ખ્રિસ્તી બનનાર 35 દલિતોને યજ્ઞ શુદ્ધિકરણ કરી ફરી હિંદુ બનાવાયા
35 દલિતોએ આભડછેટ-જાતિવાદથી ગ્રસ્ત હિંદુ ધર્મ છોડી દીધો હતો, પણ બજરંગ દળ, VHP દબાણ કરી તેમને પરત લઈ આવ્યા.

હિંદુ ધર્મ અને કથિત હિંદુ સંગઠનો દલિતો સાથે દાખવવામાં આવતા જાતિવાદ, વર્ણ વ્યવસ્થા અને અસ્પૃશ્યતા જેવા ભેદભાવોને દૂર કરવામાં તસુભાર પણ રસ નથી લેતા, પરંતુ આ જ ભેદભાવોથી કંટાળીને જ્યારે કોઈ દલિત બૌદ્ધ કે અન્ય કોઈ ધર્મ અંગીકાર કરી લે છે ત્યારે તેઓ ધર્મ બચાવોની કાગારોળ મચાવી, દાદાગીરી પર ઉતરી આવી હિંદુ ધર્મ છોડી ચૂકેલા દલિતોને ધાકધમકી આપી, દબાણ કરીને પરત લાવવા મચી પડે છે. આવા અનેક ઉદાહરણો આપણે જોયા છે અને તેમાં વધુ એક ઉમેરો થયો છે.
ઘટના બુદ્ધની ધરતી બિહાર (Bihar) માં બની છે. અહીં નવાડા (Nawada) જિલ્લામાં હિંદુ ધર્મમાં પાળવામાં આવતી અસ્પૃશ્યતા, જાતિવાદ અને વર્ણ વ્યવસ્થાથી કંટાળીને 15 જેટલા મહાદલિત પરિવારોના 30-35 લોકોએ સ્વેચ્છાએ હિંદુ ધર્મનો ત્યાગ કરીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો. જો કે, કેટલાક હિંદુ સંગઠનોએ તેમને ખ્રિસ્તી ધર્મ છોડી ફરી હિંદુ બનવા દબાણ કર્યું હતું. જેના કારણે આ દલિત પરિવારો ફરી હિંદુ બન્યા હોવાનું જાણવા મળે છે.
હિંદુ સંગઠનો શું કહે છે?
હિંદુત્વવાદી સંગઠનોનું કહેવું છે કે, નવાદા જિલ્લાના અનેક વિસ્તારોમાં વર્ષોથી ધર્મ પરિવર્તનની રમત રમાઈ રહી છે. અહીં ઘણા લોકો હિન્દુમાંથી ખ્રિસ્તી બન્યા છે. આ દલિત પરિવારોને રોગો મટાડવા, દુ:ખ દૂર કરવા, દેવામાંથી મુક્તિ થવા જેવી સમસ્યાઓના સમાધાનની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવાયું હતું. પણ અમે તેમને પરત લઈ આવ્યા છીએ.
દલિત પરિવારોનું કથિત શુદ્ધિકરણ કરાયું
હિંદુ સંગઠનો દ્વારા આ તમામ દલિત પરિવારોની બાદમાં શુદ્ધિકરણ વિધિ કરવામાં આવી હતી અને વૈદિક હવન યજ્ઞ કરીને તેમને ફરી હિંદુ બનાવાયા હતા. બિહારના અલગ-અલગ વિસ્તારોમાં ઘણા દલિત પરિવારો જાતિવાદ, અસ્પૃશ્યતા, વર્ણ વ્યવસ્થા જેવી હિંદુ ધર્મની બદ્દીઓથી કંટાળીને બૌદ્ધ કે ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યાં છે. ત્યારે આ ઘટનાને લઈને ધર્મ પરિવર્તન કરવા માંગતા દલિતોમાં એક આંતરિક ભય પેદા થયો છે. તેમને લાગે છે કે, જો તેઓ હિંદુ ધર્મ છોડી દેશે તો પણ આ સંગઠનો તેમનો પીછો નહીં છોડે. માટે હિંદુ ધર્મ છોડવા માંગતા અનેક દલિતો હાલ શાંત થઈ ગયા છે.
નવાદા જિલ્લાના રોહ તાલુકાના સિંઘણા ગામમાં પણ દલિતો સાથે કંઈક આવું જ થઈ રહ્યું હતું. જેના કારણે 15 જેટલા દલિત પરિવારોના 30-35 લોકોએ હિંદુ ધર્મનો ત્યાગ કરીને ખ્રિસ્તી થવાનું પસંદ કર્યું હતું તેમણે પરત હિંદુ બનવું પડ્યું છે. હિંદુત્વવાદી સંગઠનો તેમને પરત લાવી રહ્યાં છે. તેના માટે તમામ પ્રકારના રસ્તાઓ અપનાવાઈ રહ્યાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સંઘણા ગામના મહાદલિત પરિવારોને હિંદુત્વવાદી સંગઠનોએ હિંદુ ધર્મમાં પરત ફરવા દબાણ કર્યું હતું અને તે કામ કરી ગયું છે.
આ પરિવારોમાંથી કેટલાક લોકો હિંદુ ધર્મમાં પરત ફર્યા હતા. એ પછી ગામના શિવ મંદિરમાં હવન અને યજ્ઞ કરીને તેમનું કથિત શુદ્ધિકરણ કરાયું હતું. કથિત શુદ્ધિકરણના આ કાર્યક્રમમાં બજરંગ દળ, વીએચપી, વેદ પ્રચારક દળ અને અન્ય હિન્દુ સંગઠનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.
આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે વેદ પ્રચાર મંડળના અધ્યક્ષ દેવેન્દ્ર શાસ્ત્રીએ આ મામલે દલિત પરિવારો પર હિંદુ ધર્મમાં પરત ફરવા દબાણ કર્યું હતું અને તે કામ કરી ગયું છે. એ પછી મીડિયાને બોલાવાયું હતું અને દેવેન્દ્ર શાસ્ત્રીની હાજરીમાં જ આ પરિવારોને નિવેદન આપવા કહેવાયું હતું.
દેવેન્દ્ર શાસ્ત્રીની હાજરીમાં એ પછી દલિત પરિવારોએ જણાવ્યું કે તેમને લાલચ આપીને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા માટે સમજાવવામાં આવ્યા હતા. અમને કહેવામાં આવ્યું હતું કે ખ્રિસ્તી ધર્મનું પાલન કરવાથી તમને ઘણો ફાયદો થશે. તમારા જીવનમાંથી તમામ રોગ-કષ્ટો દૂર થઈ જશે. વિધિ કરીને તમામ બિમારીઓ મટાડી દેવાશે. એ પછી અમે ખ્રિસ્તી ધર્મ અંગિકાર કર્યો હતો. પરંતુ જ્યારે અમને ખબર પડી કે અમારી સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે અમે હિંદુ ધર્મમાં પરત ફરવાનું નક્કી કર્યું હતું. અમે હિંદુ હતા અને હિંદુ તરીકે જ જીવન જીવીએ છીએ.
આ પણ વાંચોઃ દલિત યુવાનોમાં બૌદ્ધ વિધિથી લગ્ન કરવાનો નવો ટ્રેન્ડ, કડીમાં પ્રથમ બૌદ્ધ લગ્ન યોજાયા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
PRAGJIBHAI ZINIYAઆ દલિતો ને ક્યાં વર્ણમાં હિન્દુ તરીકે પરત લીધા? અને હવે તમારી સાથે ભેદભાવ નહીં રાખીએ તથા અમો તમારી સાથે અસ્પૃશ્યતાનુ પાલન નહીં કરી એ તેવી કોઈ ગેરંટી આપી?
-
Sandipkumar Mukeshbhai Parmar????તો હવે કઈ જાતિમાં સમાવેશ કર્યો❓