કપડાં ઉતરાવ્યા, પેશાબ પીવડાવ્યો, થૂંક ચટાડ્યું, દલિત કિશોરે ગળેફાંસો ખાઈ લીધો

તોફાની યુવકોએ દલિત કિશોરને બર્થડે પાર્ટીમાં બોલાવી અપમાનિત કર્યો. કિશોરને લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.

કપડાં ઉતરાવ્યા, પેશાબ પીવડાવ્યો, થૂંક ચટાડ્યું, દલિત કિશોરે ગળેફાંસો ખાઈ લીધો
image credit - Google images

ઉત્તર પ્રદેશના બસ્તીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કપ્તાનગંજમાં કેટલાક યુવકોએ એક દલિત કિશોરને જન્મદિવસની પાર્ટીમાં બોલાવી તેની સાથે અત્યંત અપમાનજનક વર્તન કર્યું હતું. આરોપીઓએ દલિત કિશોરને પહેલા માર્યો, પછી તેના કપડા કાઢી નાખ્યા, પછી થૂંક ચટાડ્યું અને પેશાબ પીવડાવ્યો. આ ઘટના બાદ દલિત કિશોરને ભારે લાગી આવ્યું હતું અને તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

દલિત કિશોરના પરિવારનો આરોપ છે કે તેમણે આ અંગે પોલીસને જાણ કરી હતી, પરંતુ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરિવારજનોએ જણાવ્યું કે તેઓ કિશોરનો મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન ગયા હતા અને આરોપીઓની ધરપકડની માંગ કરી હતી. પરંતુ અધિકારીઓ અવગણના કરતા રહ્યા. એ પછી તેઓ પુત્રના મૃતદેહને એસપી ઓફિસ લઈ ગયા, ત્યારબાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી.

આઘાત લાગતા કિશોરે ગળેફાંસો ખાઈ લીધો

પરિવારજનોએ જણાવ્યું કે તેની સાથે જે ક્રૂર ઘટના બની તેનાથી તે સતત આઘાતમાં હતો.તે સતત ગુમસુમ રહેતો હતો. સોમવારે તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આરોપીઓએ તેની સાથે જે કંઈપણ બન્યું તેનો વીડિયો પણ બનાવ્યો હતો. જ્યારે કિશોરે એ વીડિયો ડિલીટ કરવાનું કહ્યું તો આરોપી યુવકોએ શરત મૂકી કે તેણે થૂંક ચાટવું પડશે. કિશોરે એમ કર્યું અને આરોપીઓએ તેનો પણ વીડિયો બનાવી લીધો. આ આખા ઘટનાક્રમની દલિત કિશોર પણ એ હદે અસર પડી હતી કે તેણે પોતાનો જીવ આપી દીધો હતો.

કિશોરના મામાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચાર આરોપીઓ વિનય કુમાર, આકાશ, સોનલ અને કાજુ પ્રસાદ વિરુદ્ધ મારામારી, અપમાન કરવું અને આત્મહત્યા માટે મજબૂર કરવા સહિતની અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

દલિત કિશોર તેના મામાના ઘરે રહીને ભણતો હતો

આત્મહત્યા કરનાર દલિત કિશોર સંત કબીરનગર જિલ્લાના બેલહર કલાનો રહેવાસી હતો. તેના મામાનું ઘર કપ્તાનગંજમાં હોવાથી તે અહીં ભણતો હતો. તે 10મા ધોરણનો વિદ્યાર્થી હતો. રડતા રડતા મામાએ જણાવ્યું કે, આરોપીઓ યુવકોએ 20મી ડિસેમ્બરની રાત્રે બર્થડે પાર્ટીના બહાને તેને બોલાવ્યો અને તેની સાથે ધૃણાસ્પદ કૃત્ય કર્યું. આરોપ છે કે કિશોરે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી હતી. એ પછી પોલીસે આરોપીઓને પકડી તો લીધાં પરંતુ સાંજે થોડા સમય બાદ બધાને જવા દીધા. જેના કારણે કિશોરને વધારે આઘાત લાગ્યો હતો.

પોલીસે શું કાર્યવાહી કરી?

બસ્તીના એસપી કૃષ્ણ ગોપાલ ચૌધરીએ જણાવ્યું કે ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે કપ્તાનગંજના ઈન્ચાર્જ એસએચઓ વિરુદ્ધ વિભાગીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સીઓ પ્રદીપ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે દલિત કિશોરના મામાએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા બાદ પરિવારજનોને સોંપી અંતિમવિધિ કરાઈ હતી. દલિત સમાજનો એક હોનહાર કિશોર જિંદગી સામેનો જંગ તેના પર થયેલા એક અત્યાચારને કારણે હારી ગયો.

આ પણ વાંચો: 12 વર્ષના દલિત કિશોરને નગ્ન કરીને કહ્યું - 'ચાલ હવે ડાન્સ કર'


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.