સિવિલ હોસ્પિટલના દર્દીઓને ભાજપના સભ્ય બનાવી દેવાનું કૌભાંડ ઝડપાયું

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના મતવિસ્તાર વિસનગરમાં સિવિલ હોસ્પિટલના દર્દીઓને ભાજપના સભ્ય બનાવી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે.

સિવિલ હોસ્પિટલના દર્દીઓને ભાજપના સભ્ય બનાવી દેવાનું કૌભાંડ ઝડપાયું
image credit - Google images

BJP Membership Scam: દેશભરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત વધુને વધુ લોકોને ભાજપમાં જોડવા માટે સ્થાનિક કાર્યકરોને ટાર્ગેટ આપવામાં આવે છે. જેને પુરો કરવા માટે કાર્યકરો મરણિયા બનીને ગમે તે વ્યક્તિને પક્ષના સભ્ય બનાવી દેતા હોય છે. સુરેન્દ્રનગરમાં તો એક શાળાના બાળકોને ભાજપના સભ્ય બનાવી દેવાયા હતા. આ ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં હવે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના મત વિસ્તાર વીસનગરમાં સિવિલ હોસ્પિટલના દર્દીઓને તેમની જાણ બહાર ભાજપના સભ્ય બનાવી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે અહીં વિકુંભા નામની વ્યક્તિ તેમના પત્ની બિમાર હોવાથી તેમને ઈન્જેક્શન અપાવવા માટે વિસનગર સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. એ દરમિયાન ત્યાં હાજર કર્મચારીએ તેમને તમારે ઇંજેક્શન લગાવવાનું છે તેમ પૂછતા તેમણે હા પાડી હતી. એ પછી કર્મચારીએ તેમના પત્ની પાસે તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો હશે તે આપો તેમ કહીને આપવા કહ્યું હતું. જેથી વિકુંભા દરબારના પત્નીએ સમજ્યા વિચાર્યા વિના ઓટીપી આપી દીધો હતો. 

આ પણ વાંચોઃ 15 નકલી મતો તો મેં નાખ્યા હતાઃ ભાજપ કાર્યકરની કબૂલાતના વીડિયોથી હોબાળો

સિવિલના કર્મચારીએ ઓટીપી માંગ્યો હોવાની વાતની વિકુંભા દરબારને જાણ થતાં તેમણે પૂછ્યું હતું કે, શા માટે ઓટીપી માંગો છો? આ વાતચીત ચાલતી હતી ત્યારે જ તેમના મોબાઇલ પર તેમને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હોવાનો મેસેજ આવતાં તેઓ ભડક્યા હતા અને તેમને અંધારામાં રાખીને પૂછ્યા વિના ભાજપના સભ્ય બનાવવાને લઇને હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ હાજર કર્મચારીએ ભૂલથી લેવાઈ ગયો હોવાની વાત કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. એ દરમિયાન દર્દીના પત્નીએ સિવિલ હોસ્પિટલના આરએમઓને બોલાવી તેમની હાજરીમાં કર્મચારીનો ઉધડો લીધો હતો. ઓટીપી માગનાર કર્મચારીએ પહેલા તો કહ્યું કે અમે કોઇ પાસેથી બળજબરીપૂર્વક ઓટીપી લેતા નથી. પરંતુ વિવાદ વકરતા આખરે કર્મચારીએ ભૂલ સ્વિકારી માફી માંગી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થતા વિવાદ વધુ વકર્યો છે.

સિવિલ સુપરિટેન્ડન્ટે કર્મચારી એન્જસીનો હોવાનો કહીને બચાવ કર્યો
આ સમગ્ર મામલે વિસનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ પારુલ પટેલે લૂલો બચાવ કર્યો અને ઘટના અંગે તેમને કોઇ ફરિયાદ મળી નથી તેવો દાવો કર્યો હતો. જો કે, આ ઘટનાનો વાયરલ થયા બાદ તેમણે તપાસ કરાવી તો જાણવા મળ્યું છે કે જેણે ઓટીપી માગ્યો હતો તે હંગામી કર્મચારી છે. તેને નીરજ એજન્સી દ્વારા મુકવામાં આવ્યો હતો, વિવાદ વકરતા તે સિવિલમાંથી જતો રહ્યો છે. આ મામલે નીરજ એજન્સીનો સંપર્ક કરવામાં આવતા તેના જવાબદાર અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ આ મામલે તપાસ કરશે અને કાર્યવાહી કરશે.

ભાવનગરમાં 100 સભ્યો બનાવો 500 રૂ. લઈ જાવની ચર્ચા
વિસનગર જેમ ભાવનગરમાં પણ શાકભાજીના ભાવની જેમ સભ્યો બનાવવાનો ભાવ બોલાતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં '૧૦૦ સભ્યો બનાવો, ૫૦૦ રૂપિયા લઇ જાઓ'ની ઓફર આપવામાં આવી રહી છે. વીડિયોમાં શહેરના વોર્ડ નં.૧૨ના ભાજપના નગરસેવક અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ લોકોને સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય બનાવવાની સમજણ આપતાં નજરે પડે છે. જેમાં તેઓ જણાવે છે કે, સભ્ય બનાવતાં પૂર્વે જે-તે વ્યક્તિના મોબાઇલમાં ઓટીપી આવશે. તે વ્યક્તિ ઓટીપી આપે તો સભ્ય બનવા ઇચ્છુક છે અન્યથા દબાણપૂર્વક સભ્ય ન બનાવવા.

સુરેન્દ્નનગરમાં વિદ્યાર્થીઓ-વાલીઓને સભ્ય બનાવી દેવાયા
સભ્ય બનાવી દેવાનો આવો એક કિસ્સો સુરેન્દ્રનગરમાંથી પણ સામે આવ્યો હતો. અહીં દૂધરેજની બાજુમાં આવેલા અણિન્દ્રા ગામમાં ભાજપના શહેર પ્રમુખની આઈપીએસ શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવ્યા હોવાના આક્ષેપ થયા હતા. એટલું જ નહીં વાલીઓને પણ સભ્ય બનવા માટેના મેસેજની લિંક મોકલવામાં આવી હતી. જેથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ શાળાને નોટિસ ફટકારીને દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ભાજપ દ્વારા સામ-દામ-દંડ-ભેદ એમ કોઈ પણ રીતે લોકોને પક્ષના સભ્ય બનાવી દેવાની મોટાપાયે ફરિયાદો મળી રહી છે. જેના કારણે આખું અભિયાન વિવાદમાં આવી ગયું છે અને લોકોમાં તેની ગંભીરતા ઘટી ગઈ છે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે આરએસએસની રણનીતિ શું છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.