ગાડીમાં 'જય ભીમ' ગીત વગાડતા દલિત યુવકોનો રસ્તો રોકી જીવલેણ હુમલો

બે દલિત યુવકો ગાડીમાં 'જય ભીમ' ગીત વગાડતા જઈ રહ્યાં હતા. જાતિવાદી તત્વોએ તેમને ઉભા રાખી ગીત બંધ કરાવી માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી.

ગાડીમાં 'જય ભીમ' ગીત વગાડતા દલિત યુવકોનો રસ્તો રોકી જીવલેણ હુમલો
image credit - Google images

દેશભરમાં સડકથી લઈને સંસદ સુધી બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર અને તેમના વિચારો છવાયેલા છે ત્યારે તેમના ગીતો પણ ધૂમ મચાવી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં રેપ સોંગથી લઈને જય ભીમના જોશીલા ગીતો યુવાનોમાં હોટ ફેવરિટ બની રહ્યાં છે ત્યારે જય ભીમના એક ગીતને લઈને બે દલિત યુવકો પર જીવલેણ હુમલો થયો હોવાની એક ઘટના સામે આવી છે.
મામલો કર્ણાટકના તુમકુરુ જિલ્લાનો છે. અહીં 'જય ભીમ' ગીત વગાડવા બદલ બે દલિત યુવકો પર જાતિવાદી તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રેલવે અધિકારી સહિત બે આરોપીઓએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો, માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસે SC/ST એક્ટ હેઠળ કેસ નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

કર્ણાટકના તુમકુરુ જિલ્લામાં શનિવારે સાંજે અહીંના મુદ્દનહલ્લી ગામમાં સિરીવારા ગામના રહેવાસી દીપુ (19) અને નરસિંહ મૂર્તિ (32) તેમના નાના માલસામાન વાહન ટાટા એસમાં 'જય ભીમ' ગીત વગાડી રહ્યા હતા. ગીત વગાડવાની આ નાની વાત પર મોટરસાઇકલ પર સવાર બે જાતિવાદી તત્વોએ તેમનો રસ્તો આંતર્યો હતો. આરોપી લુખ્ખાઓએ બંનેને રોકીને તેમની જાતિ અને ગીત વગાડવાનું કારણ પૂછ્યું હતું. જ્યારે દીપુએ કહ્યું કે તેઓ દલિત સમાજના છે તો આરોપીઓ ગુસ્સે થઈ ગયા. તેમણે દીપુને ગાડીમાંથી ખેંચીને બહાર કાઢ્યો અને જાહેરમાં માર મારવા લાગ્યા.

આ પણ વાંચોઃ સરપંચના છોકરાએ 10 સાગરિતો સાથે મળી દલિત યુવકની હત્યા કરી

હુમલાખોર શખ્સ રેલ્વેમાં અધિકારી છે
હુમલાખોરોમાંથી એક ચંદ્રશેખર રેલવે વિભાગનો અધિકારી છે, જ્યારે બીજો નરસિમ્હા રાજુ હોવાનું જાણવા મળ્યું છે. બંને યુવકોને જાતિવાદી અપશબ્દો બોલતા તેમણે તે સમયે ડ્રાઇવિંગ કરી રહેલા નરસિંહ મૂર્તિ પર પણ હુમલો કર્યો હતો. ઘટના દરમિયાન બંને દલિત યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગુસ્સે ભરાયેલા આરોપીઓએ સ્થળ પરથી ભાગી જતા પહેલા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ ઘટનાને લઈને ગુબ્બી પોલીસ ઇન્સ્પેક્ટર સુનીલ કુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, બંને યુવકોની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ કેસમાં આરોપીઓ સામે SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની કલમ 109 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

જાતિવાદી વિચારસરણીનો અંત ક્યારે આવશે?
આ ઘટના માત્ર બે વ્યક્તિઓ પર હુમલો નથી, પરંતુ સમગ્ર દલિત સમાજ પર હુમલો છે. દલિત અધિકારો અને સન્માનનું પ્રતીક ‘જય ભીમ’ ગીત માત્ર એક ગીત નથી પરંતુ તેમની ઓળખનો એક ભાગ છે. જો તેને વગાડવાથી કોઈના જીવ માટે ખતરો બની જાય તો તે સમાજની ઊંડી જાતિવાદી વિચારસરણી છતી કરે છે. આ ઘટનાએ માત્ર પીડિતોને જ નહીં પરંતુ સમગ્ર દલિત સમાજને ઊંડું દુઃખ પહોંચાડ્યું છે.

દલિતો માટે સુરક્ષા અને સન્માનની માંગ ઉઠી
આ ઘટના ફરી એક વખત પ્રશ્ન ઉભો કરે છે કે શું દલિત સમાજે હંમેશા પોતાની ઓળખ અને અધિકારો માટે સંઘર્ષ કરવો પડશે? શું તેમને 'જય ભીમ' જેવા ગીતો વગાડવાનો પણ અધિકાર નથી? આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી ક્યારે થશે તે અંગે સરકાર અને કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. જ્ઞાતિવાદના આ ઝેરને ખતમ કરવા અને દલિતો માટે ન્યાય, સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરવા માટે સમાજ એકજૂથ થાય તેવો સમય આવી ગયો છે.

આ પણ વાંચોઃ દલિત યુવક અને રાજપૂત યુવતીની પ્રેમ કહાનીનો કરૂણ અંત આવ્યો 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.