કોવિશિલ્ડ બાદ હવે ભારતમાં બનેલી કોવેક્સિનની પણ આડઅસરનો દાવો

કોરોનાની કોવિશિલ્ડ રસીની આડઅસરનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ભારતમાં બનેલી કોવેક્સિન રસીની આડઅસરનો વિસ્તૃત રિસર્ચ રિપોર્ટ સામે આવ્યો છે.

કોવિશિલ્ડ બાદ હવે ભારતમાં બનેલી કોવેક્સિનની પણ આડઅસરનો દાવો
image credit - Google images

કોરોનાકાળમાં ભારતમાં લોકોને મૂકવામાં આવેલી કોવિશિલ્ડની આડઅસરનો વિદેશની ધરતી પર કંપનીએ સ્વીકાર કર્યા બાદ ભારતમાં હાર્ટ એટેકના વધતા જતા બનાવોને તેની સાથે સાંકળીને જોવામાં આવી રહ્યાં છે. લોકોનું માનવું છે કે, નાની ઉંમરના લોકોને પણ હૃદયરોગનો હુમલો આવી જવા પાછળ કોરોનાની કોવિશિલ્ડ રસીની આડઅસર જવાબદાર છે પણ સરકાર તેનો સ્વીકાર કરી રહી નથી. કોવિશિલ્ડ રસી તૈયાર કરનાર વિદેશી ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ બ્રિટનની કોર્ટમાં સ્વીકાર્યું હતું કે અત્યંત દુર્લભ કેસમાં કોવિશિલ્ડ વેક્સિન થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઈટોપેનિયા સિન્ડ્રોમનું કારણ બની શકે છે. આ વેક્સિનથી લોહી ગંઠાઈ જવું અથવા ઘણા ગંભીર કેસમાં હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે.

આ તો થઈ કોરોનાની વિદેશી રસીની આડઅસરની વાત. પણ હવે ભારતમાં બનેલી કોવેક્સિન રસીની આડઅસરનો મામલો પણ સામે આવ્યો છે. આ મામલે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, 'જેમણે કોવેક્સિન લીધી છે તેમાંથી મોટાભાગના લોકોમાં એક વર્ષ સુધી આડઅસરો જોવા મળી હતી. ખાસ કરીને કિશોરો અને જેમને પહેલેથી જ એલર્જીની બીમારી છે તેમને એડવર્સ ઇવેન્ટ ઓફ સ્પેશિયલ ઈન્ટરેસ્ટ (AESI)નું જોખમ વધારે રહે છે.'

1024 લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો

આ અભ્યાસમાં 1024 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં 635 કિશોરો અને 391 યુવાનો હતા. રસી લીધાના એક વર્ષ પછી ફોલો-અપ ચેકઅપ માટે તેમને બોલાવવામાં આવ્યા હતા. જેમાં લગભગ 48 ટકા કિશોરોમાં વાયરલ અપર રેસ્પિરેટરી ટ્રેક ઈન્ફેક્શન જોવા મળ્યું હતું. આવા કિશોરોની સંખ્યા 304 જેટલી હતી.

આવી સ્થિતિ 124 એટલે કે 42.6 યુવાનોમાં પણ જોવા મળી હતી. આ ઉપરાંત 10.5 ટકા કિશોરોમાં 'ન્યુ-ઓનસેટ સ્કિન એન્ડ સબક્યુટેનીયસ ડિસઓર્ડર', 10.2 ટકામાં સામાન્ય ડિસઓર્ડર, 4.7 ટકામાં નર્વસ સિસ્ટમ ડિસઓર્ડરની સમસ્યા જોવા મળી હતી. જો કે, 8.9 ટકા યુવાનોમાં સામાન્ય સમસ્યાઓ, 5.8 ટકામાં સ્નાયુઓ અને સાંધા સંબંધિત સમસ્યાઓ અને 5.5 ટકામાં નર્વસ સિસ્ટમને લગતી સમસ્યાઓ જોવા મળી હતી. ચિંતાજનક બાબત એ છે કે જ્યારે આ લોકોનો વેક્સિન લીધાના એક વર્ષ બાદ સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમાંથી મોટાભાગના લોકોમાં આ બીમારીઓ જોવા મળી હતી. 

અભ્યાસ મુજબ અંદાજે એક ટકા લોકોમાં રસીની ગંભીર આડઅસરોનો સંબંધ જોવા મળ્યો હતો. જેમાં સ્ટ્રોકની સમસ્યા 0.3 ટકા એટલે કે 300 માંથી એક વ્યક્તિને અને 0.1 ટકામાં ગુઇલેન બેરે સિન્ડ્રોમ જોવા મળ્યું હતું. કોવેક્સિન લીધા પછી યુવાન અને કિશોરીઓમાં થાઇરોઇડની અસર વધી છે.

આ પણ વાંચો: કોવિશિલ્ડ વેક્સિનથી હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું જોખમ રહે છે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.