દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો છબરડો: ૧૪૧માંથી માત્ર ૧ વિદ્યાર્થી પાસ થયો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એમ.એ. અર્થશાસ્ત્રની એક્સટર્નલ પરીક્ષામાં 141માંથી ફક્ત એક વિદ્યાર્થી પાસ થયો.

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો છબરડો: ૧૪૧માંથી માત્ર ૧ વિદ્યાર્થી પાસ થયો
image credit - Google images

કાયમ વિવાદોમાં રહેતી સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર તેના એક છબરડાને કારણે ચર્ચામાં આવી છે. અહીં એમએ ઈકોનોમિક્સની એક્સટર્નલ પરીક્ષાના નિરાશાજનક પરિણામને કારણે વિવાદ ઉભો થઈ ગયો છે. જ્યારે આ પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા કેમ કે, ૧૪૧ વિદ્યાર્થીઓમાંથી માત્ર એક જ વિદ્યાર્થી પાસ થયો હતો.

યુનિવર્સિટીની પરીક્ષામાં ૧૪૧માંથી ૧૪૦ વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થતાં અનેક સવાલો ઉભા થાય છે. આટલા ઓછા વિદ્યાર્થીઓ રાખવાનું કારણ શું? પ્રશ્નપત્રો બહું અઘરા હતા? શું મૂલ્યાંકન પ્રક્રિયામાં કોઈ ભૂલ થઈ છે? શું કોઈ ગેરરીતિ થઈ છે? આ તમામ પ્રશ્નોના જવાબ યુનિવર્સિટીએ આપવા પડશે અને વિદ્યાર્થીઓને સંતોષકારક જવાબો આપવા પડશે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યુનિવર્સિટી તેની પરીક્ષા પદ્ધતિમાં સુધારો કરે તે પણ જરૂરી છે.

આ પરીક્ષા માટે કુલ ૧૯૨ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી ૫૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. ૧૪૧ વિદ્યાર્થીઓમાંથી માત્ર એક વિદ્યાર્થીને પાસ જાહેર કરવામાં આવ્યો છે. પરિણામે, પરીક્ષા પાસ થવાની ટકાવારી માત્ર ૦.૭૧% રહી છે એટલે કે ૯૯.૨૯ ટકા વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે. આ પરિણામ વિદ્યાર્થીઓ માટે નિરાશાજનક હોવા ઉપરાંત વિવાદનો વિષય પણ બન્યો છે. ઘણા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પ્રશાસનને ફરિયાદ કરી યોગ્ય તપાસની માંગ કરી છે.

આ પણ વાંચો: યુજીસી(UGC)એ દેશની ૧૫૭  યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરી

યુનિવર્સિટીના રજીસ્ટ્રાર રમેશ ગઢવીએ જણાવ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષાના પરિણામ અંગે ફરિયાદ કરી છે. અન્ય વિદ્યાર્થીઓને ભેગા થઈને ફરિયાદ નોંધાવવા જણાવાયું છે. તેમણે એમ પણ કહ્યું કે યુનિવર્સિટી આ મામલે તપાસ કરી રહી છે કે આટલા ઓછા વિદ્યાર્થીઓ કેમ પાસ થયા છે.

આ ઘટનાએ લાખોનો પગાર મેળવવા યુનિવર્સિટીના સત્તાધીશોની કામગીરી પર અનેક મોટા સવાલો ઉભા કર્યા છે. ૦.૭૧% ની પાસ ટકાવારી ઘણી ઓછી છે અને એવું લાગે છે કે પરીક્ષાના પરિણામમાં થોડી વિસંગતતા હોઈ શકે છે. યુનિવર્સિટીની ફરજ છે કે વિદ્યાર્થીઓની ફરિયાદોને ગંભીરતાથી લેવી અને આ બાબતની નિષ્પક્ષ તપાસ કરવી. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે યુનિવર્સિટી નક્કર પગલાં લે તે પણ જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ૨૦૨૩માં આ યુનિવર્સિટી બીએ અને બીકોમના પેપરના કારણે ચર્ચામાં આવી હતી. એ વખતે અહીંના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની પરીક્ષાના પેપરમાં પ્રેમકથા, કામસૂત્રની વાર્તાઓ અને પ્રિન્સિપાલ, પ્રોફેસર તથા મેડમના નામ સાથે અપશબ્દો લખ્યા હતા. યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં અપશબ્દોનો ઉપયોગ કરનારા છ વિદ્યાર્થીઓને ઓળખી કાઢવામાં આવ્યા હતા અને તેમને નાપાસ કરવામાં આવ્યા હતા, સાથે ૫૦૦ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. છ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીએ ઉત્તરના કામસૂત્રની વાર્તા લખી હતી જ્યારે બીજા વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીની પ્રેમકથા લખી હતી. યુનિવર્સિટીએ ૬ વિદ્યાર્થીઓની સુનાવણીનું આયોજન કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને યુનિવર્સિટીની લેખિતમાં માફી માંગી હતી. હવે જ્યારે ખુદ પ્રોફેસરો અને યુનિવર્સિટી તંત્રે ભૂલ કરી છે ત્યારે શું થાય છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(JNU) દેશની ટોચની શૈક્ષણિક સંસ્થા બની


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.