અંબાજીમાં આખલાએ દોઢ વર્ષની બાળકીની છાતી પર પગ મૂકી દેતા મોત
મજૂર પરિવાર સંબંધીના ખબરઅંતર પૂછવા આબુ રોડ આવ્યો હતો અને રેલવે સ્ટેશનના રિઝર્વેશનના રૂમમાં બાળકીને કાળ ભેટી ગયો.

અંબાજીના આબુ રોડ રેલવે સ્ટેશન ખાતે કમકમાટીભરી ઘટના બની છે. અહીં એક આખલાએ દોઢ વર્ષની બાળકીની છાતી પર પગ મૂકી દેતા તેનું મોત થઈ ગયું છે. મુંદ્રાનો ગરીબ પરિવાર પોતાના એક સંબંધીની ખબર કાઢવા માટે આબુ રોડ ખાતે આવ્યો હતો અને રેલવે સ્ટેશનના રિઝર્વેશન રૂમમાં આરામ ફરમાવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
મળતી માહિતી પ્રમાણે, મુંદ્રાનો ગરીબ પરિવાર સંબંધીના ખબરઅંતર પૂછવા માટે આબુ રોડ આવ્યો હતો. તેઓ સ્વજનોને મળીને મુંદ્રા પરત ફરવા આબુ રોડ રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. અહીં રિઝર્વેશન રૂમમાં પરિવાર સૂતો હતો ત્યારે અચાનક જ ત્યાં એક રખડતો આખલો આવી ચડ્યો હતો અને તેણે સૂતેલી દોઢ વર્ષની બાળકીની છાતી પર પગ મૂકી દીધો હતો.
જેના પગલે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. પરિવાર બાળકીને રેલવે સ્ટેશન લઈ ગયો હતો, જ્યાં ડ્રાઈવરોએ પરિવારના સભ્યોની મદદ કરી પૈસા ભેગા કરી આપ્યા હતા. પરિવારજનોએ મૃતક બાળકીને લઈને પોતાના ઘરે જવા રવાના થયા હતા.
આ ઘટનાની માહિતી મળતાં જ એસડીએમએ ઘટનાસ્થળે પહોંચી ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ ઘટના બાદ રિઝર્વેશન રૂમની બહાર સાંકળ લગાવી દેવામાં આવી છે. રખડતા ઢોર રિઝર્વેશન રૂમમાં પ્રવેશ ન કરે તે માટે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં કોઈ આવી ઘટના ન બને તે માટે વહીવટીતંત્રએ આ કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો: કેરીના ગોટલાનો રસો પીવાથી 3 આદિવાસી મહિલાઓના મોત, 7 બીમાર