ભીમા કોરેગાંવ મામલો : એક્ટિવિસ્ટ Rona Wilson ના વચગાળાના જામીન ફગાવાયા

Rona Wilson એ તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે વચગાળાના જામીનની માંગણી કરી હતી, જેને મુંબઈની વિશેષ અદાલતે ફગાવી દીધી હતી.

ભીમા કોરેગાંવ મામલો : એક્ટિવિસ્ટ Rona Wilson ના વચગાળાના જામીન ફગાવાયા
image credit - Google images

Rona Wilson's interim bail rejected : મુંબઈની વિશેષ અદાલતે એલ્ગાર પરિષદ કેસમાં ધરપકડ કરાયેલા કાર્યકર્તા રોના વિલ્સનની અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં તેમણે તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે વચગાળાના જામીનની માંગણી કરી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, વિશેષ એનઆઈએ કોર્ટે કહ્યું કે સંબંધો ખૂબ દૂરના છે અને ત્યાં તેમની હાજરી બિલકુલ જરૂરી નથી.

વિલ્સનની જૂન 2018માં પુણે પોલીસ દ્વારા તેમના દિલ્હીના નિવાસસ્થાને દરોડા પાડ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આ કેસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવ્યો હતો. પુણે પોલીસે આ કેસમાં પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

વિલ્સન હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને મહારાષ્ટ્રના નવી મુંબઈમાં આવેલી તલોજા જેલમાં બંધ છે. તેમણે તાજેતરમાં તેની પિતરાઈ બહેનની પુત્રીના લગ્નમાં હાજરી આપવા માટે 6 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી, 2025 સુધી વચગાળાના જામીન માંગ્યા હતા.

13 ડિસેમ્બરે સ્પેશિયલ જજ ચકોર બાવિસ્કરે તેમની અરજી ફગાવી દીધી હતી. ગયા મંગળવારે (17 ડિસેમ્બરે) ઉપલબ્ધ ઓર્ડરમાં વિશેષ અદાલતે અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે, "આરોપી તેમની ભત્રીજીના લગ્ન સમારોહમાં હાજરી આપવા માંગે છે. આ સંબંધ ઘણો દૂરનો છે અને તેના માટે લગ્નમાં હાજર રહેવું બિલકુલ જરૂરી નથી."

ગયા અઠવાડિયે કોર્ટે ચાર વર્ષ પહેલાં આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય આરોપી સાગર ગોરખેને લોની પરીક્ષા આપવા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પુણે પોલીસ અને NIAએ એલ્ગાર પરિષદ કેસમાં 15 કાર્યકર્તાઓ, શિક્ષણવિદો અને વકીલોની ધરપકડ કરી હતી. તેમાંથી સૌથી વૃદ્ધ ફાધર સ્ટેન સ્વામી હતા, જેમનું જુલાઈ 2021માં અવસાન થયું હતું.

એલ્ગાર પરિષદનો મામલો 31 ડિસેમ્બર 2017ના રોજ પુણેમાં આયોજિત સેમિનારમાં કથિત ભડકાઉ ભાષણ સાથે સંબંધિત છે. પોલીસનો દાવો છે કે આ ભાષણને કારણે બીજા દિવસે શહેરની હદમાં આવેલા ભીમા-કોરેગાંવ યુદ્ધ સ્મારક પાસે હિંસા થઈ હતી અને આ સેમિનારના આયોજકોના કથિત માઓવાદીઓ સાથે સંબંધો હતા. આ કેસમાં ધરપકડ કરાયેલા 16 લોકોમાંથી આઠ લોકો કસ્ટડીમાં છે.

આ કેસમાં અત્યાર સુધી જેમને જામીન મળ્યા છે તેમાં કવિ વરવરા રાવ, શિક્ષણવિદો આનંદ તેલતુમ્બડે અને શોમા સેન, પત્રકાર ગૌતમ નવલખા, વકીલ સુધા ભારદ્વાજ અને અરુણ ફરેરા તથા  કાર્યકર્તા વર્નોન ગોન્સાલ્વિસનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ ભીમા કોરેગાંવ મામલોઃ પત્રકાર ગૌતમ નવલખાને 4 વર્ષ બાદ જામીન મળ્યાં


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.