અમદાવાદમાં મહાગુજરાત SC-ST મહાસભાની ચિંતન શિબિર યોજાઈ

અમદાવાદના સુખરામનગર વિસ્તારમાં મહાગુજરાત એસસી-એસટી મહાસભાની ચિંતિન શિબિર યોજાઈ ગઈ, જેમાં સમાજને સ્પર્શતા અનેક મુદ્દાઓ પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદમાં મહાગુજરાત SC-ST મહાસભાની ચિંતન શિબિર યોજાઈ
all image credit - Google images

અમદાવાદના સુખરામનગર ખાતે આવેલા બૌદ્ધવિહારમાં મહાગુજરાત એસસી એસટી મહાસભાની ચિંતન શિબિર યોજાઈ ગઈ. 16 જૂન 2024ના રોજ યોજાયેલી આ શિબિરમાં ગુજરાતભરમાંથી દલિત અને આદિવાસી સમાજના બુદ્ધિજીવીઓ, કર્મશીલો, સામાજિક આગેવાનો, સંસ્થાઓ-સંગઠનોના વડાઓ, પ્રતિનિધિ અને ભીમ યોદ્ધાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આજના કાર્યક્રમની શરૂઆત બૌદ્ધ વંદનાથી કરવામાં આવી હતી. ત્યાર બાદ ચિંતન શિબિરમાં ભાગ લેનાર સૌએ પોત પોતાનો વ્યક્તિગત પરિચય આપ્યો હતો. ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો એકતાનો સંદેશ આપતું એક ગીત પ્રસ્તુત કરવામાં આવેલ હતું.

નંદરાજ બૌદ્ધે શિબિરનો હેતુ સમજાવ્યો હતો અને સાથે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગને સ્પર્શતા મુદ્દાઓની ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: ...અને પછી ચામુંડાના ભૂવાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો!

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ વર્ગના બંધારણીય હક અને માનવ અધિકારોના રક્ષણના મુદ્દે આગામી દિવસોમાં લડત શરૂ કરવા જવાબદાર રાજ્ય સરકાર સામે આ મુદ્દાઓમાં કેવી લડતની રણનીતિ નક્કી કરવી તે અંગે ચર્ચા કરી અને SC-ST વર્ગના લોકોને સ્પર્શતા 13 મુદ્દાઓની અમલવારી કરાવવા માટે ગુજરાતના બંને સમાજના લોકો મહાગુજરાત SC-ST મહાસભાના નેજા હેઠળ સંગઠિત થઈ આ લડાઈને આગળ ધપાવશે તેવી ચર્ચા કરવામાં આવી હતી.

નવસર્જન ટ્રસ્ટ સાથે વર્ષોથી જોડાયેલા સામાજિક કાર્યકર્તા કાંતિલાલ પરમાર અને કિરીટભાઈ રાઠોડ દ્વારા ચિંતન શિબિરમાં ભારતીય બંધારણ, નાગરિક હક્ક સરંક્ષણ અધિનિયમ 1955, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ(અત્યાચાર અટકાવ)અધિનિયમ 1989, આભડછેટ-મુક્ત-ભારત, અનામત, પેટાજ્ઞાતિવાદ અને બંધારણીય હક્ક અને અધિકારોની ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: બૌદ્ધ એ હિંદુ ધર્મથી અલગ છે, અપનાવવા માટે પરવાનગી લેવી પડશેઃ સરકાર

શિબિરમાં અન્ય વક્તાઓએ SC-ST સમાજને સ્પર્શતા 13 મુદ્દાઓમાં રોજગાર, શિક્ષણ, સંગઠન, પેટા-જ્ઞાતિવાદ નાબુદી બાબતે ચર્ચા કરી અને માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાતના દરેક જીલ્લાઓમાં આગળની કાર્યવાહી માટે લડતના મંડાણ કરવા જિલ્લાના પ્રતિનિધિઓની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, છોટાઉદેપુર સહિત પાંચ જિલ્લા અને તાલુકાઓમાં પ્રતિનિધિઓ નિયુક્તિ કરવામાં આવ્યા હતા. આ સિવાય દરેક તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે પ્રતિનિધિઓ નીમી પ્રેશર ગ્રુપ બનાવવામાં આવશે જે પોતાના તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે 13 મુદ્દાઓમાં કામ કરશે તેમ નક્કી કરવામાં આવેલ હતું.

આ પણ વાંચો: પરિવર્તનની શરૂઆતઃ મૂળીના શેખપર ગામે પહેલીવાર બૌદ્ધવિધિથી મૃતકની પુણ્યતિથિ ઉજવાઈ

જે જીલ્લાઓમા પ્રતિનિધિઓની નિયુક્તિ કરવામાં આવી છે તેના નામ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. ચિંતન શિબિરમાં ગુજરાતના 12 જિલ્લા ઉપરાંત રાજસ્થાનના મિત્રોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આગામી દિવસોમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવશે અને લોકોને બંધારણીય હક અને માનવ અધિકારોના મુદ્દે જાગૃત કરવામાં આવશે, ગામડાઓમાં લોકોને જાગૃત કરવા પદયાત્રા કરવામાં આવશે અને બાદમાં ગાંધીનગર ખાતે એક લાખ કરતા વધુ લોકોનું વિશાળ સંમેલન બોલાવવામાં આવશે તેવું આજની ચિંતન શિબિરમાં નક્કી કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ...અને પછી ચામુંડાના ભૂવાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો!

ચિંતન શિબિરનું સંચાલન નંદરાજ બૌદ્ધ દ્વારા કરવામાં આવ્યું હતું. નંદાસણ બૌદ્ધ વિહારના સંચાલક ભીખાભાઈ મકવાણા દ્વારા કેલેન્ડર અને પંચશીલ આપી આગેવાનોનું સન્માન કરાયું હતું. સુરત બૌદ્ધ વિહારના ભીખ્ખુણી સંઘમિત્રા દ્વારા તથાગત બૌદ્ધને પ્રાર્થના કરી આશીર્વાદ આપેલ હતા. અમદાવાદ શહેરમાંથી મેઘવાળ એજ્યુકેશન ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, જનતા સેના નરોડા, નવસર્જન ટ્રસ્ટના કાર્યકર્તાઓએ હાજરી આપેલ હતી. છેલ્લે જયેશભાઇ યશવર્ધન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

અહેવાલ- કાંતિલાલ પરમાર, સામાજિક કાર્યકર, અમદાવાદ

આ પણ વાંચો: બોટાદ જિલ્લામાં સરકારી ચોપડે જાતિ ગણના માં બૌદ્ધ ધર્મ નું ખાતું ખુલ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Vinodkumar
    Vinodkumar
    Good initiative. I want to submit my suggestion. We have to collect money 10 to 50 Rs per person or as per conveniency and appoint advocate in every district for RTI and legal matters to sort out only job related issues.