મહિલા અધિકાર મંચે અમિત શાહના વિરોધમાં હજારો પોસ્ટકાર્ડ લખ્યાં
અમિત શાહે ડો.આંબેડકરના વિરોધમાં કરેલા નિવેદનને લઈને મહિલા અધિકાર મંચની હજારો બહેનોએ ગૃહ મંત્રાલયની ઓફિસને પોસ્ટ કાર્ડ અભિયાન ચલાવ્યું હતું.

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો બાબાસાહેબ આંબેડકરના કરવામાં આવેલ અપમાનના વિરોધમાં અમદાવાદની અજીત મિલ પોસ્ટ ઓફિસે પોસ્ટ કાર્ડ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જો કે કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટે સરકારના ઇશારે આ કાર્યક્રમને સ્થળેપોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જેના કારણે રખિયાલ સત્યમ ફ્લેટ ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં બહુજન સમાજની બહેનોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમને ગુજરાત મહિલા અધિકાર મંચની લડાયક બહેનોએ સફળ બનાવ્યો હતો. આ પોસ્ટકાર્ડ અભિયાનને સફળ બનાવવામાં મહિલા અધિકાર મંચની કન્વિનરના ધર્મિષ્ઠાબેન, જયાબેન અને પદમાબેન આગેવાની સંભાળી હતી.
મહિલા અધિકાર મંચ દ્વારા અમદાવાદ ઉપરાંત સંતરામપુર-મહીસાગરમાં પણ પોસ્ટકાર્ડ અભિયાન ચલાવાયું હતું. આ સિવાય રૂદરડી-ઈડર-સાબરકાંઠા ખાતે મહીલા અધિકાર મંચની ટીમના રેણુકાબેન અને કોકીલાબેન દ્વારા બહેનોને સાથે રાખી પોસ્ટકાર્ડ લખાયા હતા. આ સિવાય પણ અનેક બહેનોને પોસ્ટ કાર્ડ લખીને સમગ્ર અભિયાનને સફળ બનાવ્યું હતું.
મહિલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર ડો. મિતાલી સમોવા છેલ્લાં ઘણાં સમયથી બહુજન સમાજની મહિલાઓ અને તેમના હકો માટે સતત કાર્યરત છે. તેમની જહેમતને કારણે આ કાર્યક્રમને ધારી સફળતા મળી હતી.
આ પણ વાંચોઃ તાકાત હોય તો પ્રજ્વલ રેવન્ના જેવા સામે લડો, ફેમિનિસ્ટો સામે નહીંઃ ડૉ. મિતાલી સમોવા