સુરતમાં જ્યોતિષે વિધીના બહાને મહિલા પાસેથી 14 લાખ પડાવી દુષ્કર્મ કર્યું
સુરતમાં ફરી એકવાર તાંત્રિક વિધીના બહાને મહિલા સાથે દુષ્કર્મ કરવાની સાથે લેભાગુ તત્વો દ્વારા રૂ. 14 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે.
તાંત્રિક વિધીના બહાને મહિલાઓ સાથે દુષ્કર્મની ફરિયાદો સમયાંતરે થતી રહે છે. અગાઉ સુરતમાં જ એક મહિલા સાથે આ રીતે વિધી કરવાના બહાને દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને હવે ફરી એકવાર સુરતમાં જ આ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં જ્યોતિષીઓ દ્વારા મહિલા સાથે દુષ્કર્મ કરવાની સાથે રૂ. 14 લાખ જેવી માતબર રકમ પણ પડાવી લેવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામમાં રહેતી એક યુવતી પાસેથી એક જ્યોતિષી કમ તાંત્રિકે અલગ અલગ વિધી કરવાના બહાને રૂ. 14 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. એટલું જ નહીં કહેવાતા જ્યોતિષ ઉર્ફ તાંત્રિકે મહિલા સાથે દુષ્કર્મ પણ કર્યું હતું. આ મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો:ઉત્તરપ્રદેશના અલીગઢમાં 14 વરસની દલિત કિશોરીની બળાત્કાર બાદ હત્યા કરી લાશ ખીંટીએ લટકાવાઈ
ફરિયાદની વિગતો મુજબ કતારગામની મહિલાને ઘરમાં પારિવારિક સમસ્યાઓ સતાવતી હતી. જેથી તે તેના નિવારણ માટે આ તાંત્રિક પાસે પહોંચી હતી. કથિત જ્યોતિષ કિર્તી તાંત્રિક ઉર્ફે કિર્તી માંડવીયા અને તેના સાગરિતોએ વર્ષ ૨૦૨૦થી ૨૦૨૩ દરમિયાન ફરિયાદી મહિલાને તાંત્રિક ચમત્કાર દ્વારા દરેક મુશ્કેલી અને સમસ્યાઓનું સમાધાન કરી આપવાના નામે અલગ અલગ વિધિના બહાને રૂપિયા ૧૫ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. જેમાં સોના-ચાંદીના ઘરેણાં પણ સામેલ છે. લેભાગુ તાંત્રિકે ઘરમાં આત્માનો વાસ છે અને ઘરમાં મોટા પ્રમાણમાં સોનું રહેલું છે તેમ કહીને ફરિયાદી મહિલાને વિશ્વાસમાં લીધી હતી. તાંત્રિકોની વાતમાં આવી ગયેલી મહિલાએ તમામ રકમ અને સોના ચાંદીના ઘરેણાં તેને આપી દીધાં હતા. જો કે નિયત સમયમર્યાદામાં તેની સમસ્યાનું સમાધાન ન થતા પોતે છેતરપિંડીનો ભોગ બની હોવાનું ભાન થતા સુરત સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો હતો, જ્યાં સાયબર ક્રાઈમ સેલે મહિલાની ફરિયાદના આધારે તાંત્રિકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
તાંત્રિકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું
આરોપી કથતિ તાંત્રિકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તાંત્રિકનું નામ કીર્તિ માંડવીયા હોવાનું સામે આવ્યું છે જેણે વિધી કરવાના બહાને સંપર્કમાં આવેલી મહિલાને પ્રેમજાળમાં ફસાવીને રૂ. 14 લાખ પડાવી લીધા હતા. મહિલાની ફરિયાદના આધારે હાલ કીર્તિ માંડવીયાની કતારગામ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસે આ તાંત્રિકે અગાઉ અન્ય કોઈની સાથે આ જ રીતની કરતૂત કરી છે કે નહીં તેને લઈને પણ તપાસ શરૂ કરી છે. આ સિવાય તાંત્રિક સાથે બીજા કોણ લોકો જોડાયેલા છે અને મહિલા આ તાંત્રિક-જ્યોતિષીઓ સુધી કેવી રીતે પહોંચી તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:દલિત રેપ પીડિતાને મેજિસ્ટ્રેટે કહ્યું- કપડાં ઉતાર અને ઈજાના નિશાન બતાવ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Mukesh SolankiI am dalit