May દિન પૂછે છે: કામદારોની હાલત બહેતર કે બદતર?
ચાર દિવસ પહેલા જ આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ ઉજવાઈ ગયો. ઉજવણી થઈ પરંતુ ભારત સહિત દુનિયાભરના દેશોમાં મજૂરીની સ્થિતિ કેવી છે તે પણ જાણવું જરૂરી છે.
![May દિન પૂછે છે: કામદારોની હાલત બહેતર કે બદતર?](https://khabarantar.com/uploads/images/202405/image_870x_663712f045539.jpg)
ચંદુ મહેરિયા
દુનિયાભરના મહેનતકશોએ આ મહિનાની પહેલી તારીખે તેમના સંઘર્ષની સ્મૃતિ તાજી કરતો અને નવા સંઘર્ષની તૈયારી કરતો મે દિન ઉજવ્યો. ઈન્ટર નેશનલ લેબર ડે, મજૂર દિન, શ્રમિક દિન, કામદાર દિવસ કે વર્કર ડે જેવા નામે ઓળખાતો આ દિવસ શ્રમિકોના બલિદાન અને યોગદાનના સ્મરણોનો દિવસ છે. કામદારોના સન્માન સાથે તેમના અધિકારો માટે અવાજ ઉઠાવવાનો આ દિવસ છે. કામદારોમાં ટ્રેડ યુનિયન પરંપરા અને આંદોલનોને કારણે વિકસેલી વર્ગ ચેતનાને દ્રઢાવવાના સંકલ્પનો આ દિવસ છે. મજદૂરોના અધિકારો માટેની જાગૃતિનો આ દિવસ છે. વિશ્વના કરોડો કામદારોના મહેનત, દ્રઢ નિશ્ચય અને ઉજળી આવતીકાલના સપનાં સજાવવાનો આ દિવસ છે. યોગ્ય અને સમાન, કામની સલામત સ્થિતિ, કામના કલાકો જેવી અનેક માંગ અને હક માટે અદાલતો અને સરકારો સામે લડવા, સમાજમાં કામદારોની સ્થિતિ મજબૂત કરવાનો તેમજ દુનિયા કે મજદૂર એક હો નો નારો બુલંદ કરવાનો પણ આ દિવસ છે.
કામદારોના લોહી પરસેવાની કોઈ પણ દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા છે. પરંતુ ખુદ કામદારોની હાલત દયનીય છે. અમેરિકા જેવા મૂડીવાદી દેશ પાસે જે સમૃધ્ધિ, સત્તા અને શક્તિ છે તેના પાયામાં મજૂરોનો પસીનો છે. ઔદ્યોગિક ક્રાંતિએ દુનિયામાં ઘણાં પરિવર્તનો આણ્યાં છે પરંતુ તે કામદારોના શોષણ પર વિસ્તરી હતી તે ભૂલાઈ ગયું છે. લોઢા સાથે બાથો ભરતા શ્રમિકોને આંતેડા ઘોઘરે આવે ત્યાં સુધી મજૂરી કરવી પડતી હતી. તેમના કામના કલાકો નિશ્ચિત નહોતા. પંદર થી અઢાર કલાક સુધી કામ કરતા મજૂરોએ તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. અમેરિકા અને કેનેડાના કામદારોએ પહેલી મે ૧૮૮૬ના રોજ કામના મહત્તમ આઠ જ કલાકની માંગણી માટે હડતાળ પાડી હતી. આ હડતાળ લોહિયાળ બનતાં, કામદારો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો. ગોળીબારમાં કામદારો મરાયા ને ઘણાં ઘવાયા હતા. તેના ત્રણ વરસ પછી ૧૮૮૯માં પેરિસમાં મળેલી ઈન્ટર નેશનલ સોશ્યાલિસ્ટ કોન્ફરન્સમાં અમેરિકાના કામદારોની પહેલી મે ની હડતાળની યાદમાં દર વરસે પહેલી મે નો દિવસ વિશ્વ મજૂર દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું હતું. આજે તો એ ઘટનાને ૧૩૫ વરસ થયા પરંતુ હજુ કામદારોનું શોષણ અને તેની વિરુધ્ધના આંદોલનો ચાલે છે એટલે લગભગ આખી દુનિયામાં કામદાર દિવસ મનાવાય છે.
ભારતમાં ૧૯૨૩માં પહેલવહેલો મજૂર દિન ચેન્નઈમાં ઉજવાયો હતો. તેને પણ હવે સો વરસ વીતી ગયાં છે. જોકે હજુ દેશના મહેનતકશોની હાલત તો બદતર જ છે. ભારત સરકારના શ્રમ મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં ૪૮ કરોડ શ્રમિકો હોવાનો અંદાજ છે. તે પૈકીના મોટા ભાગના (૯૦ ટકા) અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. કૃષિમાં ૪૨ ટકા, સેવા ક્ષેત્રમાં ૩૨ ટકા અને ઉધ્ધોગોમાં ૨૬ ટકા કામદારો કામ કરે છે. વિશ્વના જે દસ દેશોના કામદારો સૌથી વધુ કલાક કામ કરે છે તેમાં ભારત સાતમા ક્રમે છે.ભારતીય શ્રમિક અઠવાડિયે ૪૭.૭ કલાક કામ કરે છે.
આ પણ વાંચો: ભયંકર નોનસેન્સ: નારાયણ મૂર્તિ બેશરમ અને નિર્દય બજારનું પ્રતીક બની ગયા!
કામદાર કલ્યાણના કાયદા આઝાદી પછી તુરત જ ઘડાયા હતા અને કામદાર સંગઠનો તો આઝાદી પૂર્વે જ રચાયા હતા. પરંતુ કામદારોનું શોષણ સંપૂર્ણ અટક્યું નથી. કામનું યોગ્ય વેતન અને કામના કલાકોની બાબતમાં આજે પણ શોષણ થાય છે. લધુતમ વેતનના કાયદા છતાં આજેય ભારતીય શ્રમિક મહિને સરેરાશ રૂ. ૧૦,૦૦૦ જ કમાય છે. જે લઘુતમ વેતનથી ઓછા છે. કેન્દ્રીય કર્મચારીઓ માટેના સાતમા વેતન આયોગે ૨૦૧૬માં કર્મચારીઓનું લઘુતમ વેતન રૂ. ૧૮,૦૦૦ નક્કી કર્યું હતું પરંતુ અસંગઠિત ક્ષેત્રના કામદારોને તેનાથી અડધું ય મળતું નથી. હવે તો સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્ર વગેરેમાં રોજમદારો અને કોન્ટ્રાકટ મજૂરોની પ્રથા ચાલે છે જેમાં તેમનું મોટાપાયે શોષણ થાય છે.
ભારતમાં નિયમિત વેતન મેળવતા કામદારો તો ૨૩ ટકા જ છે. કુલ કામદારોના ચોથા ભાગના રોજમદારો છે. ૭૧ ટકા કામદારોને તેમના કામ કે નોકરીનો કોઈ લેખિત ઓર્ડર આપવામાં આવ્યો નથી. ૫૪ ટકાને સવેતન અઠવાડિક રજા મળતી નથી. કુલ કામદારોના ૫૭ ટકા ગ્રામીણ વિસ્તારોમાં છે. બાળ મજૂરી અને વેઠિયા મજૂરી નાબૂદ થવાના અણસાર વર્તાતા નથી. જ્ઞાતિગત વ્યવસાયોની પરંપરા મટવાની જણાતી નથી. સ્ત્રી-પુરુષને સમાન કામનું સમાન વેતન મળતું નથી. કામના સ્થળ સલામત નથી. વ્યવસાયિક જોખમ અને અસલામત કામના લીધે રોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતો થાય છે અને મજૂરો મરે છે. દેશમાં ઔધ્યોગિક શાંતિના છદ્માવરણ તળે કામદારોનું શોષણ દટાયેલું રહે છે.
સ્થળાંતર એ ભારતીય કામદારની જાણે કે નિયતિ છે. સ્થળાંતરિત કે પ્રવાસી મજૂરોની હાલત કેવી બદતર છે તેનો પરિચય દેશ અને દુનિયાને કોરોના મહામારીના લોકડાઉનના ગાળામાં થયો હતો. ભારતમાં મજૂરોની સ્થિતિ બહેતર થઈ રહ્યાના જે નગારા પિટાતા હતા તેની વાસ્તવિકતાનો પરચો આપણને કોરોનાકાળમાં થઈ ચૂક્યો છે. એટલે શ્રમ કાયદાઓને સાંકળતી ચાર શ્રમ સંહિતાઓથી કામદારોનું દળદર ફિટવાનું નથી.
૧૯૯૧ થી અમલી નવી અર્થનીતિએ પણ કામદારોની સ્થિતિને બદતર બનાવવામાં મોટો ભાગ ભજવ્યો છે. વિદેશી મૂડીરોકાણને આકર્ષવા ઔધોગિક શાંતિ જરૂરી હોવાના જાપ જપતાં દેશના કામદાર આંદોલનોનો કાંકરો કાઢી નાંખવામાં આવ્યો છે. લેબર કાયદા અને કામદાર યુનિયનોને તેમાં મુખ્ય અંતરાય માની તેને અપ્રસ્તુત કરવાના ખેલ ખેલાયા છે. ભારતના જાહેર ક્ષેત્રના ગુણગાન ગાનારા તેનું સર્જન ખરેખર તો ખાનગી ક્ષેત્રને સહાયરૂપ થવાના આશયથી થયું હતું તે સત્ય છૂપાવી રાખે છે. ખાનગી ઉધોગોને આયાત કરવી પડે તેવા યંત્રોનું અને બીજું ઉત્પાદન જાહેર ક્ષેત્રે કરીને ખરેખર તો ખાનગી ક્ષેત્રને સરકારી મદદ આપી છે. નવી અર્થનીતિ અને ઉદારીકરણે કામદારોનું અહિત કરનારા નિર્ણયો લઈને સમાજવાદી શ્રમ કાયદા ધરાવતા દેશને મૂડીવાદી બનાવી દીધો છે. ૨૦૦૦ થી ૨૦૧૮ દરમિયાન ભારતના ઉધ્યોગપતિઓનો નફાનો ભાગ ૧૭ ટકા થી વધીને ૪૮ ટકે પહોંચ્યો હતો પણ મજૂરીનો હિસ્સો ૩૩ ટકે થી ઘટીને ૧૭ ટકા થઈ ગયો હતો. આવી બદતર હાલતમાં મજૂર આંદોલનો અને તેની તીવ્રતા ઘટ્યાં છે. હડતાળઓમાં વેડફાયેલા માનવદિવસો અને માલિક-મજૂર વિવાદના કેસોમાં ઘટાડો તેનું પ્રમાણ છે.
આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસે ભલે હમ એક હૈ ના નારા બોલાવાય પણ કામદારોની જ્ઞાતિ સભાનતા વર્ગચેતના આણી શકતી નથી. દેશમાં ૭૦,૦૦૦ મજૂર મંડળોનું હોવું કે રાજકીય પક્ષો અને વિચારધારા સાથે જોડાયેલા દસ મોટા કેન્દ્રીય મજૂર સંગઠનોનું હોવું કામદાર એકતા દર્શાવતા નથી. જે અમેરિકાના શિકોગાના મજૂરોની હડતાળની યાદમાં અને અમેરિકી શ્રમિકોની સામાજિક આર્થિક ઉપલબ્ધિઓની યાદમાં દુનિયાભરમાં પહેલી મે ના રોજ મજદૂર દિન મનાવાય છે તે અમેરિકામાં કામદાર દિન દર વરસના સપ્ટેમ્બર મહિનાના પહેલા સોમવારે મનાવાય છે! ભારતમાં ડાબેરી મજૂર સંગઠ્નો પહેલી મે ના મજૂર દિનની ઉજવણી કરે છે પરંતુ જમણેરી મજૂર સંગઠનોની માંગ ૧૭ મી સપ્ટેમ્બરની વિશ્વકર્મા જયંતીએ કામદાર દિનની છે! જમણેરી મજૂર સગઠનો કામદારોને ઔદ્યોગિક પરિવાર લેખે અને ડાબેરીઓ વર્ગશત્રુતાના પાઠ પઢાવે તેની વચ્ચે ભારતીય કામદારે તેની બદતર હાલતને બહેતર બનાવવાની છે.
આ પણ વાંચો: ઘરઘાટી, ગૃહયોગી, હાઉસ હેલ્પર: ન ઉજળું નામ, વધુ કામ, કમ દામ