ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, 16 ફેબ્રુઆરીએ મતદાન
રાજ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી. જાણો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વિસ્તારથી માહિતી.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચાલતી લાંબા સમયની અટકળોનો અંત આવી ગયો છે અને તેની તારીખો જાહેર થઈ ચૂકી છે. રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર એસ.મુરલીકૃષ્ણે પ્રેસ કોન્ફરન્સ કરીને આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. એ મુજબ 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે અને 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. વિવાદને પગલે ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં નથી આવ્યો.
રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડૉ. એસ. મુરલીક્રિષ્ણને જણાવ્યું છે કે, રાજ્યમાં જૂનાગઢ મહાનગર પાલિકા, 66 નગર પાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે. આ સિવાય અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગર પાલિકાની 3 ખાલી પડેલ બેઠકની ચૂંટણી યોજાશે. ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ જાહેર નથી કરાઈ. આ સિવાય ધાનરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો.
બોરસદ, સોજીત્રા જેમાં OBCની ભલામણ મુજબ હજી રિઝર્વેશન નક્કી થયું નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમાં 19 લાખ જેટલા મતદારો મત આપશે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ચૂંટણીઓમાં 27 ટકા ઓ.બી.સી., 14 ટકા એસ.ટી. અને 7 ટકા એસ.સી. અનામત બેઠકો રહેશે. રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગર પાલિકા અને 539 નવી ગ્રામ પંચાયતો સાથે કુલ 4765ની ચૂંટણીઓ થઈ શકી નથી.
પાલિકા અને પંચાયતોની સામાન્યની સાથે પેટાચૂંટણી પણ યોજાશે. જેમાં ત્રણ મહાનગરપાલિકાની ત્રણ બેઠકો, બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી. નગરપાલિકાની ખાલી પડેલી 21 બેઠક, જિલ્લા પંચાયતની 9 બેઠક અને તાલુકા પંચાયતની 91 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ તમામ બેઠકો પર પણ 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે.
આ પણ વાંચો: હવે ઉમેદવારો અને સામાન્ય લોકોને મતદાન મથકોના સીસીટીવી ફૂટેજ નહીં મળે