પાટડીના મૃતક બંને સફાઈકર્મીઓના પરિવારને 30-30 લાખની સહાય અપાઈ
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગેસ ગળતરથી મોતને ભેટેલા બંને સફાઈકર્મીઓના પરિવારને 48 કલાકમાં સહાય આપવામાં આવી.

પાટડીમાં 21મી જાન્યુઆરીના રોજ ભૂગર્ભ ગટરના પંપની સફાઈ દરમિયાન ગેસ ગળતર થવાથી મોતને ભેટેલા બંને સફાઈ કર્મચારીઓના પરિવારને સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તાત્કાલિક સહાય ચૂકવી છે. મૃતક સફાઈકર્મીઓ જયેશભાઈ પાટડીયા અને ચિરાગભાઈ પાટડીયાના પરિવારજનોને રૂ. 30-30 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીની સૂચનાથી પાટડી નગરપાલિકાના સ્વભંડોળમાંથી આ સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દુર્ઘટનાના માત્ર 48 કલાકની અંદર જ બંને પરિવારોને સહાયના ચેક અપાતા સફાઈકર્મી પરિવારોને થોડી રાહત થઈ છે. આ સિવાય એટ્રોસિટી એક્ટ હેઠળ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા દરેક પરિવારને રૂ. 4 લાખની વધારાની સહાય મંજૂર કરવામાં આવી છે, જેમાંથી રૂ. 1 લાખનો પ્રથમ હપ્તો પણ આપવામાં આવ્યો છે.
ઘાયલ થયેલા વ્યક્તિને પણ રૂ. 1 લાખની સહાય
ગેસ ગળતરની આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા ચેતનભાઈ મંગાભાઈની પણ સરકાર દ્વારા રૂ. 1 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે, જેમાંથી રૂ. 25 હજારનો પહેલો હપ્તો જારી કરાયો છે. સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા વિમા પેટે રૂ. 2 લાખની વધારાની સહાયની દરખાસ્ત પણ કરવામાં આવી છે.
મૃત્યુ જેવા ગંભીર મામલામાં પણ નેતાઓ રાજકીય લાભ લેવાનું ચૂક્યા નહોતા અને સત્તાપક્ષના ધારાસભ્યથી લઈને શહેર ભાજપ પ્રમુખ તથા અન્ય હોદ્દેદારોએ ફોટો સેશન કરાવ્યું હતું. મૃતકના પરિવારને ચેક વિતરણ સમારોહમાં દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર, દિલીપભાઈ પટેલ, પ્રાંત અધિકારી જયંતસિંહ રાઠોર, મામલતદાર, નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન ચંદારાણા, શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: પાટડીમાં ગટર સફાઈમાં બે દલિત યુવકોના મોત, અમદાવાદના કોન્ટ્રાક્ટરની ધરપકડ