અમદાવાદમાં વક્ફ બોર્ડની બેઠકમાં હર્ષ સંઘવી ઓવૈસી વચ્ચે શાબ્દિક ટપાટપી
વક્ફ બોર્ડની મિટીંગમાં હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે કેટલાક મુદ્દાઓને લઈને ભારે ગરમાગરમી જોવા મળી હતી.

વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી જેપીસી હાલ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેની બેઠકમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઔવેસી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હોવાના સમાચાર મળી રહ્યાં છે. અમદાવાદમાં ખાતે વક્ફ બોર્ડ મુદ્દે મળેલી જેપીસીની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેને લઈને બેઠકમાંથી બહાર આવેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ રોષ વ્યક્ત કર્યો હતો.
ખેડાવાલાએ આરોપ લગાવ્યો કે, “સરકાર અને ગૃહ રાજ્યમંત્રી ફક્ત દેખાડો કરી રહ્યાં છે. વક્ફ બોર્ડના સભ્યોએ રજૂ કરેલું પ્રેઝન્ટેશન પણ સરકારે કહ્યાં મુજબનું છે અને તે અમારા સમર્થનમાં નથી. અમે અમારા મુદ્દાઓને વળગેલા છીએ અને કલેક્ટરને સત્તા આપવા મુદ્દે અમારો વિરોધ છે.”
આ કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ અને અસદુસીન ઓવૈસી સહિતના ૩૧ સભ્યો અમદાવાદ સિંધુ ભવન રોડ સ્થિત એક હોટલમાં ભેગા થયા હતા. સંયુક્ત સંસદીય કમિટી ગુજરાત વક્ફ બોર્ડના સભ્યો તેમજ રાજકીય પાર્ટીના સભ્યો અને ધારાશાસ્ત્રીઓ પણ બેઠકમાં હાજર રહ્યા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “પ્રત્યેક નાગરિકોના હિતમાં સુધારાને લગતાં રાજ્ય સરકારના તમામ સૂચનો જેપીસી કમિટીને આપી દેવાયા છે. જેપીસીની વાતો બહાર ન થઈ શકે પરંતુ નાગરિકોના હિતમાં જે વિષય હતા તે મુદ્દે મેં ફરજ અદા કરી છે. સૂચનોની સંપૂર્ણ માહિતી જેપીસી કમિટીના નિયમ પ્રમાણે સૌ મીડિયાને આપી દેવાશે.” જો કે, વક્ફ બોર્ડના નિયમો અને કાયદાને લઈને ઓવૈસી સાથે થયેલી બોલાચાલી મામલે તેમણે કંઈપણ બોલવાનું ટાળ્યું હતું.
જેપીસી આગામી દિવસોમાં હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગ્લોરમાં પણ બેઠકો યોજાવાની છે. વક્ફ સંશોધન બિલની અનિવાર્યતા અંગે આ જેપીસીની રચના કરવામાં આવી છે. જેમાં ૩૧ સાંસદોનો સમાવેશ થાય છે. કમિટીમાં ૨૧ લોકસભાના અને ૧૦ રાજ્યસભાના સાંસદો છે.
આ પણ વાંચો: વકફ બોર્ડ વિશે ફેલાવવામાં આવેલા કેટલાક ભ્રમ અને જુઠ્ઠાણાં