સત્તાપક્ષ કે વિપક્ષ, સૌ કોઈની નજર 131 SC-ST અનામત બેઠકો પર
ગુજરાતમાં આવતીકાલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે અહીં ભારતભરની દલિત-આદિવાસી અનામત સીટો વિશે વિગતે માહિતી મેળવીએ.

Lok Sabha Elections 2024: ગુજરાતની 26 લોકસભા બેઠકો સહિત 12 રાજ્યોની 94 સીટો પર આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે. મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસે પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું છે. આ સિવાયના પક્ષો પણ પાછી પાની કરી રહ્યાં નથી. આ બધી કવાયતો વચ્ચે તમામ રાજકીય પક્ષોની દેશભરની 131 અનામત બેઠકો પર નજર મંડાયેલી છે. લોકસભાની કુલ 543 બેઠકોમાંથી 131 બેઠકો અનામતની શ્રેણીમાં આવે છે. એમાંથી 84 લોકસભા બેઠકો અનુસૂચિત જાતિ (એસસી) માટે અને 47 બેઠકો અનુસૂચિત જનજાતિ (એસટી) માટે અનામત છે. આ બેઠકો પર દલિત અને આદિવાસી સમાજના ઉમેદવારો જ ચૂંટણી લડી શકે છે. પરિણામે દરેક પક્ષોએ દલિતો, આદિવાસીઓને ફરજિયાત પ્રતિનિધિત્વ આપવું પડે છે. બધાં પક્ષોએ દલિતસમાજના ઉમેદવારોને ટિકિટ આપવી ફરજિયાત છે અને એસટી અનામત સીટ પર આદિવાસી સમુદાયના ઉમેદવારોને ટિકિટ આપવી અનિવાર્ય છે. આ 131 અનામક બેઠકો જે તરફ ઢળે એ પક્ષને દિલ્હી સુધી પહોંચવામાં સરળતા રહે છે.
અનામત સીટો પર કોંગ્રેસની મજબૂત પકડ હતી
આઝાદી પછી વર્ષો સુધી આદિવાસી-દલિત વોટબેંક પર કોંગ્રેસની મજબૂત પકડ હતી. ગુજરાત સહિતના દેશભરના આદિવાસી બેલ્ટમાં વિધાનસભાથી લઈને લોકસભાની બેઠકો સુધી સર્વત્ર કોંગ્રેસને જ સફળતા મળતી હતી. અનામત શ્રેણીની બેઠકોમાંથી એક સમયે કોંગ્રેસને 60-70 ટકા બેઠકો મળતી હતી આ ટ્રેન્ડ 1990ના દશકા પછી બદલાયો હતો. કોંગ્રેસની મજબૂત પકડ ઢીલી થવાની શરૂઆત એ દાયકામાં થઈ હતી અને ભાજપે ધીમે ધીમે આદિવાસી-દલિત મતદારોને પોતાની તરફ વાળવામાં સફળતા મેળવી હતી. 1989થી 2014 સુધીના ઈલેક્શનમાં ચિત્ર એટલું બદલાઈ ગયું હતું કે આ ગાળામાં એસસી-એસટી શ્રેણીના કુલ 975 સંસદસભ્યો ચૂંટાયા હતા. એમાંથી 28 ટકા કોંગ્રેસના હતા તો 30 ટકા ભાજપના હતા.
2014ની ચૂંટણીથી અનામત સીટો પર ભાજપનું વર્ચસ્વ વધ્યું
2014ની ચૂંટણીમાં ભાજપને આ અનામત બેઠકોમાં પણ લાભ મળ્યો હતો. એ વખતે એસસી અનામત 84 બેઠકોમાંથી 40 બેઠકો ભાજપને મળી હતી. કોંગ્રેસને માત્ર 7 બેઠકોથી સંતોષ માનવો પડયો હતો. આ સિવાયની બેઠકો પ્રાદેશિક પાર્ટીઓને મળી હતી. આટલી મોટી સંખ્યામાં ભાજપે અગાઉ ક્યારેય દલિત વોટબેંક પ્રભુત્વ જમાવ્યું ન હતું અને કોંગ્રેસનું અગાઉ આ હદે ક્યારેય ધોવાણ થયું ન હતું.
યુવા મતદારો નિર્ણાયક બન્યાં
એ વખતે 47 આદિવાસી અનામત બેઠકોમાંથી 27 બેઠકોમાં કમળ ખીલ્યું હતું. કોંગ્રેસને માત્ર 5 જ બેઠકો મળી હતી. એ સિવાયની બેઠકો પ્રાદેશિક પક્ષોને મળી હતી. આ પરિવર્તન પાછળ યુવા મતદારોનું ફેક્ટર બહુ જ મહત્ત્વની ભૂમિકામાં રહ્યું હતું. દલિત અને આદિવાસી સમાજના યુવા મતદારોને નરેન્દ્ર મોદીના વાયદામાં ભરોસો બેઠો હતો અને તેનો સીધો ફાયદો ભાજપને થયો હતો.
2024માં અનામત બેઠકો માટે ભાજપનો વ્યૂહ કેવો છે?
ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધને એસસી-એસટી અનામત બેઠકો માટે વ્યૂહ ઘડયો છે. એ બેઠકો જીતનાર પાર્ટી કે ગઠબંધન માટે દિલ્હી પહોંચવાનો માર્ગ વધુ સરળ બની જતો હોવાથી ભાજપ-કોંગ્રેસ બંનેએ મેનિફેસ્ટોમાં તેમને ધ્યાનમાં રાખીને વાયદાઓ કર્યા છે. પીએમ મોદી પીએમજનમન યોજનાથી આદિવાસી સમુદાયનું જીવનધોરણ બદલી જશે એવો દાવો કરે છે. ભાજપે રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવીને દેશના વિશાળ દલિત સમુદાયમાં સકારાત્મક અસર કરી હતી. 2022માં દ્રોપદી મુર્મૂ દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બન્યાં હતાં. તેમને સર્વોચ્ચ બંધારણીય સ્થાન આપીને ભાજપે આદિવાસી સમુદાયને પોતાની તરફ વાળવાની દિશામાં પ્રચાર કર્યો છે.
આ પણ વાંચો: ‘ભાજપવાળા આવે તો જૂતા-ચપ્પલથી ફટકારો’- આકાશ આનંદ
જો કે દલિતો, આદિવાસીઓને તેમના બંધારણીય હકો, ખાસ કરીને અનામત, સરકારી નોકરીઓ અને અન્ય લાભોથી દૂર રાખવા જેવા મુદ્દાઓ દલિત અને આદિવાસી મતદારો સમજી ચૂક્યા હોવાથી આ વખતે ભાજપ માટે અનામત સીટો પર ખાસ કરીને દલિત, આદિવાસી સમાજના મતો મેળવવા અઘરાં પડી જવાના છે.
કોંગ્રેસની વ્યૂહરચના શું છે?
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આદિવાસી-દલિત સમુદાયમાં ફરીથી પાર્ટીને મજબૂત કરવા માટે વારંવાર તેમને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનો મુદ્દો ઉઠાવ્યો છે. એ મુદ્દે રાહુલ કેન્દ્ર સરકારને પણ ઘેરી રહ્યા છે. કોંગ્રેસે દલિત નેતા મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવીને દલિત સમુદાયને કોંગ્રેસ મહત્ત્વ આપતી હોવાનો મેસેજ આપ્યો હતો. તેનાથી કોંગ્રેસને કર્ણાટક અને તેલંગણાની વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો મળ્યો હોવાનું તારણ પણ રજૂ થાય છે. લોકસભામાં એ સમાજના મતદારોને કોંગ્રેસ તરફ ફરીથી વાળવા માટે કોંગ્રેસે મથામણ આદરી છે. મેનિફેસ્ટોમાં પણ ઘણાં વાયદાઓ કર્યા છે.
2019માં ભાજપે પ્રભુત્વ જાળવી રાખ્યું
2019ની ચૂંટણીમાં 2014ના પરિણામોને રિપીટ કરવામાં ભાજપને ધારી સફળતા મળી હતી. અનામત શ્રેણીની બેઠકોમાં ભાજપે વધારે મજબૂત પક્કડ જમાવી હતી અને કોંગ્રેસનો દેખાવ વધારે કથળ્યો હતો. ભાજપે એસસી શ્રેણીની 84માંથી 46 બેઠકોમાં કમળ ખીલવ્યું હતું. કોંગ્રેસના પંજામાં પાંચ બેઠકો જ આવી હતી. આદિવાસી અનામત બેઠકો પર પણ ભાજપનો ભગવો લહેરાયો હતો.
47માંથી 31 બેઠકો ભાજપને મળી હતી. તો કોંગ્રેસને ચાર જ બેઠકોથી સંતોષ માનવો પડયો હતો. કોંગ્રેસની એક બેઠક ઘટી હતી. ભાજપે 2014ની તુલનાએ ચાર બેઠકો વધુ મેળવી હતી. આદિવાસી અને દલિત સમુદાય માટે ભાજપે પાંચ વર્ષમાં જે યોજનાઓ શરૂ કરી હતી તેનો લાભ 2019ની ચૂંટણીમાં મળ્યો હતો. વળી, ભાજપે આદિવાસી અને દલિત સમુદાયમાં મજબૂત યુવા નેતાગીરીને આગળ કરીને પણ મેદાન માર્યું હતું.
ભાજપ કોંગ્રેસ સિવાયની પાર્ટીઓના પ્રયાસો
રાષ્ટ્રીય પાર્ટી હોવાથી ભાજપ અને કોંગ્રેસની નજર તો 131 બેઠકો પર રહેતી આવે છે, પરંતુ તે સિવાયની ઘણી પ્રાદેશિક પાર્ટીઓ કે બે-પાંચ રાજ્યોમાં પ્રભુત્વ ધરાવતી પાર્ટીઓ પણ વિવિધ વ્યૂહ બનાવે છે. બહુજન સમાજ પાર્ટીની સ્થાપના દલિત અધિકાર માટે જ થઈ હતી અને યુપીમાં પાર્ટીને સત્તા પણ મળી હતી. આ સિવાય યુપીમાં સમાજવાદી પાર્ટી પણ દલિત વોટબેંક ધરાવે છે. બિહારમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાજદ દલિત-આદિવાસી સમુદાયમાં સારી એવી પકડ ધરાવે છે. તો અહીં જ રામ વિલાસ પાસવાને પણ દલિત મતબેંકને ધ્યાનમાં રાખીને એલજેપીની સ્થાપના કરેલી. શિબુ શોરેને સ્થાપેલી ઝારખંડ મુક્તિ મોરચા રાજ્યના આદિવાસી સમુદાય પર પક્કડ ધરાવે છે. આમ આદમી પાર્ટી પણ દલિત સમુદાયની વોટબેંકને ધ્યાનમાં રાખીને વ્યૂહ બનાવે છે. પંજાબની વિધાનસભાની ચૂંટણીમાં આપને તેનો ફાયદો પણ મળ્યો હતો. જો કે આપે જ્યારે રાજ્યસભામાં સભ્યો મોકલવામાં આવ્યા ત્યારે કથિત સવર્ણ જાતિના લોકોને મોકલ્યા હોવાથી દલિતોનો આપથી મોહભંગ થઈ ગયો છે.
બીએસપી(BSP) સિવાય ઉદ્ધાર નથી
ગુજરાતની વાત કરીએ તો અહીં, આજે પણ દલિતોનો એક મોટો વર્ગ છે જે સમજી ચૂક્યો છે કે, બહુજન સમાજ પાર્ટી સિવાયના એકેય રાજકીય પક્ષનો કેન્દ્રવર્તી એજન્ડા દલિતો કે આદિવાસીઓ નથી. એ સ્થિતિમાં તેવો બીએસપી વધુને વધુ મજબૂત થાય તે દિશામાં વિચારી રહ્યાં છે. જો કે, હાલ તો એવી સ્થિતિ દેખાતી નથી. તેવામાં દલિત, આદિવાસી સમાજ માટે કામ કરી શકે તેવા મજબૂત નેતાઓ અનામત સીટ પર ચૂંટાય તે જરૂરી છે.
આ પણ વાંચો: કૉંગ્રેસ તમારી મિલકત છીનવી તેની ‘મનપસંદ વોટબેંક’ને આપવા માંગે છે
.