ભીમયોદ્ધાઓએ ભૂજના કુનરીયામાં 8 એકર જમીન દલિતોને પરત અપાવી

વર્ષોથી અનુસૂચિત જાતિના હકની જમીનો પર માથાભારે તત્વો સાપની જેમ ફેણ માંડીને બેસી ગયા હતા. સામાજિક કાર્યકરોએ રાતદિવસ મહેનત કરીને જમીન પરત અપાવી.

ભીમયોદ્ધાઓએ ભૂજના કુનરીયામાં 8 એકર જમીન દલિતોને પરત અપાવી
image credit - નરેશ મહેશ્વરી, ભૂજ

કચ્છમાં માથાભારે તત્વો દ્વારા વર્ષોથી અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓ કે સ્થાનિક દલિતોને સરકારી ધોરણે કાયદેસર રીતે ફાળવવામાં આવેલી હજારો એકર જમીનો પડાવી લેવામાં આવી છે. અનેક સરકારો આવીને ગઈ પણ જાતિવાદી તત્વો આ જમીનો પર કાળોતરા નાગની જેમ ફેણ માંડીને બેસી ગયા હતા. દલિત સમાજના લોકો જો તેમના હકની આ જમીનોની માંગ કરવા જાય તો આ તત્વો દાદાગીરી પર ઉતરી આવતા હતા. પણ હવે અનુસૂચિત જાતિ સમાજના સક્રિય આગેવાનોની મહેનતને કારણે ધીરેધીરે આ જમીનો તેના અસલી લાભાર્થીઓ એવા દલિત સમાજના લોકો અને મંડળીઓને મળી રહી છે. હાલમાં જ આ રીતે ભૂજ તાલુકાના કુનરીયા ગામમાં 8 એકર જમીન જમીનોનો પ્રત્યક્ષ કબ્જો અનુસૂચિત જાતિ સમાજની મંડળીને કબ્જા પાવતી સાથે સોંપવામાં આવ્યો હતો.

ગાંધીનગર સુધી રજૂઆત કરાઈ હતી
કચ્છના સામાજિક કાર્યકરો દ્વારા આ મામલે છેક ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હતી. જેના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સીધી સૂચના અને કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાની દરમિયાનગીરીથી તાત્કાલિક માથાભારે તત્વો દ્વારા દબાવી રાખવામાં આવેલી આ જમીનોની વિગતો માંગવામાં આવી હતી અને સ્થાનિક તંત્રને આ જમીનો તેના અસલી માલિકો એવા દલિતોને સોંપી દેવા આદેશ કરાયો હતો. જેનો હવે ધીરેધીરે અમલ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ જય ભીમ બોલો! કચ્છના જડસા-ખોડાસરમાં 102 એકર જમીન દલિતોને સોંપાઈ

જે અંતર્ગત કચ્છ જિલ્લા કલેક્ટરની સૂચનાથી કચ્છ જિલ્લા વહીવટી તંત્ર, મામલતદાર ભૂજ-ગ્રામ્ય અને સર્કલ ઓફિસર દ્વારા તા. 12 ડિસેમ્બર 2024ના રોજ ભૂજ તાલુકાના કુનરીયા ગામે સ.ન. 12 આશરે 8 એકર જમીનનો પ્રત્યક્ષ કબ્જો તેના અસલી માલિક એવા અનુ.જાતિ સમાજની મંડળીઓનો સોંપવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ ભારત સરકાર પૂર્વ સબ કમિટી મેમ્બર ધર્મેન્દ્ર ગોહિલ અને કચ્છના યુવા આગેવાન નરેશ મહેશ્વરીની હાજરીમાં મંડળીના પ્રમુખ વિજય કાગીને જમીનનો કબ્જો સોંપાયો હતો. ભૂજ તાલુકામાં અન્ય બાકી રહેતી જમીનોના કબ્જા મેળવવાનું ચાલું છે અને તે પણ ટૂંક સમયમાં તેના મૂળ માલિકોને સોંપાશે તેવું ભૂજ ગ્રામ્ય મામલતદાર શર્માએ જણાવ્યું હતું.

બાકીની મંડળીઓને પણ ટૂંક સમયમાં જમીન સોંપાશે
આ મામલે કચ્છના સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, "સમગ્ર કચ્છ જિલ્લામાં આ ચળવળ ચાલી રહી છે અને જ્યાં જ્યાં પણ અનુસૂચિત જાતિ સમાજના ખેડૂતો, વ્યક્તિઓ કે મંડળીઓની જમીનો પર ગેરકાયદેસર કબ્જો જમાવવામાં આવ્યો છે તેને છોડાવીશું. રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલન કરી આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં કાર્યરત અનુસૂચિત જાતિ ખેતી મંડળીની બાકી રહેતી તમામ જમીનોના પ્રત્યક્ષ કબ્જા, હિસ્સા માપણી સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે."

મંડળીના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં

કુનરીયામાં અનુસૂચિત જાતિ ખેતી મંડળીને જમીનોના પ્રત્યક્ષ કબ્જાની સોંપણીના આ કાર્ય દરમિયાન કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા સતત જિલ્લા વહીવટી તંત્ર અને અનુ.જાતિના આગેવાનો સાથે સંપર્કમાં રહ્યા હતા. આ કામગીરીમાં ભાજપ અનુ.જાતિ મોરચાના આગેવાન અશોકભાઈ હાથી, ભૂજ તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન લખુભાઈ મેરીયા, ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રતિનિધિઓ અને અગ્રણીઓ પ્રકાશભાઈ મહેશ્વરી, હરીભાઈ પરમાર, હરેશભાઈ મેરીયા, સામાજિક આગેવાન મોહનભાઈ ચાવડા, નાનજીભાઈ મેરીયા, દિનેશ મેરીયા, કલ્પેશ મેરીયા, સંજય મહેશ્વરી, પ્રેમભાઈ દનીચા, ભરતભાઈ કટુવા સહિત ભૂજ ગ્રામ્ય મામલતદાર શર્મા, સર્કલ ઓફિસર બળદીયા શ્રી ઝાલા સાહેબ, સર્કલ ઓફિસર તેજસ વ્યાસ વગેરે હાજર રહ્યા હતા.

સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરીની મહેનત રંગ લાવી
કચ્છ જિલ્લામાં હાલ જે પણ જમીનો અનુસૂચિત જાતિ સમાજની સામુદાયિક મંડળીઓને મળી રહી છે તેમાં કચ્છના સામાજિક અગ્રણી નરેશભાઈ મહેશ્વરીનો સિંહફાળો રહ્યો છે. તેઓ છેલ્લાં ઘણાં સમયથી પક્ષાપક્ષીના રાજકારણમાં પડ્યાં વિના અનુસૂચિત જાતિ સમાજ માટે જમીની લેવલે કામ કરી રહ્યાં છે. દલિત સમાજની સામુદાયિક મંડળીઓની જમીનો પર માથાભારે તત્વોએ અડિંગો જમાવી દીધો છે, જેની સામે તેઓ લડત આપી રહ્યાં છે. આ મામલે તેઓ સાંસદ વિનોદ ચાવડાથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા છે. તેમની આ મહેનત રંગ લાવી રહી છે અને ધીમે ધીમે દલિત સમાજને તેમના હકની જમીનો પરત મળી રહી છે. સામાન્ય રીતે સત્તાપક્ષ સાથે જોડાયેલી વ્યક્તિ પક્ષ સામે પડવાથી ડરતી હોય છે. પરંતુ નરેશભાઈ મહેશ્વરી કોઈની પણ પરવા કર્યા વિના માત્ર અનુસૂચિત જાતિ સમાજને વફાદાર રહીને કામ કરતા રહે છે. તેનું જ કારણ છે કે, કચ્છમાં દલિત સમાજના છેવાડાના માણસને પણ જ્યારે કોઈ સમસ્યા સતાવે છે ત્યારે તેઓ સીધો નરેશભાઈનો સંપર્ક કરે છે. આ તેમની આપકમાઈ છે.

આ પણ વાંચોઃ ધ્રંગમાં મેકરણદાદા અખાડાએ દબાવેલી 300 વીઘા જમીન દલિતોને મળશે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.