દલિતો પર હુમલા કરતા ઠાકોર યુવકોને ગુજરાત કોળી સમાજે ચેતવ્યા, કહ્યું, મનુવાદીઓનો હાથો ન બનો
ગુજરાતમાં લગ્નની સિઝનમાં દલિત વરરાજાની જાન પર હુમલાની 16 જેટલી ઘટનાઓ બની છે, અને તેમાં હુમલો કરનાર બહુમતિ ઓબીસી ઠાકોર સમાજના લોકો છે. જો કે હવે ઓબીસી સમાજને મનુવાદીઓની આ ચાલ સમજાવા માંડી છે. હાલમાં જ ગુજરાત કોળી સમાજે ઓબીસી યુવાનોને મનુવાદીઓનો હાથો ન બનવા જાહેર અપીલ કરી છે. વાંચો આ ખાસ અહેવાલ

ગુજરાતમાં દલિતો પર અત્યાચારોની ઘટનામાં મોટાભાગે ઓબીસી ઠાકોર સમાજના લોકો હોય છે. મનુવાદીઓ તેમનો હાથા તરીકે ઉપયોગ કરીને પોતાનો સ્વાર્થ સાધી લે છે. આ બાબત હવે ઓબીસી સમાજને પણ સમજાવા માંડી છે. હાલમાં જ દલિત વરરાજાને ઘોડી પર બેસીને વરઘોડો ન કાઢવા દેવાની ત્રણ ઘટનાઓ બની છે અને એ ત્રણેય ઘટનાઓમાં આરોપીઓ ઓબીસી ઠાકોર સમાજના છે. જેને લઈને ભાવનગર સ્થિત ગુજરાત કોળી સમાજના પ્રમુખ વલ્લભભાઈ કંટારીયાએ કોળી સમાજજોગ ખાસ સંદેશ જાહેર કરીને કોળી સમાજને મનુવાદીઓનો હાથો ન બનવા અપીલ કરી છે.
વલ્લભભાઈ કંટારીયાએ જાહેર કરેલા સંદેશમાં જણાવ્યું છે કે, કોળી સમાજે ઓબીસીની 146 જ્ઞાતિઓ, દલિત, આદિવાસી સમાજ સાથે ભાઈચારો રાખવો જોઈએ, તેમની સાથે અસ્પૃશ્યતા કે અન્ય કોઈ ભેદભાવ ન રાખવા. ઐતિહાસિક રીતે આપણે સૌ એક જ છીએ અને ડૉ. આંબેડકર દ્વારા ઘડાયેલા બંધારણના કારણે જ આપણને માણસ તરીકે હકો મળી શક્યા છે.
વધુમાં તેમણે લખ્યું છે કે, કોળી સમાજની વિવિધ પેટાજાતિઓમાંથી અમુક અજ્ઞાન લોકો દલિત સમાજ સાથે ભેદભાવ રાખે છે, વરરાજાને ઘોડીએ ચડતા રોકે છે, તેમના પર હુમલા કરે છે તે નિંદનીય છે. આવા એકાદ ટકા લોકોને કારણે સમગ્ર કોળી સમાજ બદનામ થાય છે. જાતિવ્યવસ્થા, વર્ણવ્યવસ્થા બ્રાહ્મણવાદી હિંદુ ધર્મની ઝેરી વિચારધારાનું પરિણામ છે. આવી અસમાનતાવાળી વિચારધારાનો હાથો કોળી સમાજે ન બનવું જોઈએ. ગુજરાત બહાર કોળી સમાજ મોટાભાગના રાજ્યોમાં એસસી કેટેગરીમાં આવે છે, બેથી ત્રણ રાજ્યોમાં કોળી સમાજ એસટી કેટેગરીમાં આવે છે અને ગુજરાતમાં કોળી સમાજ ઓબીસીમાં આવે છે.
આગળ તેઓ લખે છે, આપણે આપણા પૂર્વજો ગૌતમ બુદ્ધ, સંત કબીર, જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, પેરિયાર રામાસ્વામી, બિરસા મુંડા અને ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલા સમાનતા, માનવતાના વિચારો પર ચાલવું જોઈએ. બ્રાહ્મણ પંડિતોએ લખેલા કાલ્પનિક પૌરાણિક શાસ્ત્રોમાં કોળીને શૂદ્ર વર્ણ કહ્યાં છે એ ભૂલશો નહીં. આપણે ઓબીસી સમાજની 146 જ્ઞાતિઓએ એસસી, એસટી સમાજ સાથે ભાઈચારો અને એકતા સ્થાપિત કરી આપણા હકો મેળવવાના છે. તેના માટે જરૂરી છે કે, કોળી ઓબીસી સમાજ મનુવાદીઓનો હાથો ન બને.
ખબરઅંતર.કોમે આ બાબતે ગુજરાત કોળી સમાજના પ્રમુખ વલ્લભભાઈ કંટારીયા સાથે ફોન પર વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “કોઈપણ ક્રાંતિકારી પગલાની શરૂઆત આવી અડચણોથી જ થતી હોય છે. મનુવાદીઓ કોળી સમાજને હાથા બનાવીને તેમના રાજકીય રોટલાં શેકી રહ્યાં છે. કોળી સમાજના કેટલાક યુવાનો મનુવાદીઓની વાતોમાં આવી જઈને દલિતો પર હુમલા કરે છે તે બરાબર નથી. તેમણે સમજી જવું જોઈએ કે જાતિવાદ, અસ્પૃશ્યતા વગેરે આપણી વચ્ચે ફાંટા પડાવવાની ચાલ છે, જેથી આપણે એક ન થઈ શકીએ. જો તમારે હુમલા જ કરવા હોય તો ઓબીસી સમાજના બંધારણીય હકો પર સૌથી વધુ તરાપ પડી રહી છે તેના પર કરવા જોઈએ. સરકારી નોકરીઓમાં આપણા ક્વોટા મુજબ ભરતી થતી નથી, વસ્તીના પ્રમાણમાં આપણું રાજકીય પ્રતિનિધિત્વ ઓછું છે, ઉચ્ચ શિક્ષણમાં આપણા યુવાનોના હકો મારી ખવાય છે, દારૂનું વ્યસન, અંધશ્રદ્ધા, કુરિવાજો, કન્યા શિક્ષણનું નીચું સ્તર આ બધી બાબતો પર કરવા જોઈએ. મનુવાદના હાથા બનીને શા માટે આપણા જ ભાઈઓ પર હુમલાઓ કરીને આપણા જ ભાઈઓ વચ્ચે ખાઈ પેદા કરો છો? મનુવાદીઓની ચાલને સમજો, આપણને અંદરોઅંદર લડતા રાખીને તેઓ હજારો વર્ષોથી સત્તાની મલાઈ ખાઈ રહ્યાં છે. આપણને શિક્ષણનો અધિકાર નહોતો તે માતા સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલેને કારણે મળ્યો છે, મનુવાદીઓ તો આપણને શૂદ્ર કહીને ધુત્કારતા હતા. દલિત, આદિવાસી સમાજ આપણા ભાઈઓ જ છે, તેમને સાથે લઈને ચાલો તો સમાજ અને દેશનું ભલું થશે. બાકી મનુવાદીઓના હાથા બનીને અત્યાર સુધીમાં આપણે કશી પ્રગતિ નથી કરી એટલી સમજણ તો હવે આવી જવી જોઈએ. ”
આ પણ વાંચો : ગાંધીનગરના ચડાસણામાં જાતિવાદી શખ્સે દલિત વરરાજા પર હુમલો કર્યો, જાનૈયાઓને જાતિસૂચક ગાળો ભાંડી, 4 સામે એટ્રોસિટી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.