આણંદમાં પોલીસકર્મીએ દલિત યુવકને માર માર્યો, કાનમાંથી લોહી નીકળી ગયું
યુવક અકસ્માતની ફરિયાદ નોંધાવવા પોલીસ ચોકીએ ગયો હતો. જ્યાં જામભા નામના પોલીસકર્મીએ તેને ઢોર માર મારતા બેભાન થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.

ગુજરાત સહિત દેશભરમાં દલિતો, આદિવાસીઓને પોલીસ પર શું કામ ભરોસો નથી બેસતો તેનું સૌથી મોટું ઉદાહરણ દક્ષિણ ભારતની સુપરહિટ ફિલ્મ ‘જય ભીમ’ છે. જેમાં પોતાના પર થઈ રહેલા અત્યાચારની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને ગયેલી દલિત મહિલાને એક પોલીસકર્મી ધાકધમકી આપીને સમાધાન કરી લેવા દબાણ કરે છે. પણ મહિલા ડગતી નથી જે જોઈને પેલાને વધુ ગુસ્સો આવે છે. પણ છેલ્લે ડો.આંબેડકરનું બંધારણ મહિલાની વ્હારે આવે છે અને પેલો માથાભારે પોલીસકર્મી ઢીલો પડી જાય છે અને મહિલાને તેના ઘર સુધી સલામત રીતે મૂકી જવા મજબૂર બને છે.
‘જય ભીમ’ તો ફિલ્મ હતી અને તેમાં દર્શાવેલો પોલીસકર્મી પણ ફિલ્મી હતો, પરંતુ ગુજરાતમાં મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં આવા કોઈને કોઈ પોલીસકર્મીઓ મોજૂદ છે, જેમને દલિતો, આદિવાસીઓ કે ઓબીસી સમાજના લોકો પોતાની કોઈ સમસ્યા લઈને ફરિયાદ કરવા જાય તે ગમતું નથી. તેઓ એમ સમજતા હોય છે કે આ વર્ગને કોઈ સમસ્યાની ફરિયાદ ન કરવાની હોય, તેમણે તો બધું મૂંગા મોંઢે સહન કરવાનું હોય. આવી માનસિકતા ધરાવતા પોલીસકર્મીઓ મોકો મળતા જ પોતાનું અસલ જાતિવાદી પોત પ્રકાશે છે અને દલિત-બહુજન સમાજની વ્યક્તિને જાતિસૂચક ગાળો ભાંડવાથી લઈને માર મારવા સુધીની હરકત કરતા ખચકાતા નથી. વિચારો, જ્યાં કાયદાના રખેવાળો જ દલિત-બહુજન સમાજ સાથે આવું વર્તન કરતા હોય ત્યાં તેમની પાસેથી તટસ્થ તપાસ અને ન્યાયની આશા કેવી રીતે રાખવી?
જય ભીમ ફિલ્મ જેવો જ એક કિસ્સો હાલ ચરોતરમાં સામે આવ્યો છે. મામલો આણંદ જિલ્લાની ગામડી પોલીસ ચોકીનો છે. અહીં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક દલિત યુવકને પોલીસ ચોકીના પોલીસકર્મી દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, અહીંના ત્રિકમનગર વિસ્તારના રહેવાસી 40 વર્ષીય અશોકભાઈ ચૌહાણના ભાઈ સાથે એક ટેમ્પો ડ્રાઈવરે અકસ્માત કર્યો હતો. જેની ફરિયાદ નોંધાવવા માટે અશોકભાઈ આરોપી ટેમ્પો ડ્રાઈવરને લઈને ગામડી પોલીસ ચોકીમાં ગયા હતા. પરંતુ ત્યાં હાજર પોલીસકર્મી જામભાએ તેમની સાથે અભદ્ર વર્તન કરીને જાતિ વિષયક અપશબ્દો બોલીને માર માર્યો હતો.
જામભા નામના પોલીસકર્મીના મારના કારણે અશોકભાઈના કાનમાંથી લોહી નીકળી ગયું હતું અને તેઓ બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા તેમની દીકરી પોલીસ ચોકીમાં પહોંચી ગઈ હતી અને અશોકભાઈને બહાર લઈ ગઈ હતી. એ પછી ઈજાગ્રસ્ત અશોકભાઈને પહેલા આણંદ જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અશોકભાઈએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગામડી પોલીસ ચોકીના જામભા નામના પોલીસકર્મી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના સોશિયલ મીડિયામાં પણ વાયરલ બનતા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે અને પોલીસની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. જોવાનું એ રહેશે કે છાશવારે ચમરબંધીને પણ છોડવામાં નહીં આવેની વાત કરતા ગૃહમંત્રીનું પોલીસખાતું તેમના જ પોલીસકર્મીએ કરેલી દાદાગીરીમાં તેને શું સજા કરે છે?
આ પણ વાંચો: દલિત કિશોરને સરપંચે સવારના 5 થી બપોરના 3 વાગ્યા સુધી બાંધીને માર્યો