ગુજરાતમાં 43 ટકા સરકારી અનાજ સગે વગે થઈ જાય છે?
ગુજરાતની જાહેર વિતરણ વ્યવસ્થામાં મસમોટું ગાબડું હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં ઘઉં-ચોખા સહિત રાશનનું રૂા.૬૯૦૦૦ કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું જ નથી.
ગુજરાતની જાહેર વિતરણ વ્યવસ્થાને લઈને ચોંકાવનારા સમાચાર મળી રહ્યાં છે. સમાજના ગરીબ વર્ગના લોકો માટે સરકાર દ્વારા રાશનમાં સસ્તું અનાજ આપવામાં આવે છે. પરંતુ ફુડ કોર્પોરેશનના ગોડાઉનમાંથી માર્ગમાં જ આ અનાજનો જથ્થો ‘પગ’ કરી જાય છે. એટલું જ નહીં, સમગ્ર દેશમાં આવી રીતે ૨૮ ટકા અનાજનો જથ્થો લીકેજ, બગાડને કારણે ગોડાઉનથી રેશનની દુકાન સુધી પહોંચતું નથી, જેના કારણે રાષ્ટ્રીય તિજોરીને મોટું નુકશાન થાય છે તેવો આક્ષેપ ગુજરાત કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રદેશ પ્રવકતા ડૉ. મનીષ દોશીએ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યુ છે કે, સમગ્ર ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થાના ઘઉં-ચોખાનો ૪૩.૦૨ ટકા જથ્થો લીકેજ કે ગાયબ થઈ જાય છે તે અંગે રાજ્ય સરકાર જવાબ આપે તેવી માગણી પણ કરી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં લક્ષિત વિતરણ વ્યવસ્થા હેઠળ નિયમીત રીતે વિવિધ અનાજ અપાય છે. જેમાં લીકેજ એટલે કે કાળાબજારમાં ધકેલાઈ જતા અનાજ અને ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉનમાં પણ હજારો ટન અનાજ સડી જાય છે. હાલમાં જ એક ઈકોનોમીક ર્થીક ટેન્ક દ્વારા અપાયેલા તારણ મુજબ સરકારી વિતરણનું ૨૮% અનાજ એટલે કે ૨૦ મિલિયન ટન ચોખા અને ઘઉં જેની આશરે કિંમત રૂા.૬૯૦૦૦ કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું જ નથી. આ વાર્ષિક નુકસાન છે. આ ક્યાં જઈ રહ્યું છે? કદાચ તે ખુલ્લા બજારમાં અથવા નિકાસ માટે મોકલવામાં આવી રહ્યું છે.
દોશીએ જણાવ્યું હતું કે, હાઉસ હોલ્ડ કન્ઝમ્પશન એકસપેન્ડીચર સર્વેના ડેટા અને ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દર મહીને જે ડેટા રીલીઝ કરે છે તેના અભ્યાસ પરથી (ઓગષ્ટ ૨૦૨૨થી જુલાઈ ૨૦૨૩ વચ્ચે) એ તારણ અપાયુ છે કે, ૨ કરોડ ટન ઘઉં અને ચોખા લાભાર્થી સુધી પહોંચ્યા જ ન હતા. આ એક મોટું રાષ્ટ્રીય નુકસાન છે અને તે અનાજ જે ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉનમાંથી નિકળે છે તે કયાં જાય છે ? તે ગંભીર બાબત છે.
મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, આ એક મોટો આર્થિક ભ્રષ્ટાચાર છે અને તેનાથી સરકારી તિજોરીને મોટું નુકસાન થાય છે. ૨૮% બગાડ કે ખરેખર જરૂરિયાતમંદ સુધી ન પહોંચે તે એક મોટો મુદ્દો છે. સરકાર ટેકાના ઉંચા ભાવે આ અનાજ ખરીદે છે અને જરૂરિયાતમંદ વર્ગને મફત અથવા સાવ નીચા ભાવે તે પૂરું પાડે છે. સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં ડિજિટલ ટેકનોલોજી અપનાવી અને જોબ ઈન્વેસન સહિતના ઉપાયોની જાહેરાતો કર્યા છતાં પણ રૂા.૬૯૦૦૦ કરોડનું અનાજ 'ગરીબો સુધી પહોંચતું નથી. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સમગ્ર દેશમાં ૨૮ ટકા લીકેજ, જાહેર વિતરણ વ્યવસ્થાના અનાજનો બગાડ અટકાવવા જરૂરી છે.
દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, એક તરફ સતત કુપોષણનો ભોગ બની રહેલા બાળકો અને કુપોષિત મહિલાઓ દેશ માટે મોટો પડકાર છે ત્યારે, જાહેર વિતરણ વ્યવસ્થાના છીંડા માટે સરકાર દ્વારા મક્કમતાથી પગલા ભરવામાં આવશે તો જ ભ્રષ્ટાચાર અટકશે અને ગરીબોને તેમના હક્કનું અનાજ મળશે.
સૌથી વધુ લીકેજ ધરાવતા રાજ્યો અને સૌથી ઓછુ લીકેજ ધરાવતા રાજ્યોની યાદી
ક્રમ – રાજ્ય - ટકા : ક્રમ - રાજ્ય - ટકા
1 અરૂણાચલ પ્રદેશ ૬૩.૧૮ - 1 તેલંગાણા ૦.૩૦
2 નાગાલેન્ડ ૬૦.૩૬ - 2 આંધ્રપ્રદેશ ૧.૨૦
3 ગુજરાત ૪૩.૦૨ - 3 કર્ણાટક ૬.૧૭
4 હિમાચલ પ્રદેશ ૩૬.૨૭ - 4 પશ્ચિમ બંગાળ ૯.૦૦
5 ઉત્તરાખંડ ૩૫.૭૨ - 5 જમ્મુ કાશ્મિર ૯.૮૭
6 મહારાષ્ટ્ર ૩૫.૬૮ - 6 તામિલનાડુ ૧૫.૮૪
7 ઉત્તર પ્રદેશ ૩૩.૧૫ - 7 બિહાર ૧૯.૧૬
આ પણ વાંચો: સૂત્રાપાડામાં 15.50 લાખનું સરકારી અનાજ સગેવગે થતું પકડાયું
વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો.