ગાંધીનગરના લાકરોડામાં ચાર દિવસીય ‘મનુસ્મૃતિ તાલીમ શિબિર’ યોજાશે

દેશભરના દલિતો, શોષિતો, પીડિતોની સમસ્યાના મૂળમાં જે ગ્રંથ રહેલો છે તે મનુસ્મૃતિની તાલીમ શિબિર ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે યોજાવા જઈ રહી છે.

ગાંધીનગરના લાકરોડામાં ચાર દિવસીય ‘મનુસ્મૃતિ તાલીમ શિબિર’ યોજાશે
image credit - Google images

દેશભરમાં દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને લઘુમતી સમાજને જે પુસ્તકના કારણે સામાજિક, આર્થિક અને રાજકીય મોરચે ભારે અન્યાય થઈ રહ્યો છે તે મનુસ્મૃતિની ચાર દિવસની એક તાલીમ શિબિર ગુજરાતમાં, એ પણ પાટનગર ગાંધીનગર જિલ્લામાં થવા જઈ રહી છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે તેવી જાણકારી મળી રહી છે. આ શિબિરમાં ડો.આંબેડકરે કરેલા મનુસ્મૃતિના અભ્યાસનો પણ તુલનાત્મક અભ્યાસ રજૂ કરવામાં આવશે તેની જાણકારી મળી રહી ચે. ડો.આંબેડકરે મનુસ્મૃતિને વર્ણવ્યવસ્થા સહિતના અનેક દૂષણોની જનની માનીને તેનું જાહેરનું દહન કર્યું હતું. જો કે, વર્તમાન સત્તાધીશો પર આ વિવાદાસ્પદ ગ્રંથ અને તેમાં વર્ણવાયેલા નિયમોને ફરીથી દેશમાં થોપવાના આરોપો લાગતા રહે છે ત્યારે જ આ શિબિર યોજાઈ રહી છે, જેના અનેક રીતે સૂચક છે.

મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર પાસે આવેલા પ્રાંતિજના લાકરોડા ગામે દર્શનયોગ ધામ સંસ્કૃતિ વન ખાતે આ કાર્યક્રમ યોજાશે. ચાર દિવસ સુધી ચાલનારી આ શિબિરને માનવ સંવિધાન મનુસ્મૃતિ પ્રશિક્ષણ શિબિર નામ અપાયું છે. 23 થી 26 જાન્યુઆરી 2025 (ગુરૂવારથી રવિવાર સુધી) ચાલનારી આ શિબિરમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. આ શિબિર માટેની એક ઓનલાઈન પત્રિકા પર સોશિયલ મીડિયામાં ફરી રહી છે. જેમાં આ શિબિરને લઈને વિસ્તારથી માહિતી આપવામાં આવી છે.

આ પત્રિકામાં જણાવ્યા પ્રમાણે ગુરૂકુળ કાંગડી યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. સુરેન્દ્ર કુમાર શિબિરની અધ્યક્ષતા કરશે અને ઉપસ્થિત લોકોને મનુસ્મૃતિ અંગે તાલીમ આપશે. પત્રિકામાં કરાયેલા ઉલ્લેખ મુજબ ડો. સુરેન્દ્ર કુમાર છેલ્લાં દસ વર્ષ કરતા વધુ સમયથી મનુસ્મૃતિ પર સંશોધન કરી રહ્યાં છે અને તેના આધારે તેઓ મનુસ્મૃતિમાં કરવામાં આવેલી ભેળસેળ અંગે પણ વાત કરશે. તેમણે લખેલી મનુસ્મૃતિની નવી પ્રત અંગે પણ ચર્ચા કરવામાં આવશે. 

ખબરઅંતર.કોમે આ મામલે વધુ જાણકારી મેળવવા માટે પત્રિકામાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. જેમાં ફોન પર હાજર વ્યક્તિએ જણાવ્યું હતું કે, ચાર દિવસની આ શિબિરમાં ડો. સુરેન્દ્રકુમાર મનુસ્મૃતિ સંબંધિત તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવશે. તેમના કહેવા પ્રમાણે ખાસ કરીને લોકોના મનમાં મનુસ્મૃતિને લઈને જે કેટલીક ખોટી ધારણાઓ બંધાયેલી છે તેને લઈને આ શિબિરમાં સ્પષ્ટતા કરવામાં આવશે.

ખબરઅંતર.કોમે મનુસ્મૃતિમાં લખવામાં આવેલી વર્ણવ્યવસ્થા અને મહિલા વિરોધી બાબતો વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આવી અનેક બાબતો મૂળ મનુસ્મૃતિમાં બાદમાં ઉમેરવામાં આવી હોઈ શકે છે અને તેના વિશે જ ડો.સુરેન્દ્રકુમાર જાણકારી આપશે. તેના માટે ચાર દિવસ શિબિરાર્થીએ અહીં જ રહેવાનું રહેશે. અમે તેને પ્રાંતિજથી અમારા વાહનમાં પિક અપ કરીને આશ્રમે લઈ જઈશું અને ત્યાં તેણે રજિસ્ટ્રેશન બાદ શિબિરમાં ભાગ લેવાનો રહેશે. આ શિબિરમાં તેમના આ તમામ સવાલોના જવાબો મળી જશે.

બીજી તરફ સોશિયલ મીડિયામાં આ પત્રિકા ફરતી થતા દલિત-બહુજન સમાજના બૌદ્ધિક વર્ગમાં તેને લઈને રોષની લાગણી ફેલાઈ છે. આ વર્ગનું માનવું છે કે, દેશમાં હાલ જે દૂષણો છે તેના મૂળમાં મનુસ્મૃતિ રહેલી છે, ત્યારે તેની તાલીમ શિબિર યોજાય એ ચોંકાવનારું છે. વાસ્તવમાં તાલીમ દેશના બંધારણ અને તેમાં કરવામાં આવેલી જોગવાઈઓની સમજણ આપવાની યોજાવી જોઈએ. પરંતુ તેના બદલે હિંદુત્વાદી સંસ્થાઓ દેશને ફરી મનુવાદી યુગમાં ખેંચી જવા મથી રહી છે, આ શિબિર તેનો જ એક ભાગ હોય તેવું લાગી રહ્યું છે.

શિબિરમાં નીચે મુજબના વિષયો અંગે ચર્ચા કરાશે

મનુસ્મૃતિ – વિશ્વનું સૌપ્રથમ બંધારણ
ડો.આંબેડકરના તુલનાત્મક અભ્યાસના સંદર્ભમાં મનુસ્મૃતિકાલીન સમાજ વ્યવસ્થા, વર્ણવ્યવસ્થા, જાતિ વ્યવસ્થાની સમજ.
મનુસ્મૃતિ મુજબ શુદ્રોના કર્તવ્ય અને સન્માન
મનુસ્મૃતિ મુજબ મહિલાઓનું કર્તવ્ય અને સન્માન
મનુસ્મૃતિમાં લગ્ન અને ગૃહાસ્થાશ્રમના કર્તવ્યો
મનુસ્મૃતિકાલીન રાજનીતિનો વર્તમાન રાજનીતિના સંદર્ભમાં તુલનાત્મક અભ્યાસ
મનુસ્મૃતિકાલીન શિક્ષણ વ્યવસ્થાનો વેદોત્ક શિક્ષા વ્યવસ્થાની સંદર્ભમાં તુલનાત્મક અભ્યાસ
મનુસ્મૃતિમાં પુરુષાર્થ ચતુષ્ટય ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું યર્થાર્થ સ્વરૂપ
મનુસ્મૃતિમાં બ્રહ્મચર્ય વગેરે આશ્રમો અને કર્તવ્ય
મનુસ્મૃતિમાં મોક્ષનો ઉપાય અને સ્વરૂપ
મનુસ્મૃતિમાં પચ્ચયગ્ન વિધાન અને તેના લાભો
મનુસ્મૃતિમાં સંસ્કાર અને તેમની ઉપયોગિતા

આ શિબિર અંગે વધુ જાણકારી મેળવવા માટે દર્શનયોગ ધામ લાકરોડાની વેબસાઈટ darshanyog.org પર જતા ત્યાં આ સંસ્થાની અન્ય કામગીરી વિશે પણ જાણકારી મળે છે. સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલી મનુસ્મૃતિની શિબિરની પત્રિકામાં બે સંપર્ક નંબરો પણ આપેલા છે, 9409615011 અને 8200915011 જેના પર ફોન કરીને આ શિબિરના હેતુઓ અને વિષય વિશે જાણકારી મેળવી શકાશે.

આ પણ વાંચો: મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Hitesh Mayavanshi
    Hitesh Mayavanshi
    તમારા દીવાનખંડમાં અને ઓસરીમાં દિવાન ખંડમાં બિલાડી ઓ અને ઓસરીમાં કુતરાઓ છુટથી હરીફરી સકતા હોય છે અને અમે માણસો છીએ તો અમારી સાથે ભેદભાવ, તમે તમારા બાળકોને સંસ્કાર આપો.... આવી ટ્રેનિંગ કરવાની જરૂર નથી... દેશ માં આવું થશે તો બહુજન સમજ કઈ પણ કરસે...
    5 months ago
  • કચરાભાઇ શંકરભાઈ
    કચરાભાઇ શંકરભાઈ
    તમારા દીવાનખંડમાં અને ઓસરીમાં દિવાન ખંડમાં બિલાડી ઓ અને ઓસરીમાં કુતરાઓ છુટથી હરીફરી સકતા હોય છે અને અમે માણસો છીએ તો અમારી સાથે ભેદભાવ
    5 months ago