વધુ ૩૦ ટકા મતદારો આ શ્રેણીના છે. તેમાં પણ જાટવ સમાજની સંખ્યા સૌથી વધુ છે. આ પછી મુસ્લિમ મતદારો લગભગ ૨૨ ટકા છે. આ બેઠક પર બ્રાહ્મણ મતદારોની સંખ્યા પણ લગભગ ૨૦ ટકા છે. કન્નૌજમાં યાદવોની સંખ્યા ૨૫ ટકા છે. ક્ષત્રિયો અને કુર્મીઓ પણ નિર્ણાયક સ્થિતિમાં છે. સપાને તેના બેઝ વોટ યાદવોની સાથે બિન-યાદવોના વોટ મળવાનો વિશ્વાસ છે. બીજી તરફ, ભાજપ તમામ જ્ઞાતિઓ વચ્ચે પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે બસપાએ દલિત અને મુસ્લિમ મતોને નિશાન બનાવ્યા છે.

આ પણ વાંચો: મારા સમાજને મંદિરોમાં જવા નથી દેતા, મને કેવી રીતે સહન કરે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.