બાળકોને સોશિયલ મીડિયા અને ફોનથી દૂર રાખવા રાજ્ય સરકાર માર્ગદર્શિકા લાવશે

શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો, વાલીઓ અને બાળકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરાશે. સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી વિદ્યાર્થીઓને દૂર રાખવા શિક્ષણ રાજ્ય મંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી.

બાળકોને સોશિયલ મીડિયા અને ફોનથી દૂર રાખવા રાજ્ય સરકાર માર્ગદર્શિકા લાવશે
image credit - Google images

રાજ્યમાં શાળાના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે સરકાર શિક્ષકો, વાલીઓ અને બાળકો માટે માર્ગદર્શિકા (ગાઈડલાઈન) જાહેર કરવા જઈ રહી છે. જેના સંદર્ભે આજે શિક્ષણ રાજ્ય મંત્રીએ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.  

સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે. જે અંગે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આજે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ -2  ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં શાળાના બાળકોને સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ અંગે શિક્ષણ રાજ્ય મંત્રી પાનશેરિયાએ જણાવ્યું હતું કે, બાળકો, વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાઇકાટ્રીસ્ટની સાથે પરામર્શ કરીને એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરીને એક અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવશે.

બાળકોનો સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનનો વધુ ઉપયોગ તેમની શારીરિક અને માનસિક શક્તિને અસર કરી રહ્યો છે, બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત ગમત પ્રત્યે વધુ ધ્યાન આપે તે માટે વાલીઓ તેમજ શિક્ષકો માટે નિયમ બનાવાશે. જેમાં શિક્ષકોને ક્લાસ રૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ અને પ્રાથમિક શાળાના બાળકો મોબાઈલ લઈને શાળામાં ન આવે તે માટેના કડક પગલાં લેવામાં આવશે.

શિક્ષણ રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકોના સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનના ઉપયોગને બદલે તેમને વાંચન અને રમત-ગમત જેવી પ્રવૃતિઓમાં જોડાયેલા રહે તે માટે શાળાઓના શિક્ષકોને માહિતગાર કરવામાં આવશે. તેમણે બાળકોના માતા-પિતાને વિનંતી કરી હતી કે, બાળકોની સામે પોતે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરે, માતા-પિતા પોતે પોતાના બાળકના ભવિષ્યની ચિંતા કરીને સોશિયલ મીડિયાથી બાળકને દૂર રાખે. સમગ્ર ભારતમાં બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહી પોતાના જીવનમાં વાંચન અને રમત ગમતને સ્થાન આપે તે માટે શિક્ષકો, વાલીઓ અને બાળકો માટે માર્ગદર્શિકા બહાર પાડનારું ગુજરાત પ્રથમ રાજ્ય હશે તેવી આશા પણ શિક્ષણ રાજ્ય મંત્રીએ વ્યક્ત કરી હતી.

શિક્ષણ રાજ્ય મંત્રીએ વધુમાં એન.જી.ઓ, ધાર્મિક સંસ્થાઓ, તેમજ સામાજિક કાર્યકરો તેમજ મીડિયાના મિત્રોને બાળકોને સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનથી દૂર રહે તે માટેના અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી સરકાર સાથે મળીને કઈ રીતે આ મહાભિયાન લોકો સુધી વધુને વધુ પહોચે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. દરેક શાળામાં શોર્ટ ફિલ્મ મારફતે બાળકોના વાલીઓને સોશિયલ મીડિયાના ઉપયોગો અને તેના નુકશાન વિષે માહિતગાર કરવામાં આવશે, વાલીઓ અને શિક્ષકો જો જાગૃત હશે તો જ બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહી વાંચનની સાથે પોતાના જીવન ઘડતર અને સ્પોર્ટ્સ સાથે જોડાઈને પોતાની તંદુરસ્તીનો ખ્યાલ રાખી શકશે.

આ પણ વાંચો: આગામી શૈક્ષણિક વર્ષ 2024-25થી ધોરણ 1 થી 12 ના પુસ્તકો બદલાશે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.