ડૉ.આંબેડકર ફેશન નહીં અમારું પૅશન છે, આણંદમાં BSP કાર્યકરોનો હુંકાર
બહુજન સમાજ પાર્ટી અને નવસર્જન ટ્રસ્ટના કાર્યકરોએ અમિત શાહના નિવેદનના વિરોધમાં આણંદ કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો.

ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં પોતાના ભાષણ દરમિયાન ડૉ.બાબાસાહેબ આંબેડકર ઉપર કરેલા નિવેદનને લઈને સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. આજે બહુજન સમાજ પાર્ટી દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને આણંદમાં અમિત શાહના નિવેદનના વિરોધમાં બહુજન સમાજ પાર્ટી અને નવસર્જન ટ્રસ્ટ આણંદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ભારતીય બંધારણના 75 માં વર્ષ નિમિત્તે તારીખ 17 ડિસેમ્બરના રોજ રાજ્યસભામાં સત્તા પક્ષ અને વિપક્ષ બંને દ્વારા ભારતીય બંધારણ બાબતે ચર્ચા કરવામાં આવી રહી હતી. એ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 91 મિનિટનું ભાષણ કરવામાં આવ્યું હતું. આ ભાષણની શરૂઆતમાં બીજા રાજનેતાઓને શાબ્દિક માનસન્માનથી યાદ કરવામાં આવ્યા હતાં. પરંતુ ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું નહોતું. એટલું જ નહીં, લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આંબેડકરને એક ફેશન ગણાવી આટલું નામ ભગવાનનું લેવામાં આવે તો સાત જનમ સુધી સ્વર્ગ મળે એવી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. જેથી દલિતો, આદિવાસીઓ, ગરીબોની લાગણી દુભાઈ છે.
આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, દલિતો પર અત્યાચાર, આભડછેટ, માથે મેલું ઉપાડવાની પ્રથા અને સ્ત્રી પર બળાત્કાર ડામવામાં તમારી નિષ્ફળતા, ધર્મનું ઝેર ફેલાવી દેશની અખંડિતતા ખેદાનમેદાન કરવાની તમારી નીતિ, દલિત-આદિવાસી માટે અનામત, ટોચ અને ગણોતધારાની જમીનોના અધિકારનો અમલ ન કરવાની તમારી દાનત, દલિત-આદિવાસીની વસ્તીના ધોરણે અંદાજપત્રમાં નાણાં ફાળવવાની નીતિને અભરાઈએ ચઢાવી દેવાના તમારા કાર્યક્રમોથી ભારતમાં દલિત-આદિવાસી-ગરીબ માટે તમે નર્ક ઊભું કર્યું છે. ભારતના બંધારણે અમને આઝાદી અધિકાર, સમાનતા અને સ્વમાન આપ્યા છે. માટે અમે ડૉ. આંબેડકરને આધુનિક ભારતના પિતા માનીએ છીએ. ‘જય ભીમ’ બોલવું અમારી 'ફેશન' નહીં પણ અમારો પેશન (PASSION) એટલે કે જુસ્સો છે.
આ પણ વાંચો: ખોખરામાં તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખ્યું