દાંતામાં વાલ્મિકી યુવકને મર્યા પછી પણ આભડછેટ નડી, જાતિવાદી ગામલોકોએ સ્મશાનમાં અંતિમવિધિ ન થવા દીધી
જાતિવાદી ગુજરાતમાં દલિતો જીવતેજીવ તો આભડછેટનો સામનો કરે જ છે પરંતુ મર્યા પછી પણ અસ્પૃશ્યતા તેમનો પીછો છોડતી નથી. આવા અનેક કિસ્સાઓ છાશવારે પ્રકાશમાં આવતા રહે છે. આવો જ માનવતા માટે લાંછનરૂપ કિસ્સો બનાસકાંઠાના દાંતામાં સામે આવ્યો છે વાંચો સમ્રગ અહેવાલ.

જાતિવાદી ગુજરાતમાં દલિતો જીવતેજીવ તો આભડછેટનો સામનો કરે જ છે પરંતુ મર્યા પછી પણ અસ્પૃશ્યતા તેમનો પીછો છોડતી નથી. આવા અનેક કિસ્સાઓ છાશવારે પ્રકાશમાં આવતા રહે છે. આવો જ માનવતા માટે લાંછનરૂપ કિસ્સો બનાસકાંઠાના દાંતામાં સામે આવ્યો છે, જ્યાં જાતિવાદી તત્વોએ એક દલિત યુવકને મર્યા પછી સ્મશાનમાં અંતિમવિધિ કરવા માટે પણ જગ્યા ફાળવવાથી ઈનકાર કરી દીધો હતો. જેથી પરિવારજનો શબ લઈને ન્યાયની માંગણી સાથે મામલતદાર કચેરીએ પહોંચી ગયા હતા અને ધરણાં પર બેઠાં હતા.
બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલા નવાવાસ ગામમાં 45 વર્ષના ગોવિંદભાઈ મકવાણાનું સોમવારે રાત્રે આકસ્મિક મોત થઈ ગયું હતું. તેથી પરિવારજનો મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ગામના સ્મશાનગૃહમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં ગામના કેટલાક જાતિવાદી તત્વોએ આભડછેટને કારણે ગોવિંદભાઈની અંતિમવિધિ માટે સ્મશાન ફાળવવાથી ઈનકાર કરી દીધો હતો. આથી મૃતકના પરિવારજનોએ ગ્રામ પંચાયતને રજૂઆત કરી હતી. જો કે ત્યાં સરપંચ અને તલાટી દ્વારા પણ આ મામલાનો કોઈ ઉકેલ ન આવતા તેઓ મૃતદેહ લઈને દાંતા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ન્યાયની માંગણી કરી હતી. તેમની સાથે સમાજના અન્ય લોકો પણ જોડાયા હતા.
બાદમાં આ મામલે મામલતદાર સહિતના અધિકારીઓએ મામલો હાથમાં લીધો હતો. જ્યાં ઉક્ત જમીન વનવિભાગની હોવાથી અંતિમ સંસ્કાર માટે ઉપયોગ કરી શકાય નહીં તે પ્રકારનું કારણ આગળ ધરાયું હતું. આથી મૃતકના પરિવારજનોએ અન્ય જગ્યાએ અંતિમવિધિ કરી હતી. જો કે મામલતદારે ન્યાયની માંગણી કરી રહેલા લોકોને આગામી એક મહિનાની અંદર સ્મશાનની ફાળવણી કરી દેવાની ખાતરી આપતા મામલો હાથ પુરતો થાળે પડ્યો છે.
આ મામલે જો કે સૂત્રો જણાવે છે કે, અધિકારીઓ અને ગામલોકો ભલે ગમે તે વાત કરતા હોય પરંતુ અસલ કારણ એ છે કે મૃતક વાલ્મિકી સમાજના છે એટલે આભડછેટના કારણે અહીં મૃતકની અંતિમવિધિ થવા દેવામાં આવી નથી. અધિકારીઓ અને સરકાર ભલે ગમે તે કારણ આગળ ધરે પરંતુ હકીકત એ છે કે તેઓ પોતે જાતિવાદીઓને પોષે છે, જો એકવાર પણ અધિકારીઓ અને તંત્ર સ્ટેન્ડ લઈને બંધારણીય રીતે યોગ્ય કાર્યવાહી કરે તો જાતિવાદી તત્વો અને આભડછેટ પાળનારાઓ માથું ઊંચું કરતા સો વાર વિચાર કરે. બાકી હાલના સંજોગોમાં તો દેશમાંથી આભડછેટ અને જાતિવાદ ખતમ થાય એવું લાગતું નથી.
આ પણ વાંચો : બોટાદના બેલા ગામે 22 વીઘા સાંથણીની જમીન દલિતોને અપાવવા દલિત અધિકાર મંચ મેદાનમાં
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.