પુરી જગન્નાથની રથયાત્રામાં બલભદ્રની મૂર્તિ સેવકો પર પડતા ૯ ઘાયલ

ઓરિસ્સાના પુરીના ગુંડીચા મંદિરમાં રથયાત્રા બાદ બળભદ્રની મૂર્તિ સેવકો પર પડતા 9 લોકો ઘાયલ થઈ ગયા છે.

પુરી જગન્નાથની રથયાત્રામાં બલભદ્રની મૂર્તિ સેવકો પર પડતા ૯ ઘાયલ
image credit - Google images

ઓરિસ્સાના પુરીના ગુંડીચા મંદિરમાં ગઈકાલે રાત્રે બલભદ્રની મૂર્તિ સેવકો પર પડતા 9 સેવકો ઘાયલ થઈ ગયા છે. મંગળવારે રાત્રે ૯ વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. ૮મી જુલાઈએ રથયાત્રા બાદ ગુંડીચા મંદિરમાં પહાડી વિધિ ચાલી રહી હતી. સેવકો ભગવાનની મૂર્તિઓને રથમાંથી ઉતારીને મંદિરમાં લઈ જઈ રહ્યા હતા. એ વખતે બલભદ્રજીને ઉતારતી વખતે સેવકો રથના ઢોળાવ પર લપસી પડ્યા અને મૂર્તિ તેમના પર પડી હતી. જેમાં ૯ જણાં ઘાયલ થયા હતા. આ પૈકી ૫ લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે, મૂર્તિને કોઈ નુકસાન થયું નથી.

એક ઈજાગ્રસ્ત સેવકે જણાવ્યું હતું કે, મૂર્તિ સાથે બાંધેલા દોરડામાં કોઈ સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. હોસ્પિટલમાં દાખલ બે લોકોને રજા આપવામાં આવી હતી અને તેઓ ધાર્મિક વિધિમાં જોડાયા હતા. 

આ તરફ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી અને ઘાયલ સેવકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. તેમણે કાયદા પ્રધાન પૃથ્વીરાજ હરિચંદનને તાત્કાલિક પુરી જઈને યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. 

આ પણ વાંચો: રમણલાલ વોરાએ રથયાત્રામાં અનુ.જાતિ મોરચાના ઉપાધ્યક્ષને ગાળો ભાંડી

નાયબ મુખ્યમંત્રી પ્રાવતિ પરિદા પણ પુરી ગયા હતા. તેમણે કહ્યું કે અમે આગળની કાર્યવાહી માટે મુખ્યમંત્રીને રિપોર્ટ કરીશું. 

પુરીમાં રથયાત્રા દરમિયાન ભગવાન બલભદ્રના તાલધ્વજ રથને ખેંચતી વખતે એક ભક્તનું ગૂંગળામણથી મૃત્યુ થયું હતું. તેને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ સિવાય ભીડમાં ગૂંગળામણને કારણે ૮ લોકોની તબિયત લથડી હતી. બાદમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

ઓડિશાના સીએમ મોહન ચરણ માઝીએ મૃતકના પરિજનોને ૪ લાખ રૂપિયા અને ઘાયલોને મફત સારવારની જાહેરાત કરી છે.

દુર્ઘટના પછી તરત જ ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્રની પૂજા ફરી શરૂ થઈ અને તમામ મૂર્તિઓને ગુંડીચા મંદિરની અંદર લઈ જવામાં આવી હતી, જે તેમનું જન્મસ્થળ માનવામાં આવે છે. ભગવાન અહીં ૧૫મી જુલાઈ સુધી રોકાશે. તે જ દિવસે બહુડા યાત્રા યોજાશે અને ત્રણેય મૂર્તિઓ એક જ દિવસે મૂળ મંદિરમાં પરત ફરશે.

ગુંડીચા મંદિર પુરીના જગન્નાથ મંદિરથી માત્ર ૩ કિમી દૂર છે. જગન્નાથ દર વર્ષે જ્યારે પણ અહીં પહોંચે છે, તેના એક મહિના પહેલાંથી જ ગુંડીચા મંદિરના ૫૦૦ મીટરના ભાગમાં દરેક ઘરમાં ભગવાનના આગમનની તૈયારીઓ શરૂ થઈ જાય છે. 

એક રિવાજ મુજબ લોકો નોનવેજ ભોજન છોડી દે છે. રથયાત્રાના સાતેય દિવસ લોકો નવાં કપડાં પહેરે છે અને જગન્નાથજીના પૂજન પછી મળતો અભડા પ્રસાદ ખાઈને જ દિવસની શરૂઆત કરે છે.

આ પણ વાંચો: જગન્નાથજીની રથયાત્રા બૌદ્ધ ધર્મની ત્રિરત્ન યાત્રા છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.