ભગવદ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નહીં, ભારતીય સંસ્કૃતિ-સભ્યતાનો ભાગ છે : હાઈકોર્ટ
શાળાઓમાં પ્રાર્થના દરમિયાન ભગવદ ગીતાના શ્લોકોને સામેલ કરવા અંગે થયેલી પીઆઈએલમાં ગુજરાત હાઈકોર્ટે તર્કને બદલે ધર્મની ભેળસેળ કરી છે.

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં પ્રાર્થના દરમિયાન ભગવદ ગીતા (Bhagavad Gita) ના શ્લોકો ઉમેરવાને લઈને ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં જમિયત ઉલેમા-એ-હિંદ (Jamiyat Ulema-e-Hind) દ્વારા પીઆઈએલ (PIL) દાખલ કરવામાં આવી હતી. જેમાં ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે ઠરાવ પસાર કરીને ગુજરાતની શાળાઓમાં પ્રાર્થના વગેરે દરમિયાન ભગવદ ગીતાના શ્ર્લોકો ઉમેરવામાં આવ્યા છે, જે અભ્યાસક્રમનો પણ એક ભાગ છે.
તે સરકારી દરખાસ્તને મૂળ પિટિશનમાં પડકારવામાં આવી છે. સંસ્થાની દલીલ હતી કે, નેશનલ એજ્યુકેશન પોલિસી અનુસાર, તમામ ધર્મોની સારી બાબતો શીખવતા બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતોનો અભ્યાસમાં સમાવેશ થવો જોઈએ, માત્ર ભગવત ગીતા જ નહીં.
સંસ્થાની દલીલ તાર્કિક હોવા છતાં ગુજરાત હાઈકોર્ટે તેને સ્વીકારવાને બદલે ભારતીય સંસ્કૃતિ અને સભ્યાનો ભાગ ગણાવીને આખા મામલાને છાવર્યો હોય તેમ જણાય છે. હાઈકોર્ટે કહ્યું કે ભગવદ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો એક ભાગ છે. તેમાં રહેલા સિદ્ધાંતો નૈતિક મૂલ્યો શીખવે છે. તેથી, ભગવદ ગીતા એક પ્રકારનું નૈતિક વિજ્ઞાન છે.
હાઈકોર્ટની બેન્ચે એમ પણ કહ્યું કે અમે વર્ષોથી પશ્ચિમી વિશ્વના નૈતિક પાઠ શીખી રહ્યા છીએ. આ અરજી એક પ્રચાર અને સ્ટંટ સિવાય બીજું કંઈ નથી અને તેમાં રાષ્ટ્રીય નીતિ વિરુદ્ધ કંઈ નથી. અભ્યાસક્રમમાં સામેલ કરવા માટે અરજદારોએ તેમના ધર્મની યોગ્યતાઓ સરકાર સમક્ષ રજૂ કરવાની રહેશે. સરકાર પછી સરકાર તેને પોતાની રીતે ઉમેરી શકે છે.
આ સંદર્ભમાં અરજદારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીને પણ ટાંકી હતી અને એમ પણ કહ્યું કે સરકાર દ્વારા અરજી અંગે કોઈ જવાબ રજૂ કરવામાં આવ્યો નથી. અરજદારે કહ્યું કે, એક વિશેષ સંસ્થા છે જે અભ્યાસક્રમ નક્કી કરે છે. તેમણે અભ્યાસ નક્કી કરવો જોઈએ, સરકારે તેમાં દખલ ન કરવી જોઈએ. જો કે, હાઈકોર્ટે કહ્યું કે ભગવદ ગીતા માત્ર ધાર્મિક શિક્ષણ નથી, પરંતુ જીવનના મૂળભૂત નીતિ-નિર્માણ મૂલ્યો શીખવે છે. તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વિરુદ્ધ નથી. હાઈકોર્ટે અરજદારને મૂળ અરજી પર સુનાવણી માટે એક મહિના પછીની તારીખ આપી હતી.
આ પણ વાંચોઃ નવા શૈક્ષણિક સત્રથી ધો. 6 થી 8માં ભગવદ ગીતાના પાઠ ભણાવાશે