અનામત સાથે જોડાયેલા કેટલાક જૂઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ

અનામતનું નામ પડતા જ અમુક લોકોને પેટમાં દુઃખવા માંડે છે, પણ તેમણે કદી અનામત શું છે અને તે શા માટે મળી છે તેના વિશે વિચાર્યું છે? ચાલો અનામતની સાદી સમજણ મેળવીએ.

અનામત સાથે જોડાયેલા કેટલાક જૂઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ

પહેલું તો એજ કે અનામત એ ગરીબી દુર કરવાની કોઈ યોજના નથી, અનામત માટે બંધારણમાં 'પ્રતિનિધિત્વ' શબ્દ પ્રયોગ કર્યો છે. અનામતનું નામ આવે એટલે કેટલાંકને રીતસરનું પેટમાં દુખવાનું ચાલુ થઈ જાય. પણ ક્યારેય અનામત શું છે અને કેમ મળી એ વિશે વિચાર પણ ન કરે અને અધુરું જ્ઞાન લઈને આવી જાય છે. ચાલો અનામત વિશેની સાદી સમજણ મેળવીએ.

ભારતની આઝાદી પૂર્વે થી ભારતની પ્રજા બે ભાગમાં વહેંચાયેલી હતી, જાતિવાદના કારણે શોષિત વર્ગ અને એક શોષણખોર વર્ગ અને એટલી હદે આ જાતિવાદની સમસ્યા હતી કે એક ચોક્કસ વર્ગને શિક્ષણ, મિલકત અને સામાજિક મોભો મળે એવી દરેક બાબતથી હજારો વર્ષો સુધી દૂર રાખ્યા હતાં, એટલે જ અસમાનતા બહુ મોટી ખાઈ ઉભી થઈ હતી. એક સમાજ પાસે મિલકત, જમીન, પૈસા, શિક્ષણ બધું જ હતું અને એક સમાજ પાસે એ વર્ગની ગુલામી કરવા સિવાય કોઈ ચારો નહોતો. મહેનત કર્યા પછી પણ બે સમયનું ભોજન સરખુ નહોતું મળતું એવી પરિસ્થિતિ હતી. એટલે એક ચોકકસ શોષિત સમાજ ભારતની આઝાદી પછી પણ બધાંની સાથે બરોબરી ન કરી શકયો. બંધારણ બનાવનારને આ બાબતની ખબર હતી એટલે બંધારણમાં અનામતની બાબત ઉમેરી. જે સમાજને અનામતનો લાભ નથી મળ્યો એ સમાજ તેમની સાથે અન્યાય થયો હોવાની ફરીયાદ કર્યા કરે છે. પણ અનામત કેમ આપી એના પર ચિંતન નથી કરતો. અનામત અંગે ભારતીય બંધારણમાં 'પ્રતિનિધિત્વ' શબ્દ આપ્યો છે. વંચિત સમાજને પ્રતિનિધિત્વ આપવું એટલે અનામત. બંધારણની કલમ 15(4), 16(4), 338(3) અને 440(1)માં પછાત વર્ગ તરીકે ઉલ્લેખ. બંધારણની કલમ 46 રાજય સરકારને પછાત વર્ગના શોષણ સામે રક્ષણ આપવાનો આદેશ કરે છે. સામજમાં આજે પણ બે વર્ગ છે. અનામતનો લાભ મળે છે એ અને અનામનનો લાભ નથી મળતો. અને આજે પણ આ બને વર્ગ વચ્ચે આર્થિક, સામાજીક, માનસિક અસમાનતા છે. પ્રશ્ન થાય કેવી અસમાનતા તો એ પણ સમજીએ.

કેવી અસમાનતા?

અનામતનો લાભ નથી મળતો એનું કારણ છે. વર્ષો સુધી જાતિવાદના કારણે થયેલ અન્યાય, ભેદભાવના કારણે વર્ષો સુધી કોઈ એક સમાજ પર શોષણ કર્યુ, ગુલામી કરાવી, વેઠ ઉતરાવી, અરે માણસ પણ ન ગણ્યાં. આર્થિક રીતે એકદમ પાયમાલ કરી દીધાં, સામાજિક રીતે પણ મોભો છીનવી લીધો, અને સૌથી વધારે માનસિક રીતે એ રીતે તૈયાર કર્યા કે અવાજ ઉઠાવી ન શકે કે પોતાનું સ્વમાન જાળવી ન શકે, હવે આજ પરિસ્થિતિ ભારતનાં આઝાદી સમય સુધી હતી જ, બંધારણના અમલમાં આવવાથી અત્યાચાર, અન્યાય ઓછો તો થયો, પણ એમની આર્થિક પરિસ્થતિમાં એમ કોઈ ફરક ન આવ્યો, કેવી રીતે આવે બધું તો છીનવી લીધુ હતું? 

આ પણ વાંચો: EWS ક્વૉટાનો લાભ ફક્ત જનરલ કેટેગરીને જ કેમ?, મધ્યપ્રદેશ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો

મુદાની વાત એ કરવી છે કે અનામતનો લાભ નથી મળતો પણ અગાઉથી તમને બાપદાદા તરફથી મળેલી અઢળક મિલકત મળી છે. જ્યારે એમાં ભણવાની વાત આવે છે ત્યારે તમને ભણવાની અઢળક સુવિધા મળે છે, મોંઘી દાટ સ્કૂલો, ટ્યુશન ક્લાસો, ઘરમાં અલગ રૂમ, જોઈએ એ તમામ જરૂરી પુસ્તકો મળી રહે, આવવા જવા માટે પોતાના વાહનો, ભણવા માટે દરેક જરૂરી સુવિધા મળી રહે છે. હવે જેને અનામત મળે છે એની પરિસ્થિતિ જોઈએ તો ભણવાનું સરકારી સ્કૂલમાં, પુસ્તકો વસાવી ન શકે, નોટબૂક ખરીદી ન શકે, થોડા મોટા થાય એટલે ઘરની આર્થિક જવાબદારી માથે આવી જાય, માહિતીનો અભાવ, કોઈ ટ્યુશનની વ્યવસ્થા નહીં, સારી કોલેજની ફી ન ભરી શકે, વધારે ભણવાનું ઈચ્છા હોય તો પરીવાર લોન લઈને અથવા થોડી ઘણી જમીન હોય એ વેચીને પણ ભણાવે, એમાં થોડો અનામતનો ટેકો મળે. આટલી અસમાનતા હોય અને તોય આટલી સુવિધા મેળવી લેતાં લોકો અનામતનો વિરોધ કરે ત્યારે ખરેખર નવાઈ લાગે, આ અસમાનતા જાતિવાદની જ દેન છે એટલે જયાં સુધી જાતિવાદ છે ત્યાં સુધી અનામત પણ રહેવી જોઈએ, ક્યારેક આર્થિક અસમાનતા વિશે વિચારી વિચારી જોજો, અનામત કેમ જરૂરી છે એ સમજાઈ જશે, વર્ષો સુધી જાતિવાદના કારણે અન્યાય થયો અને હવે ૭૦ વર્ષમાં અનામતને કારણે સમાનતા આવી ગઈ છે? ક્યારેક ગામડાંઓમાં જઈને અનામત મેળવનાર અને અનામત નથી મળતી એમના ઘરો જોઈ લેશો તોય અસમાનતા શું કહેવાય એ સમજાય જશે.

અનામત ૧૦ વર્ષ માટે હતી એ ખોટી માન્યતા છે

આજ સુધી ઘણાંને કહેતાં સાંભળ્યાં છે કે અનામત ફક્ત ૧૦ વર્ષ માટે જ હતી. આ બાબત વિશે નેતાઓ, સમાજ સેવકો, પત્રકારો અને સામાન્ય લોકો પણ ચર્ચા કરતાં હોય છે. આ લોકો એમ જ માને છે અનામત ૧૦ વર્ષ પુરતી જ હતી, પણ આ માહિતી સદંતર ખોટી છે. અને આ ખોટી માહિતીના કારણે જ ઘણીવાર અનામત વિવાદમાં આવે છે. ભારતના બંધારણ મુજબ શૈક્ષણિક અનામત અને નોકરીમાં અનામત માટે ૧૦ વર્ષના સમયગાળનો કોઈ ઉલ્લેખ નથી. 

શિક્ષણમાં અનામત

શિક્ષણમાં અનામત એ આર્ટીકલ ૧૫(૪) મુજબ મળે છે. બંધારણ પ્રમાણે SC/ST/OBC વર્ગને શિક્ષણમાં સરકારી અને ખાનગી સંસ્થાઓમાં અનામતની વ્યવસ્થા છે. અને જાતિવાદના કારણે શિક્ષણથી વંચીત રહેલ સમાજને બંધારણમાં અનામત થકી જ શિક્ષણમાં 'પ્રતિનિધિત્વ' કરવાની વ્યવસ્થા મળી છે. અને ખાસ તો શિક્ષણમાં અનામત અંગે ૧૦ વર્ષ માટેની કોઈ એવી સમયમર્યાદાનો ઉલ્લેખ બંધારણમાં નથી. એટલે જો કોઈ શિક્ષણમાં ૧૦ વર્ષની અનામતની જોગવાઈ અંગે વાત કરે તો એ તદ્દન ખોટી માહિતી છે.

સરકારી નોકરીમાં અનામત

બંધારણની કલમ ૧૬(૪) મુજબ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, અને અન્ય પછાત વર્ગ માટે સરકારી નોકરીમાં અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. વિચારો એક સમયે ગટરો સાફ કરવા, જેવા કામો જ કરાવતાં હતાં એમને અનામત દ્વારા ઓફીસરો પણ બનતાં જોયા, આપણી સમાજ વ્યવસ્થા એવી હતી જ નહી કે અનામત વગર આ શક્ય બને. આપણી માનસિકતા તો ચોકકસ વર્ગને ગુલામીમાં રાખવાની જ હતી.

આ પણ વાંચો: છેલ્લાં 5 વર્ષમાં 19 હજારથી વધુ એસસી, એસટી, ઓબીસી વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓ છોડી – કેન્દ્ર સરકાર

એટલે એમ માની શકાય કે બાબા સાહેબને ખબર હતી કે વર્ષોથી ઘર કરી ગયેલી જાતિવાદની માનસિકતા ટૂંક સમયમાં અનામત દ્વારા નાબૂદ નહિ થાય એટલે શિક્ષણની સાથે નોકરીના બંધારણમાં અનામત મુદે કોઈ સમયગાળો નક્કી રાખવામાં આવ્યો નથી. એટલે જયારે કોઈ નોકરીમાં ૧૦ વર્ષની અનામતની વાત કરે તો એ ખોટી માહિતી ફેલાવે છે. એવું કહી શકાય. 

રાજકીય અનામત

રાજકીય અનામત વિશે મૂળ બંધારણની કલમ ૩૪૪ મુજબ ૧૦ વર્ષ સુધી અનામત ચાલુ રાખવાની જોગવાઇ હતી. જેમાં SC/ST/ અને એંગ્લો ઈન્ડીયન માટે લોકસભા, વિધાનસભામાં બેઠક અનામત રાખવાનો સમયગાળો ૧૦ વર્ષનો હતો. એ પછી બંધારણના અલગ અલગ સુધારા જેમાં ૮,૨૩,૪૫, ૬૨, ૭૯, અને છેલ્લે ૨૦૦૯ ના ૯૫મા સુધારા બિલમાં ૧૦ - ૧૦ વર્ષ સુધી અનામત ચાલુ જ રાખવી એવો સુધારો થયો છે જે 75 વર્ષ સુધી ચાલુ છે. એટલે અનામતની જોગવાઈમાં ૧૦ વર્ષ સુધી જે વાત હતી એ ફક્ત રાજકીય અનામતની વાત હતી.

આજે અનામતની જરૂર ખરી? 

અનામત ફક્ત શિક્ષણ, નોકરી અને રાજકીય લાભ આપવા પુરતી વ્યવસ્થા નહોતી, અનામતનો હેતુ એક ચોકકસ સમાજને જાતિવાદના કારણે સામાજીક મોભો પણ નહોતો મળતો એ સામાજીક મોભો અને સમાજમાં સ્વમાનભેર જીવી શકે એ પણ હતો. અનામત દ્વાર શિક્ષણ અને નોકરી તો મળી જાત પણ વિચારો પટેલ, દેવ, જોષી, બ્રાહ્મણ, અટક જેવી ઉચ્ચ જાતિની અટકો જોઈને જે માન મળતું એ શિક્ષણમાં કે નોકરીમાં એકસાથે ક્લાસમાં કે ઓફીસમાં બેઠેલ પરમાર, મકવાણા, સોલંકી અથવા ગામીત, વસાવા અટકવાળાને એટલુ જ માન મળતું હતું? અટકો જોઈને તો શિક્ષણ અને નોકરીમાં અન્યાય થતો અને આજે પણ ઘણી જગ્યાએ થાય છે. આજ અન્યાય દુર કરવા માટે આજે પણ અનામત જરૂરી છે.

આ પણ વાંચો: શિક્ષણ જેટલું વધુ, નોકરીની તકો એટલી ઓછીઃ ILOનો રિપોર્ટ

આજે પણ આઈ.પી.એસ, આઈ.એ.એસ અથવા તો કોઈ ઉચ્ચ સ્તરના અધિકારીઓ જેમને અટકના કારણે અપમાનજનક શબ્દપ્રયોગ સાંભળવા મળ્યા હોય એવાં પણ કિસ્સા જોય છે. આજે 75 વર્ષ બાદ પણ અસ્પૃશ્યતા, જાતિવાદ, વાળી માનસિકતા ધરાવનાર લોકો હયાત છે. આજે પણ એક ચોકકસ વર્ગના લોકો ગટરમાં ઊતરવા મજબૂર છે. જે અસમાનતા હતી એમાં થોડો ઘણો બદલાવ તો આવ્યો છે પણ એટલો પણ બદલાવ નથી આવ્યો કે અનામતનો લાભ બંધ કરી તેમનો અધિકાર છીનવી લેવામાં આવે.

છેલ્લે મૂળ વાત, અનામત જાતિવાદના કારણે છે, અનામતના કારણે જાતિવાદ નહીં. ઈલાજ કરવો હોય તો પહેલાં જાતિવાદ દૂર કરાય અને પછી અનામત, કોઈએ એવી ખોટી વાત ન કરવી કે આજના સમયમાં જાતિવાદ જેવુ કંઈ રહ્યુ નથી, રોજના અખબારો ઉઠાવી જોઈ લો એક સમાચાર તો જાતિવાદના નામે અત્યાચારના હશે જ. આજે પણ શહેરમાં ચોકકસ જાતિના હોવાથી ઘર નથી મળતું. એટલે અનામત હજુ ચાલું જ રાખવાની જરૂર છે. પહેલાં માનસિકતા બદલો બીજું બધું આપોઆપ બદલાઈ જશે.

કાંતિલાલ પરમાર (લેખક સામાજિક કાર્યકર અને બંધારણ, એટ્રોસિટી અને અનામતના મુદ્દાઓના જાણકાર છે.)

આ પણ વાંચો: શું અનામત ગરીબી દૂર કરવાની કોઈ યોજના છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Pramod B solanki
    Pramod B solanki
    ખરેખર ખૂબ સરસ મજાની વાત કરી.આજના સમય માં સવર્ણો ને આ વાત ની જાણ કરવી જરુરી છે. આપણા સમાજે.બાપ દદાઓ એ જે વેઠ્યું છે તેમને ખબર જ છે છતાં આંખ આડા કાન કરે છે.અનામત થકી ઓફિસર થાય છે તે પછી ભૂલી જાય છે. દુઃખની વાત એ છે કે sc સમાજના માણસો પણ પોતાના સમાજથી આભડછેટ રાખે છે. ખૂબ ખૂબ અભિનંદન.mob.9377172005
    2 months ago
  • Vinod makwana
    Vinod makwana
    ખરી હકીકત વાત છે સાહેબ
    2 months ago