'આજે સ્કૂલ વહેલા છૂટી ગઈ' એમ કહી દેતા આચાર્યે દલિત વિદ્યાર્થિનીને ફટકારી
નજીવી બાબતે આચાર્યે દલિત વિદ્યાર્થિનીને માર મારી શાળા છોડાવી દેવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોઁધાઈ છે.

મધ્યપ્રદેશના વિદિશામાં એક દલિત વિદ્યાર્થીને શાળાના આચાર્ય દ્વારા વિચિત્ર કારણોસર માર મારવામાં આવ્યો છે. જેને લઈને દીકરીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મામલો ગ્યારસપુરની એક સરકારી શાળાનો છે. મળતી માહિતી મુજબ 11માં ધોરણમાં ભણતી એક દલિત વિદ્યાર્થિની 30 ડિસેમ્બરના રોજ સ્કૂલ પછી ઘરે જઈ રહી હતી. એ દરમિયાન તેને રસ્તામાં પત્રકાર રિતેન્દ્ર અહિવાર મળી ગયો. તેણે વિદ્યાર્થિનીને રજા વિશે પૂછ્યું, જેના પર દીકરીએ કહ્યું કે, આજે સ્કૂલ વહેલા છૂટી ગઈ છે. એ પછી પત્રકારે શાળાના આચાર્ય મુકેશ દાંગી સાથે વાત કરી હતી અને શાળા કેમ વહેલા છોડી દેવાઈ તેમ સવાલ કર્યો હતો.
એ પછી આચાર્યે બીજા દિવસે દલિત વિદ્યાર્થિનીને માર માર્યો હતો અને તેણે શા માટે પત્રકારને આજે સ્કૂલ વહેલા છૂટી ગઈ છે તેમ કહ્યું તેમ પૂછીને સજા કરી હતી. દલિત વિદ્યાર્થિનીનો આરોપ છે કે પ્રિન્સિપાલે તેને પરીક્ષામાં નાપાસ કરવાની અને તેને શાળામાં એડમિશન ન લેવાની ધમકી પણ આપવામાં આવી હતી. એ પછી પીડિતા તેના પિતા સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને મામલાની ફરિયાદ કરી હતી.
હવે સમગ્ર ઘટનાને લઈને સવાલ એ પણ થઈ રહ્યો છે કે 30મી ડિસેમ્બરે વહેલી રજા કેમ આપવામાં આવી? જોવાનું એ રહે છે કે આ કેસમાં પોલીસ પ્રિન્સિપાલ સામે શું કાર્યવાહી કરે છે અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ અંગે શું ધ્યાન આપે છે?
આ પણ વાંચોઃ દલિત વિદ્યાર્થી આજીજી કરતો રહ્યો, સવર્ણ શિક્ષક પાઈપથી ફટકારતો રહ્યો