મેરઠમાં પ્રદીપ મિશ્રાના શિવમહાપુરાણમાં ભાગાભાગી, અનેક મહિલા કચડાઈ
ભાગાભાગીમાં અનેક શ્રદ્ધાળુઓ નીચે પડી ગયા. કથાનો છઠ્ઠો દિવસ હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ આવી પહોંચી હતી.

ઉત્તરપ્રદેશના મેરઠમાં પંડિત પ્રદીપ મિશ્રાની શિવમહાપુરાણ કથા દરમિયાન ભાગાભાગી થતા અનેક શ્રદ્ધાળુઓ કચડાયા હોવાનું જાણવા મળ્યું છે. નાસભાગમાં ઘણા ભક્તો પડી ગયા અને કચડાયા હતા. પંડિત પ્રદીપ મિશ્રાની કથાનો આજે છઠ્ઠો દિવસ હતો. ભાગાભાગી થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્યમાં લાગેલી છે. મળતી માહિતી મુજબ કથા સાંભળવા માટે એક લાખથી વધુ લોકો મેરઠ પહોંચ્યા હતા. આવતીકાલે કથાનો છેલ્લો દિવસ છે.
મળતી માહિતી મુજબ કથા સાંભળવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને વડીલો આવ્યા હતા. આ દરમિયાન બાઉન્સરોએ તેમને રોક્યા હતા. એ પછી ભીડમાં ધક્કા-મુક્કી શરૂ થઈ ગઈ. લોકો એકબીજા પર પડવા લાગ્યા. શિવમહાપુરાણ સાંભળવા માટે ઘણા VVIP પણ મેરઠ પહોંચ્યા હતા.
મેરઠના શતાબ્દીનગરમાં શ્રી કેદારેશ્વર સેવા સમિતિ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા 15મી ડિસેમ્બરથી ચાલી રહી છે, જે બપોરે 1 વાગ્યે શરૂ થાય છે અને 4 વાગ્યા સુધી ચાલે છે. દરરોજ લાખો ભક્તો કથા સાંભળવા આવી રહ્યા છે. આયોજકો દ્વારા વાહનો પાર્ક કરવા માટે 7 પાર્કિંગ લોટ બનાવવામાં આવ્યા છે. જ્યારે લગભગ 1000 પોલીસકર્મીઓ સ્થળ પર તૈનાત છે.
આયોજકોના જણાવ્યા મુજબ એસએસપી ડો.વિપિન ટાડા તમામ વ્યવસ્થા જોઈ રહ્યા છે. એસપી ટ્રાફિક રાઘવેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર, કથા પંડાલ અને આસપાસના વિસ્તારો પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કથાના કારણે ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તેમ છતાં આ ઘટના ઘટી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓને ઈજા પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા હાલ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ દરેક હિંદુએ ૪ બાળકો પેદા કરવા જોઈએ: કથાકાર પ્રદીપ મિશ્રા