ડૉ. આંબેડકર ફાઉન્ડેશન મામલે લડત સમિતિનાં ધરણાં, બાકી કામો પૂર્ણ કરવા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

અમદાવાદના રાણીપ ખાતે આવેલા ડો. આંબેડકર ફાઉન્ડેશનનાં અધૂરાં કાર્યોને પૂર્ણ કરવા મામલે બહુજન આગેવાનોની લડત સમિતિએ આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. જેમાં કેટલીક સ્પષ્ટ માંગણીઓ કરવામાં આવી છે. 

ડૉ. આંબેડકર ફાઉન્ડેશન મામલે લડત સમિતિનાં ધરણાં, બાકી કામો પૂર્ણ કરવા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલું ડૉ. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન આજકાલ અમદાવાદ સહિત ગુજરાતભરના બહુજન સમાજ માટે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ રાષ્ટ્રીય ફાઉન્ડેશનના અનેક કામો છેલ્લાં 15 વર્ષ કરતા વધુ સમયથી અધુરાં પડ્યાં છે. આ મામલે સરકારને અનેક રજૂઆતો પછી પણ કોઈ પ્રગતિ ન જણાતા આખરે બહુજન સમાજના આગેવાનો લડતના માર્ગે વળ્યાં છે. આ મામલે બનાવવામાં આવેલી લડત સમિતિએ ગઈકાલે અમદાવાદ સુભાષ બ્રીજ ખાતે આવેલી જિલ્લા કલેક્ટરની કચેરી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધરણાં કર્યા હતા. એ પછી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી બાકી કામો વહેલીતકે પૂર્ણ કરવા રજૂઆત કરી હતી.

આ ધરણાં કાર્યક્રમમાં હાજર રહેલા સામાજિક કાર્યકર કિરીટ રાઠોડે ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “ડૉ. આંબેડકર ફાઉન્ડેશનના અધૂરાં કાર્યો પૂર્ણ કરવા માટે સરકારમાં અનેક વખત રજૂઆતો પછી કોઈ ઉકેલ ન આવતા આખરે એક લડત સમિતિ બનાવવામાં આવી છે. જેમાં સમાજના આગેવાનો મોટી સંખ્યામાં સામેલ થયા છે. આ સમિતિ દ્વારા રણનીતિ નક્કી કરવામાં આવી છે, એ મુજબ સૌ પ્રથમ તા. 16મી જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપી ફાઉન્ડેશનના બાકી કામો પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી હતી. જો તેમાં કોઈ સકારાત્મક પરિણામ મળતું નહીં દેખાય તો વધુ ઉગ્ર આંદોલન કરીશું. આ મામલે આગળની રણનીતિ નક્કી કરવા માટે આગામી તા. 21 જાન્યુઆરીને રવિવારના રોજ ફરી એકવાર લડત સમિતિની બેઠક મળવાની છે. જેમાં આગામી કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવશે.”

શું છે મામલો?

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલું ડૉ. આંબેડકર ફાઉન્ડેશન બહુજન સમાજ માટે અનેક રીતે મહત્વનું છે. તેનું ઉદ્ઘાટન વર્ષ 2007માં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. એ વખતે અહીં રૂ. 5 કરોડ જેવી માતબર રકમ ખર્ચીને ફોટો-મલ્ટિમીડિયા ગેલેરી, ચલચિત્ર અને મ્યૂઝિક વિભાગ, ઈ-લાઈબ્રેરી, લાઈટ એન્ડ સાઉન્ડ શો, ઍરકન્ડિશનર ઓડિટોરિયમ, ગેસ્ટ હાઉસ અને આધુનિક ઓપન ઍર થિયેટર તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ વાતને આજકાલ કરતા 15 વર્ષ કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં સરકાર દ્વારા આ કામો પૂર્ણ કરવામાં આવ્યા નથી. આ મામલે અનેક વાર રજૂઆતો કરી છે છતાં કામોમાં કોઈ પ્રગતિ ન જણાતા આખરે બહુજન સમાજના આગેવાનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે અને અધૂરાં કાર્યો પૂર્ણ કરાવવા માટે લડત છેડી છે.

થોડા દિવસ પહેલા જ રાણીપ ખાતે આગેવાનો એકઠાં થયા હતા

આ મામલે ગત તા. 31 ડિસેમ્બરના રોજ ડૉ. આંબેડકર ફાઉન્ડેશન ખાતે નિવૃત્ત નાયબ કલેક્ટર અશોક વાણિયાના પ્રમુખસ્થાને એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ.આંબેડકર વિચાર મંચ રાણીપના કન્વીનર જે. સી.પરમારે સ્થાનિક રીતે કરવામાં આવેલ તમામ રજૂઆતોની વિસ્તારથી માહિતી આપી હતી. ત્યારબાદ મિટિંગના મુખ્ય આયોજક દીક્ષાદૂત આનંદે આગામી લડતના કાર્યક્રમોની વિગતો આપી હતી. જે મુજબ હવે લડત સમિતિ આગળ વધી રહી છે.

આ પણ વાંચો : એક સમયે ઘરનું વાયરીંગ કરતા આ બહુજન યુવક પાસે આજે IIM-A, AMUL, Indian Railway જેવા ક્લાયન્ટ્સ છે!

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.