દલિત કિશોરને સરપંચે સવારના 5 થી બપોરના 3 વાગ્યા સુધી બાંધીને માર્યો

14 વર્ષના દલિત કિશોરને કડકડતી ઠંડીમાં વહેલી સવારે 5 વાગ્યે સરપંચના સાગરિતો ઉઠાવી ગયા. બપોરના 3 વાગ્યા સુધી નગ્ન કરી થાંભલા સાથે બાંધીને માર્યો. મળદ્વારમાં મરચું નાખ્યું.

દલિત કિશોરને સરપંચે સવારના 5 થી બપોરના 3 વાગ્યા સુધી બાંધીને માર્યો
image credit - Google images

શિયાળાની કડકડતી ઠંડીમાં કોઈ આપણાં શરીર પર ઠંડા પાણીની એકાદ છાંટ પણ ઉડાડે તો આપણે સહન કરી શકતા નથી. શક્ય છે ગુસ્સે થઈને તમે તેને એકાદ ઝાપટ પણ મારી લો. જો એકાદ છાંટો ઉડવાથી પણ આવું થઈ શકતું હોય, તો એક 14 વર્ષના દલિત કિશોરને સવારે 5 વાગ્યે કડકડતી ઠંડીમાં ઉઠાવી જઈ તેને વીજળીના થાંભલા સાથે બાંધી અર્ધનગ્ન કરી દંડાથી ફટકારવામાં આવ્યો હશે તેના પર શું વીતી હશે? 14 વર્ષના એક દલિત કિશોર સાથે આરોપીઓએ બર્બરતાની તમામ હદો વટાવી દીધી હતી.

તેમણે નિર્દોષ કિશોરને સવારે 5 વાગ્યાથી લઈને સાંજના 3 વાગ્યા સુધી બાંધી રાખી માર માર્યો. એટલું જ નહીં, તેના ગુદામાર્ગમાં મરચું નાખ્યું હતું, તેને પથ્થર પર પટકીને ઈજા પહોંચાડી હતી, સ્મશાનમાં લઈ જઈ ફરી તેના હાથપગ બાંધીને તેને માર મારવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, આ બધું જાહેરમાં થઈ રહ્યું હતું, લોકોની નજર સામે થઈ રહ્યું હતું છતાં કોઈ એ દલિત કિશોરને છોડાવવાની હિંમત કરી શક્યું નહોતું. આરોપીઓને પણ કાયદો વ્યવસ્થા કે ન્યાયતંત્રનો કોઈ ડર નહોતો. આ કેવું ભારત છે?

મિર્ઝાપુરની ઘટના

ઘટના ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરથી અંદાજે 50 કિમી દૂર આવેલા બર્ડિંહા કલાં ગામનો છે. અહીં અશોક નામના 14 વર્ષના કિશોરને ગામના સરપંચના કહેવાથી વહેલી સવારે 5 વાગ્યે સરપંચનો છોકરો અને સાગરિતો આંબળા તોડવા જવાનું છે કહીને લઈ ગયા હતા. અશોકના પિતાને ખ્યાલ નહોતો કે તેના દીકરાને આટલા વહેલા આ લોકો ક્યાં લઈને જઈ રહ્યાં છે. એ પછી આરોપીઓએ વહેલી સવારે 5 વાગ્યે પોતે તાપણું સળગાવીને બેઠાં અને 14 વર્ષના અશોકને અર્ધનગ્ન કરીને પથ્થર પર પટકીને ફટકાર્યો. એ પછી તેને વીજળીના થાંભલા સાથે બાંધીને તેને લાકડી અને દંડાથી માર માર્યો. આવું સવારના 5 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ચાલતું રહ્યું. ચોંકાવનારી બાબત એ છે કે, આટલું બધું જાહેરમાં થતું હોવા છતાં કોઈ નાનકડા અશોકને છોડાવવા માટે સામે આવ્યું નહોતું અને તમાશો જોઈ રહ્યું હતું. દલિત પરિવારે સરપંચને પોતાના દીકરાને છોડી દેવા માટે આજીજી કરી પણ તેમનું હૃદય ન પીગળ્યું. સરપંચનો આરોપ હતો કે, અશોકે તેમના ટ્રેક્ટરના પાર્ટ્સ ચોર્યા હતા.

વહેલી સવારે 5 વાગ્યે કપડાં ઉતરાવી થાંભલા સાથે બાંધી દીધો

અશોકનો પરિવાર મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના ઘરમાં તેના માતાપિતા અને એક બહેન છે. બે બહેનોના લગ્ન થઈ ચૂક્યા છે. તેના પિતાની તબિયત સારી નથી રહેતી તેમ છતાં તેઓ મજૂરી કરવા મજબૂર છે.

આ ઘટના 31 ડિસેમ્બર 2024ની વહેલી સવારે બની હતી. 14 વર્ષનો અશોક તેના ઘરે સવારે 5 વાગ્યે તાપણું સળગાવીને ઠંડીથી રાહત મેળવવા મથી રહ્યો હતો. ત્યારે જ ગામના સરપંચ પન્નાલાલ તેનો છોકરો બબલૂ, સરપંચના સંબંધી અને અન્ય કેટલાક લોકો અશોકના ઘરે આવી પહોંચ્યા હતા અને તેને પોતાને ત્યાં આંબળા તોડવા જવાનું છે કહીને લઈ ગયા હતા. આ સાંભળીને અશોક તેમની સાથે જાય છે, પણ તેને ખબર નથી હોતી કે તેની સાથે શું થવાનું છે.

એ પછી સરપંચના કહેવાથી અશોકના કપડાં ઉતરાવી (વહેલી સવારે 5 વાગ્યે) તેને થાંભલા સાથે બાંધીને દંડાથી માર મારવામાં આવે છે. એ પછી તેઓ તેને ગામ બહાર આવેલા સ્મશાનમાં લઈ જાય છે અને પથ્થર ઉપર પટકે છે. આરોપીઓ એકદમ બેખૌફ છે. તેઓ કહેતા સંભળાય છે કે, "શું થશે, કોર્ટ કચેરી જે થશે એ જોઈ લઈશું, વધીને શું થશે, ફાંસીની સજા જ થશે ને?"

ગામલોકો જોતા રહ્યાં, કોઈ છોડાવવા ન આવ્યું

અશોકના પરિવારજનોએ જ્યારે ઘટના સ્થળે પહોંચીને અશોકને છોડી દેવાની આજીજી કરી ત્યારે સરપંચે કહ્યું, "હજુ આનું કશું થયું નથી, એવી હાલત કરીશું કે ગામમાં કોઈ કશું બોલી નહીં શકે."

આટલી મોટી નજર સામે બની રહી હોવા છતાં ગામલોકોમાંથી કોઈ અશોકને છોડાવવા માટે આગળ આવ્યું નહોતું અને બર્બરતાનો વીડિયો ઉતારી રહ્યાં હતા. અશોકના પરિવારે જેમતેમ કરીને પોલીસને જાણ કરી તો ત્રણ દિવસ સુધી પોલીસે કશી જ કાર્યવાહી નહોતી કરી. બાદમાં ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે. અશોકના પરિવારનો આરોપ છે કે, પોલીસે આરોપીઓને પર કાર્યવાહી કરવાને બદલે અશોકને આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો હતો. તેના પરિવારે બે બોરી અનાજ વેચીને અશોકને છોડાવ્યો હતો.

ભીંસ વધતા 7 લોકોની અટકાયત કરાઈ

અશોકને મારનાર આરોપીઓમાં પન્નાલાલ, બબલુ, ધીરજ પટેલ, રામભરોસ પટેલ, મનોજ પટેલ, આત્મારામ ગુપ્તા પર તેની માતા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને તેમાં અત્યાર સુધીમાં 7 લોકોની અટકાયત કરાઈ હોવાનું જાણવા મળે છે. પીડિત અશોકના પરિવારજનોએ તેમના જીવને જોખમ હોવાનું જણાવ્યું છે. આરોપીઓએ તેમને પણ જાતિસૂચક ગાળો ભાંડીને માર માર્યો હોવાથી વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અશોકને લોહીની ઉલટીઓ થાય છે

અશોકના બંને પગથી લઈને કમર સુધી વાગ્યાના નિશાન પડી ગયા છે. તેમના ચહેરા પર ઘટનાનો ડર સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. તેને ચાલવામાં અને શૌચક્રિયા કરવામાં પણ તકલીફ પડી રહી હોવાનું કહીને તેનો પરિવાર રોઈ પડે છે.
અશોકની બહેનના જણાવ્યા પ્રમાણે, અશોક રહી રહીને લોહીની ઉલટીઓ થાય છે. જેનાથી તેનો આખો પરિવાર અત્યંત ગભરાયેલો છે.

યોગીની કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠ્યાં

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ગુંડાઓ, માફિયાઓ અને બદમાશો પર બુલડોઝરની કાર્યવાહીનો ડર ઉભો કરીને એક રોલ મોડેલ તરીકે રજૂ કરનાર યોગી સરકારને લોકોનો એક જ પ્રશ્ન છે કે શું દલિત કિશોરને તાલિબાની સજા આપનાર આ સરપંચ અને તેના સાગરિતો સામે પણ બુલડોઝરની કાર્યવાહી થશે?

આ પણ વાંચો: ખેતરમાં તારની વાડ કરતા દલિત પરિવાર પર મનોરોગીએ હુમલો કર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • નૈષધ મકવાણા.
    નૈષધ મકવાણા.
    સાચી વાતને ,શોષિતોની વાત ને ઊજાગર કરો છો.એ જ મોટી દેશ સેવા છે.
    5 months ago
  • karsan rathod
    karsan rathod
    whats punish for birth in dalit community ?
    5 months ago